
ઈન્દોરઃ શિલોંગમાં હનીમૂન મનાવવા ગયેલા ઈન્દોરના રાજા રઘુવંશીની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેની પત્ની સોનમ રઘુવંશીએ જ કરી હોવાનો ખુલાસો થતાં ચકચાર મચી ગઈ હતી. શિલોંગ પોલીસે કોલ ડિટેલ અને સોનમ તથા રાજા સાથે નજરે પડેલા ત્રણ પ્રવાસીઓની મદદથી કેસ ઉકેલ્યો હતો. ક્રાઈમ બ્રાંચે જાળ બીછાવી અને રાતે ઈન્દોરના વિક્કી ઉર્ફે વિશાલ ચૌહાણ, રાજ કુશવાહ અને આકાશ રાજપૂતની ધરપકડ કરી હતી.
ક્યાંથી ઝડપાઈ સોનમ રઘુવંશી
સોનમ રઘવુંશી હત્યારાના સંપર્કમાં હતી. હત્યામાં સામેલ ત્રણ સાથીદારો પકડાયા હોવાના સમાચાર મળતાં જ તેની પાસે આત્મસમર્પણ કર્યા સિવાય કોઈ છૂટકો નહોતો. 16 દિવસ સુધી લાપતા રહેનારી સોનમ અચાનક રાતે ગાજીપુર પહોંચી અને એક વાગે તેના ભાઈને ફોન કરીને માહિતી આપી. જે બાદ તેના ભાઈએ ઉત્તર પ્રદેશ પોલીસનો સંપર્ક કર્યો અને સોનમની એક ઢાબા પરથી ધરપકડ કરી હતી.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શું થયો ખુલાસો
રાજા રઘુવંશીનો પ્રારંભિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પણ સામે આવ્યો છે. ઈન્દોરના રાજા રઘુવંશી પર બે વખત હુમલો કરવામાં આવ્યો હતો. એક વખત પીઠ પર અને એક વખત માથામાં પ્રહાર કરવામાં આવ્યો હતો.
ગાજીપુરના એસપીએ જણાવ્યું,. મધ્ય પ્રદેશ પોલીસ તરફથી ગોરખપુર હાઈવે પર આવેલા કાશી ઢાબા પર સોનમ નામની મહિલા હોવાની સૂચના મળી હતી. માહિતી મળતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી. સોનમ મળતાં જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
બંનેના પરિવારજનોએ શું કહ્યું
રાજા રઘુવંશીની માતાએ કહ્યું, જો સોનમે આ ઘટનાને અંજામ આપ્યો હોય તો તેને કડકમાં કડક સજા મળવી જોઈએ. સોનમ રઘુવંશીના પિતાએ કહ્યું, આ કેસની સીબીઆઈ તપાસ થવી જોઈએ. રાજાના મર્ડરમાં મેઘાલય પોલીસનો 100 ટકા હાથ છે. હું દાવા સાથે આ વાત કહું છું. ત્રણ મહિના પહેલા લગ્ન થયા હતા. અમારા સંતાનો આવા નથી.
આ પણ વાંચો – રાજા રઘુવંશી હત્યા કેસમાં ત્રણ આરોપીની ધરપકડ , જાણો કોણ છે હત્યાનો માસ્ટર માઈન્ડ
2 જૂનના રોજ મળ્યો હતો રાજાનો મૃતદેહ
સોનમ અને રાજાના નવા લગ્ન થયા હતા અને તેઓ તેમના હનીમૂન માટે મેઘાલય ગયા હતા. પહેલા સોનમ અને રાજા બંને ગુમ થયાના હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. મીડિયામાં પણ આ બન્ને લાપતા થયા હોવાના અહેવાલ પ્રસારિત થયા હતા. પરંતુ 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ એક ઊંડા ખાડામાંથી મળી આવ્યો હતો. જે બાદ મેઘાલય પોલીસે તપાસ હાથ ધરી હતી.