
મુંબઈ : દેશમાં શેરબજાર અને સોનું બેમાંથી શેમાં રોકાણ કરવું વધુ ફાયદાકારક તે અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન વર્ષ 2025ના કેટલાક આંકડાઓ પ્રકાશમાં આવ્યા છે. જેમાં સોનું અને શેરબજાર બેમાંથી શેમાં રોકાણ ફાયદા કારક થયું છે તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
સોનાએ 16.3 ટકાનું વળતર આપ્યું
જેમાં આપણે વર્ષ 2025ના પ્રથમ પાંચ મહિના એટલે કે જાન્યુઆરીથી મે 2025 ના આંકડાઓ પર નજર કરીએ, તો સોનાએ 16.3 ટકાનું વળતર આપ્યું છે. બીજી તરફ, ભારતનો મુખ્ય સૂચકાંક નિફ્ટીમાં ફક્ત 4.3 ટકાનો વધારો થયો છે. આનો સીધો અર્થ એ થયો કે જો કોઈ રોકાણકારે ડિસેમ્બર 2024 માં સોનામાં 100 રૂપિયા અને નિફ્ટીમાં 100 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે સોનામાં રોકાણ 116.3 રૂપિયા અને શેરમાં રોકાણ 104.3 રૂપિયા થઈ ગયું હોત.
સોનાના ભાવ વધવાનું એક મુખ્ય કારણ વૈશ્વિક અસ્થિરતા
સોનાના ભાવ વધવાનું એક મુખ્ય કારણ વૈશ્વિક અસ્થિરતા છે. યુએસ વેપાર નીતિ, ટેરિફ અંગેની મૂંઝવણ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓએ રોકાણકારોમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. અને જ્યારે પણ ભય વધે છે ત્યારે સોનાની ચમક વધે છે.
10 વર્ષના ડેટા પણ સોનાની તરફેણમાં
હવે લાંબા ગાળાની વાત કરીએ તો, એટલે કે છેલ્લા 10 વર્ષોમાં, જો કોઈએ 10 વર્ષ પહેલાં સોનામાં 100 રૂપિયા અને શેરમાં 100 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે સોનાએ સરેરાશ વાર્ષિક 12.9 ટકા વળતર આપ્યું હોત, જ્યારે શેરોએ 10.6 ટકાનું વાર્ષિક વળતર આપ્યું હોત. કોવિડ-19 રોગચાળા દરમિયાન, સોનું શેરોને પાછળ છોડી ગયું હતું, જોકે પછીથી શેરોમાં સુધારો થયો. આ ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે લાંબા ગાળે પણ સોનાએ શેરબજાર કરતાં થોડું સારું પ્રદર્શન કર્યું છે.
(નોંધ: આ માહિતીના આધારે શેરબજારમાં રોકાણ કરવું નહિ. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી હિતાવહ છે. કોઈ પણ રોકાણ અંગે ‘મુંબઈ સમાચાર’ જવાબદાર રહેશે નહીં.)