ધર્મતેજ

શિવ રહસ્ય : અહિંસા, સદાચાર ને સુવ્યવહાર કદી વ્યર્થ જતો નથી

  • ભરત પટેલ

પાટલીપુત્રના રાજા ક્ષુવને ભગવાન વિષ્ણુએ સાક્ષાત દર્શન આપ્યા હતા અને તેમની કીર્તિ જગવિખ્યાત થાય તેવું વરદાન આપ્યું હતું. એક દિવસ રાજા ક્ષુવ પોતાના રાજરસાલા સાથે વનગમન કરતાં કરતાં ઋષિ દધીચિના આશ્રમ પાસે આવી પહોંચ્યાં. આશ્રમમાં રાજા ક્ષુવ અને ઋષિ દધીચિના અનુયાયીઓ સામસામે શાસ્ત્રાર્થ કરવા લાગ્યા. એ દરમિયાન એ વાત પર ચર્ચા થવા લાગી કે શ્રેષ્ઠ કોણ? રાજા કે તપસ્વી? રાજા ક્ષુવ કહે છે ‘રાજા જ શ્રેષ્ઠ ગણાય. સામે ઋષિ દધીચિ કહે છે, ‘તપસ્વી જ મહાન.’ રાજા ક્ષુવ અને ઋષિ દધીચિ વચ્ચે વિવાદ વધતો ગયો અને છેલ્લે ક્રોધાવેશમાં રાજાએ ઋષિ દધીચિના મસ્તક પર પ્રહાર કર્યો. વજ્રથી ઋષિ દધીચિ મૂર્છિત થયા. અસુરગુરુ શુક્રાચાર્યએ મૃત્યુંજય વિદ્યાના પ્રતાપે ઋષિ દધીચિનેે પૂર્વવત બનાવી દીધા. ઋષિ દધીચિ વનમાં જઈ ઉગ્ર તપ કરવા લાગ્યા. અંતે ઋષિ દધીચિએ ભગવાન શિવ પાસે વરદાન મેળવ્યું કે, મારાં અસ્થિ વજ્ર સમાન દૃઢ બની જાય, કોઈ મારો વધ ન કરી શકે અને મારામાં ક્યારેય હીનભાવના ન પ્રવેશે. ઋષિ દધીચિને વરદાન મળતાં જ તેમનામાં રહેલી વેરની ભાવના જાગ્રત થઈ ગઈ. વરદાન પ્રાપ્ત કરી તેઓ સીધા રાજા ક્ષુવના રાજમહેલ પર પહોંચ્યાં. બંને વચ્ચે હુંસાતુંસી થઈ અને અંતે રાજા ક્ષુવે ક્રોધિત થઈ ઋષિ દધીચિ પણ વજ્રનો પ્રહાર કર્યો, પરંતુ વરદાનને લીધે વજ્ર લેશમાત્ર હાનિ નહિ પહોંચાડી શકયું. આથી રાજા ક્ષુવનું સ્વમાન ઘવાયું. રાજા ક્ષુવ વધુ શક્તિશાળી બનવાં વનમાં જઈ ઘોર તપસ્યા કરવા લાગ્યા. ઘણાં વરસોની તપસ્યા બાદ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થતાં તેમને દર્શન દીધાં. રાજા ક્ષુવે કહ્યું, ‘ઋષિ દધીચિ વરદાન પ્રાપ્ત કરી ઘમંડી બની ગયા છે. હું તેનો બદલો લેવા ઇચ્છું છું.’ ભગવાન વિષ્ણુ રાજા ક્ષુવને ઋષિ દધીચિને મળવા લઈ જતા હતા તે દરમિયાન ઋષિ દધીચિ જ સામેથી આવતાં દેખાયાં. ભગવાન વિષ્ણુએ બંનેને સમજાવતા કહ્યું કે, ‘રાજા રાજ્યનો પિતા સમાન હોય છે તેણે રાજ્યના દરેકના સુખ-મંગલ માટે સમાજ કલ્યાણના કાર્ય કરવાના હોય છે, તો તપસ્વીની જવાબદારી તેઓ જ્યાં જ્યાં જાય ત્યાં ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાની હોય છે એટલે રાજા અને તપસ્વી બંને મહાન અને શ્રેષ્ઠ છે.’

ભગવાન વિષ્ણુની વાત શિરોમાન્ય કરતા રાજા ક્ષુવ અને ઋષિ દધીચિનો અહંકાર ઓગળી ગયો અને તેઓ બંને ભગવાન વિષ્ણુએ આપેલી જવાબદારીના કાર્યમાં ઓતપ્રોત થઈ જાય છે. જે સ્થળે ભગવાન વિષ્ણુ અને ઋષિ દધિચીનો મેળાપ થયો હતો તે સ્થળ આજે પણ સ્થાનેશ્ર્વર તીર્થધામ તરીકે પ્રસિદ્ધ છે. સ્થાનેશ્ર્વર ધામનું શરણું લેતા દરેક માનવી નિરઅહંકારી બની જાય છે અને અંતે વૈકુંઠલોક પામે છે.
*
સમગ્ર લોકોમાં શાંતિનું વાતાવરણ હોય છે. વૈકુંઠલોકમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ નાગશૈયા પર શયન કરી રહ્યા હોય છે, બ્રહ્મલોકમાં બ્રહ્માજી અને કૈલાસ ખાતે ભગવાન શિવ તપમાં લીન હોય છે. અચાનક પૃથ્વીલોકથી ‘ૐ નમ: શિવાય:’નો સ્વર ગૂંજવા માંડે છે અને તે કૈલાસ સુધી પહોંચે છે. એ સ્વરથી ભગવાન શિવની તપસ્યા ભંગ થાય છે. તેઓ નજર માંડે છે કે આ કોનો સ્વર ગૂંજી
રહ્યો છે.

માતા પાર્વતી: ‘પ્રભુ આ વળી પાછું કોણ તમારી તપસ્યા કરી રહ્યું છે. તમારા મુખ પર પ્રસન્નતાની ઝાંખી દેખાઈ રહી છે એટલે મારે તમને એટલું તો કહેવું જ પડશે કે, પ્રસન્નતામાં કોઈ અસુરને અમરતાનું વરદાન ન આપી બેસતાં.’

ભગવાન શિવ: ‘દેવી આ સ્વર મારા પ્રખર ભક્ત દૈત્યરાજ વિદ્યુત્કેશીના પુત્ર સુકેશીનો છે. હું તો મારા ભક્તોના પ્રેમથી બંધાયેલો છું, તેમને જે વરદાન જોઈશે તે તો મારે આપવું જ પડશે, નહીં તો સાધકો પોતાના આરાધ્યથી વિમુખ થઈ જશે.’

માતા પાર્વતી: ‘જેવી તમારી ઇચ્છા.’

ભગવાન શિવ વરદાન આપવા સુકેશી પાસે પહોંચે છે.

ભગવાન શિવ: ‘ઊઠો સુકેશી, વરદાન માગો.’

સુકેશી: ‘પ્રભુ વરદાન તરીકે મને એક અવર્ણનીય અને અજય નગરી વસાવી આપો જે અંતરિક્ષમાં હોય.

ભગવાન શિવે તુરંત ભગવાન વિશ્ર્વકર્માને આદેશ આપ્યો કે સુકેશીને અંતરિક્ષમાં અવર્ણનીય અને અજય નગરી વસાવી આપો. ભગવાન વિશ્ર્વકર્માએ તુરંત અવકાશમાં સુંદર નગર વસાવી દીધું. આ નગરમાં સમગ્ર સંસારના રાક્ષસો સાથે સુકેશી રહેવા લાગ્યો. આ નગર સર્વ પ્રકારે સમૃદ્ધ હતું. સુકેશી અસુરોને સદુપદેશ દ્વારા સદાચારી બનાવવા માંગતો હતો.

સુકેશીનું આ નગર અવકાશમાં સૂર્યની માફક ઝળહળતું હતું. આથી પૃથ્વી પરના ઋષિમુનીઓ રાતને દિવસ સમજીને રાત્રે પણ યજ્ઞ કરતા હતા. લોકો એવું અનુમાન લગાવી બેઠા હતાં કે ચંદ્રએ સૂર્યને જીતી લીધો છે. તેથી ચંદ્ર પણ સૂર્યની જેમ ચળકી રહ્યો છે.

આવું સાંભળતાં જ સૂર્યદેવનો ક્રોધ આસમાને પહોંચી ગયો. તેમણે આ નગરને આકાશથી નીચે ઉતારી પાડવા પ્રખર તાપની વર્ષા કરી. આખું નગર એકદમ ગરમ થઈ ગયું. અસુરો અસહ્ય તાપને લીધે ત્રાહિમામ પોકારી ગયા. નગર ધીરે ધીરે ખરતા તારાની માફક પૃથ્વી તરફ ગતિ કરવા લાગ્યું.

નગરને પૃથ્વી તરફ સરકતું જોઈ સુકેશી હાંફળોફાંફળો મહેલમાંથી બહાર આવ્યો. તેણે જોયું કે નગર પૃથ્વી તરફ ધસી રહ્યું છે. નગરના અસુરો ક્રોધાવેશમાં આકુળવ્યાકુળ થઈ ગયા હતા. તેમને લાગતું હતું કે સુકેશીના સદુપદેશ અને સદાચારની નીતિએ જ તેમનું અદ્ય:પતન થયું છે. અહિંસા, દયા અને સદાચારની નીતિ વ્યર્થ છે.

નગરના અસુરોને શાંતિ ધારણ કરવાનો અનુરોધ કરતાં સુકેશીએ કહ્યું કે, ‘આપણાં પર આવી પડેલી વિપદાના નિવારણ માટે આપણે સૌએ ભગવાન શિવને પ્રસન્ન કરવા જોઈએ, તેઓ આપણું જરૂર કલ્યાણ કરશે. અહિંસા, સદાચાર અને સુવ્યવહાર કદી વ્યર્થ જતો નથી, આપણી ધારણાઓ જો બધી સિદ્ધ થતી હોત તો પછી ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ કોણ કરે? થોડીક આવી પડેલી વિપદા કે કષ્ટના જે રોદણાં રૂએ તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી. સહન કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. દેવ, દાનવ કે માનવ દરેક જણ સુખ… સુખ…જ ઝંખ્યા કરે છે, પણ સુખની અનુભૂતિ થતી નથી. ‘શ્રદ્ધાવાન લભતે સુખમ’ના સૂત્રાનુસાર સુખ માટે શ્રદ્ધા જોઈએ. પાપ-પુણ્યના સિદ્ધાંતો પર રાખેલી શ્રદ્ધા સુખ લઈને આવે છે. શ્રદ્ધાવાળો આત્મા જ અન્યને સુખનો માર્ગ દાખવી શકે છે. આજે આપણી નગરી દુ:ખના દાવાનળમાં સળગી રહી છે અને આકાશમાંથી આપણી નગરી પૃથ્વી તરફ ધસી રહી છે, ત્યારે આપણે શાંતિ રાખવાની જરૂર છે. સાચી શ્રદ્ધાવાળો જ સાચું મન:સ્વાસ્થ્ય પામી શકે છે. આપણે ભગવાન શિવને પ્રસન્ન કરવા તપ અને સાધનાના માર્ગે આગળ ધપવાનું છે. અટકવાનું માત્ર વિસામો લેવા માટે. વિસામો ગતિને વેગવંતી બનાવનાર હોય છે અને ગતિ કે પ્રગતિને વેગવંતી બનાવે તે જ વિસામો કહેવાય.’

આપણ વાંચો:  વિશેષ : દેવોને ભોજનમાં અપાતી પાંચ આહુતિનું રહસ્ય!

વધુમાં જણાવતાં કહે છે કે, બાંધેલાં કર્મો અવશ્ય ભોગવવા પડેલ છે, જ્યાં સુધી આત્મા કર્મપરવશ છે, ત્યાં સુધી આ સ્થિતિનો અંત આવશે નહીં, માટે જીવનમાં જો કોઈ મહાન પુરુષાર્થ કરવા જેવો હોય તો તે કર્મોનાં બંધનો તોડવા માટે કરવાનો છે. આપણે મન, વચન અને શરીર આમ ત્રણ પ્રકારથી સારાં અને ખરાબ કર્મો કરતાં હોઈએ છીએ. સારાં કર્મોનું ફળ સારું અને ખરાબ કર્મોનું ફળ ખરાબ મળ્યા વગર રહેતું નથી. કેટલાંક કર્મોનું ફળ તુરત અને કેટલાંક કર્મોનું ફળ ભવિષ્યમાં અને આ જન્મમાં ન મળે તો આવતા જન્મમાં પણ મળતું રહે છે. એનો મતલબ એ છે કે મન, વાણી અને કાયા વડે થયેલાં કર્મોનું ફળ મળ્યા સિવાય રહેતું નથી.

કર્મ ત્રણ પ્રકારના છે – 1) સંચિત કર્મ 2) પ્રારબ્ધ કર્મ અને 3) ક્રિયમાણ કર્મ. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button