ટૅક વ્યૂહ : મોબાઈલ સોફ્ટવેરની અપડેટ… કંઈ કરીએ જ નહીં તો શું ફેર પડે?!

-વિરલ રાઠોડ
દરેક વ્યક્તિએ નવો મોબાઈલ લેતી વખતે એ વાત તો સાંભળી જ હશે કે ચાર્જિંગ થયા બાદ મોબાઇલ સોફ્ટવેર અપડેટ કરી નાખવો જોઈએ. કોઈપણ ડિવાઇસમાં એની ઓપરેટિંગ સિસ્ટમ જુદી જુદી એપ્લિકેશનને રન કરવા માટેની જગ્યા આપે છે- એક માધ્યમ બનાવે છે. મોટાભાગના કેસમાં એવું માનવામાં આવે છે કે સોફ્ટવેર અપડેટ કરવાથી આખો ફોન અપડેટ થઈ જાય છે. ઘણા લોકો આને ફોનઅપડેટનું નામ પણ આપતા હોય છે. હકીકતમાં મોબાઇલની ઓપરેટિંગ સિસ્ટમમાં આવતી ઓટોમેટિક અપડેટને સોફ્ટવેર અપડેટ કહેવામાં આવે છે. જે મોબાઈલ ડીવાઈસને સ્મુથ અને જે તે એપ્લિકેશનને હેંગ થતા અટકાવે છે. ઘણીવાર સોફ્ટવેર અપડેટના ઘણા મેસેજ પણ આવે છે. પછી એક ચોક્કસ સમય બાદ આ સોફ્ટવેર કે એપ્લિકેશનની અપડેટ આવતી બંધ થઈ જાય છે.
આઇફોન હોય કે એન્ડ્રોઇડ, એના સોફ્ટવેર અપડેટ પરથી જાણી શકાય છે કે એ ઓપરેટિંગ સિસ્ટમનું વર્ઝન કયું છે. ખાસ કરીને એન્ડ્રોઇડ સોફ્ટવેરમાં જ્યારે અપડેટ આવે છે ત્યારે જે તે ઓપરેટિંગ સિસ્ટમના નામની સાથે ચોક્કસ નંબર અંકિત કરેલા હોય છે, જે ડિવાઇસના યુનિટ નંબરના અમુક આંકડા સાથે ઓપરેટિંગ સિસ્ટમના નંબરને દર્શાવે છે. આવી અપડેટ આવતા જ્યારે પણ તેને રન કરવામાં આવે છે ત્યારે મોબાઈલ ઓટોમેટિક સ્વીચ ઓફ થઈને પ્રોસેસમાં જતો રહે છે. સંપૂર્ણપણે સ્વીચ ઓફ થયા પછી પાંચથી સાત સેક્ધડમાં ફોન ફરી ચાલુ થાય છે. જેમાં દેખીતી રીતે તો ખ્યાલ નથી આવતો કે, આખરે શું અપડેટ થયું? હકીકતમાં ઓપરેટિંગ સિસ્ટમની કેટલીક ફાઈલ અપડેટ થાય છે, જેમાં જે તે એપ્લિકેશન માટેની સપોર્ટ ફાઇલ પણ આવી જાય છે.
બીજી તરફ ફોનની સ્પીડમાં પણ વધારો થાય છે. જેટલી વખત સોફ્ટવેર અપડેટ નોટિફિકેશન આવે એવા સમયે તાત્કાલિક ધોરણે અપડેટ કરવું જરૂરી હોતું નથી. જ્યારે ફોનનો ખાસ કોઈ લાંબા સમય પૂરતો ઉપયોગ ન હોય એવા સમયે આ અપડેટ કરી શકાય છે, જેમાં ઓપરેટિંગ સિસ્ટમની કેટલીક જરૂરી ફાઈલ ઇન્ટરનેટની મદદથી મોબાઇલમાં ઇન્સ્ટોલ થાય છે. મોબાઈલના જરૂરી સેટિંગ્સને કોઈ જ પ્રકારની હાનિ પહોંચાડ્યા વગર આ સોફ્ટવેર એપ્લિકેશન અપડેટ થાય છે. હા, જ્યારે કોઈ ચોક્કસ એપ્લિકેશનને અપડેટ કરવામાં આવે ત્યારે મોબાઈલના ડેટાને પ્રત્યક્ષ કે પરોક્ષ અસર તો થાય છે.
મોટાભાગના કેસમાં મોબાઇલ જ્યારે નવો લેવામાં આવે ત્યારે આવી સોફ્ટવેર અપડેટ સૌથી વધારે આવતી હોય છે. આવી સોફ્ટવેર અપડેટ ફોન લીધા પછીના બે થી ત્રણ વર્ષ સુધી ચોક્કસ સમયગાળાના અંતે આવે છે. ઘણી વખત બે વર્ષમાં મોબાઇલ અપડેટ આવ્યા બાદ તેને ઇન્સ્ટોલ કરવામાં ન આવે તો એ ડીવાઇસ પૂરતી સોફ્ટવેર અપડેટ બાકી રહે છે, જેને પછીથી અપડેટ કરી શકાય છે.
સતત બે થી ત્રણ વર્ષ મોબાઈલ વાપર્યા બાદ સોફ્ટવેર અપડેટ આવવાનું બંધ થઈ જાય તો એનો અર્થ કે, મોબાઈલ જૂનો થઈ ગયો અથવા કામ કરવાનું બંધ કરી દેશે. સોફ્ટવેર અપડેટ મોબાઈલ ફોન નવો હોય ત્યાં સુધી છે આવે છે. જેમ જેમ મોબાઈલ જૂનો થતો જાય તેમ સોફ્ટવેર અપડેટ આવતા બંધ થઈ જાય છે. એ પછી એપ્લિકેશન માટેની અપડેટ પણ આવતી બંધ થઈ જાય છે. આ પાછળનું કારણ એ છે કે, જો સતત કોઈ અપડેટ એપ્લિકેશન કે સોફટવેરની આવતી રહે તો નવા ડીવાઈસના વેચાણમાં સીધો જ ફેર પડે છે. ઘણીવાર સોફ્ટવેર ઇન્સ્ટોલ થતી વખતે વધુ પડતી જગ્યા રોકે તો બીજી એપ્લિકેશન પણ ધીમી પડી
શકે છે.
આ જ કારણ છે કે, નવા ફોનમાં સોફ્ટવેર કે એપ્લિકેશનને ફટાફટ અપડેટ કરવામાં આવે છે. હવે નાનો પણ મહત્ત્વનો સવાલ એ છે કે, જો આમાંનું કંઈ જ અપડેટ ના કરીએ તો શું થાય? એક જ લાઇનનો જવાબ છે. કંઈ જ ન થાય. હવે જે એપ્લિકેશનનો ઉપયોગ નથી એને અપડેટ કરવાની જરૂર નથી. સોફ્ટવેર અપડેટ ન કરો તો પણ ફોન મસ્ત અને સ્મુથ જ ચાલે છે. નવા ઇન્સ્ટોલ થયેલા અપડેટમાં રોકાતી જગ્યાને બીજી એપમાં પણ ઉપયોગ કરી શકાય છે. બસ, ધ્યાન એ વાતનું રાખવાનું છે કે, વારંવાર સોફ્ટવેર અપડેટ અને એપ્લિકેશનની કડાકૂટ ના કરવી હોય તો મોબાઈલ સ્વીચ ઓફ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું.
બીજી ખાસ વાત એ છે કે, આવા સોફ્ટવેર અપડેટમાં શું નવું છે એની વિગત એના નોટિફિકેશનમાં જ હોય છે. એપ્લિકેશનમાં પણ આ વાત લાગુ પડે છે.
આઉટ ઓફ બોક્સ
જાણીને નવાઈ લાગશે કે, ગૂગલ પ્લે સ્ટોરમાં ગેમ્સ એપ નહીં, પણ યુટીલીટી એપની સંખ્યા વધારે છે. જ્યારે સૌથી ઓછી એપ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટની છે.
આપણ વાંચો : ટૅક વ્યૂહ : સર્વિસ ક્રેશ ને યુઝર્સ હેંગ… સર્વર સ્લો કેમ થાય છે?