પહલગામ હુમલા પર શંકરસિંહ વાઘેલાનો સવાલ: “આતંકવાદીઓ રાજકીય પીઠબળ વિના ન આવી શકે!”
ભાજપ 30 વર્ષે લોખંડની જેમ કાટ ખાઈ ગઈ: શંકરસિંહ વાઘેલા

અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના વડા અને ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે સમાચાર એજન્સી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “5 લાખથી વધુ સેનાના જવાનો તૈનાત છે અને પાકિસ્તાનથી આવવાના માર્ગો સઘન દેખરેખ હેઠળ છે. તો આતંકવાદીઓ ક્યાંથી આવ્યા? આતંકવાદીઓ ક્યારેય ધર્મ પૂછતા નથી. તેઓ અત્યારે ક્યાં છે? આનો અર્થ એ છે કે આવા કિસ્સાઓ રાજકીય પીઠબળ વિના થઈ શકે નહીં.
કોની વાત માનીને સરેન્ડર થઈ ગયા?
ઓપરેશન સિંદૂર પર વાત કરતાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે આટલા દિવસો સુધી કોઇ તપાસ ન થઈ જેનો સિંદૂર માથા પરથી તે બહેનોને તો પૂછો કે શું હાલત છે? તે બધુ ભૂલી ગયા અને તમાશો કરવા લાગ્યા, માર્કેટિંગ કરવા, પાર્ટી માટે. શા માટે પ્રોટેક્શન ન આપ્યું? પાકિસ્તાનની સામે પણ શું કર્યું? કેટલા પાકિસ્તાની માર્યા ગયા? કોની વાત માનીને સરેન્ડર થઈ ગયા? ટ્રમ્પની વાત માનીને સરેન્ડર કર્યું? જો આતંકી ઠેકાણાઓની માહિતી હતી તો પછી લોકોને મારે તે પહેલા જ નષ્ટ કરવા જોઈતા હતા.
ભાજપને કોઈ વિકલ્પ ન હોવાથી લોકો પસંદ કરે છે
ગુજરાતમાં યોજાનારી પેટાચૂંટણીઓ અંગે વાત કરતા પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના વડા અને પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપ 30 વર્ષથી સત્તામાં છે. આટલા સમયમાં તો લોખંડ પણ કાટ ખાઈને ધૂળ બની ગયું હોત. લોકો વારંવાર ભાજપને એટલા માટે પસંદ કરે છે કારણ કે તેમની પાસે કોઈ સારો વિકલ્પ નથી.”
શંકરસિંહ વાઘેલાએ તેમની પાર્ટીના ઉદ્દેશ્ય અંગે જણાવ્યું હતું કે, “પક્ષ કોઈ પણ હોય, અમે હંમેશા લોકોના કલ્યાણ માટે કામ કર્યું છે, પછી ભલે તે અહીં ગુજરાત હોય કે દિલ્હીમાં. અમે લોકોના જીવનને સમર્પિત કર્યું છે.” તેમણે ગુજરાતમાં આગામી કડી અને વિસાવદર બેઠકોની પેટાચૂંટણીઓમાં લોકોને પોતાની પાર્ટીને મત આપવા અપીલ કરી હતી.
આપણ વાંચો : શંકરસિંહ વાઘેલાના ભાજપ પર ગંભીર આક્ષેપ! ગોધરા-અક્ષરધામ-પુલવામાકાંડ કરીને સત્તા મેળવી…