સુરતના માંગરોળમાં ગેસ ગળતરની ઘટના; કંપનીમાં ટાંકી સાફ કરતા બે મજૂરોના મોત

સુરત: ગુજરાતમાં ગેસ ગળતરની ઘટનાઓનો સિલસિલો યથાવત છે, ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાના બોરસરા પાસે આવેલી મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં આજે વધુ એક કરુણ દુર્ઘટના બની છે. કંપનીમાં રિએક્ટરના મેઈન્ટેનન્સ દરમિયાન ટાંકી સાફ કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ગેસ ગળતર થતાં બે કામદારોના ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યાં છે.
ઝેરી ગેસના કારણે બે કામદારોના મોત
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃત્યુ પામેલા કામદારોના નામ રાજન શર્મા (ઉત્તર પ્રદેશ) અને રાજન સિંઘ (બિહાર) છે. ગેસ ગળતરની ઘટના બનતા જ બંનેને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે, વધુ સારવાર મળે તે પહેલાં જ ઝેરી ગેસની ગંભીર અસરના કારણે બંને શ્રમિકોએ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ પ્રશાસન દ્વારા કોસંબા પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, “અંકલેશ્વરની હોસ્પિટલમાંથી અમને બે કામદારોના મોત નીપજ્યા હોવાની જાણ થઈ હતી. જેમાં યુપી અને બિહારના બે કામદારોનું ઝેરી દવાની અસરથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને મંગલમૂર્તિ બાયોટેક કંપનીની સ્થળ તપાસ માટે આવ્યા છીએ.”
આ પણ વાંચો - અમદાવાદ, ગાંધીનગરમાં મેટ્રોના કોપર કેબલ ચોરનારી ગેંગ ઝડપાઈ, આવી હતી મોડસ ઓપરેન્ડી
બે વર્ષથી કંપનીમાં કાર્યરત હતા મૃતકો
મૃતક રાજન શર્મા અને રાજન સિંઘ છેલ્લા બે વર્ષથી મંગલમૂર્તિ કંપનીમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ મૃતકોના પરિવારજનો અને કંપનીના અન્ય કર્મચારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ ખાતે શોકનો માહોલ છવાઈ ગયો હતો અને પરિવારોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. સમગ્ર મામલે કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ અને કંપનીની બેદરકારી અંગે તપાસ ચાલી રહી છે.