ગુજરાતમાં કોવિડ-19ના વધતા કેસ વચ્ચે આરોગ્ય પ્રધાને શું આપ્યું નિવેદન?

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના વધતાં કેસ વચ્ચે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જનતાને ખાતરી આપી કે ગભરાવાની કોઈ જરૂર નથી. તેમણે જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા પણ સૂચવવામાં આવ્યું છે તેમ, વાયરસ હળવો છે. તેમણે શરદી અને ઉધરસ જેવા લક્ષણો ધરાવતા લોકોને મૂળભૂત સાવચેતી રાખવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે સરકાર પાસે દવાઓનો પૂરતો સ્ટોક છે અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સપ્લાય સહિત સારી રીતે તૈયાર આરોગ્ય સંભાળ વ્યવસ્થા છે.
વડોદરામાં છ મહિનાના બાળકને કોરોનાનો ચેપ લાગ્યો છે. બાળકને સયાજી હોસ્પિટલના આઈસોલેશનમાં દાખલ કરવામાં આવ્યું હતું. વડોદરામાં કોરોનાના કેસનો આંકડો 17 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા 6 જૂને જાહેર કરેલા આંકડા મુજબ, ગુજરાતમાં કોરોનાના 170 નવા કેસ નોંધાયા હતા. કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 717 પર પહોંચ્યો હતો. 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 694 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. 68 દર્દીને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - વડોદરામાં છ મહિનાના બાળકને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો શું છે શહેરની સ્થિતિ…
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5755 પર પહોંચી છે. કેરળમાં સૌથી વધુ 1806 એક્ટિવ કેસ છે. બીજા ક્રમે ગુજરાતમાં 717 એક્ટિવ કેસ છે. દિલ્હીમાં 665, પશ્ચિમ બંગાળમાં 622 અને મહારાષ્ટ્રમાં 577 એક્ટિવ કેસ છે.