વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! રમકડાનો LED બલ્બ ગળી ગયું નવ માસનું બાળક, 19 દિવસ બલ્બ રહ્યો અંદર

અમદાવાદ: બાળરોગ સર્જરી સપ્તાહની ઉજવણી વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો, જેમાં નવ માસનું માસૂમ બાળક રમકડાનો એલઈડી બલ્બ ગળી ગયું હતું, જે તેની શ્વાસનળીમાં ફસાઈ ગયો હતો. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જનોએ સફળ સર્જરી કરીને આ બલ્બને બહાર કાઢી બાળકના જીવને બચાવ્યો હતો.

છેલ્લા 15 દિવસથી બાળકને આવતી હતી ઉધરસ
મળતી વિગતો અનુસાર જૂનાગઢના માંગરોળના રહેવાસી જુનેદ યુસુફ અને તબસ્સુમબેનના 9 માસના પુત્ર મોહમ્મદને છેલ્લા 15 દિવસથી ઉધરસ આવતી હતી. જૂનાગઢમાં બાળરોગ નિષ્ણાતને બતાવતા છાતીના એક્સ-રેમાં શ્વાસનળીમાં કંઈક ફસાયેલું હોવાનું જણાયું હતું. રાજકોટની ખાનગી હોસ્પિટલે વધુ તપાસની ભલામણ કરી હતી, પરંતુ તેનો ખર્ચ પરિવારને પોષાય તેમ ન હોવાથી તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

તા. 3 જૂન, 2025 ના રોજ બાળકને તાત્કાલિક પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી અને એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. નિલેશ અને તેમની ટીમે બાળકની બ્રોન્કોસ્કોપી કરીને જમણી તરફની મુખ્ય શ્વાસનળીમાંથી એલઈડી બલ્બ સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો. ઓપરેશન પછી બાળકની તબિયત ઝડપથી સુધરી રહી છે અને ટૂંક સમયમાં તેને રજા આપવામાં આવશે તેમ ડોક્ટરોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો - વડોદરામાં છ મહિનાના બાળકને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો શું છે શહેરની સ્થિતિ…
માતાપિતા માટે ચેતવણી અને સિવિલ હોસ્પિટલનો આશાનો કિરણ
બાળકના પિતા જુનેદભાઈએ જણાવ્યું હતું કે, “છેલ્લા ઓગણીસ દિવસથી આમથી તેમ અમારા બાળકની તકલીફની સારવાર માટે દોડી રહ્યા હતા, પણ છેલ્લે સાચી સારવાર સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં જ મળી.” સિવિલ હોસ્પિટલ અમદાવાદના તબીબી અધિક્ષક અને બાળરોગ વિભાગના વડા ડૉ. રાકેશ જોષીએ આવા વારંવાર બનતા કિસ્સાઓ પરથી માતાપિતા અને પરિવારજનોને શિખામણ લઈ વધુ સાવચેત રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ કિસ્સો માતાપિતા માટે લાલબત્તી સમાન છે કે નાના બાળકોને રમકડાં આપતી વખતે અને તેમની આસપાસની વસ્તુઓ પર વિશેષ ધ્યાન આપવું અત્યંત જરૂરી છે.