નેશનલ

બિહારમાં જામશેઃ ચિરાગ પાસવાનના મુખ્ય પ્રધાન બનવાના ઓરતા ને નીતિશની ખુરશી ન છોડવાની જીદ

ચિરાગ પાસવાને CMના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની કરી જાહેરાત

પટના: બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તમામ પક્ષના નેતાઓએ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. નિતીશ કુમારનો પક્ષ જનતા દળ(યુ) આ વર્ષે પણ એનડીએ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. બિહારનો એક ઈતિહાસ રહ્યો છે કે, 2015થી લઈને અત્યારસુધી નીતિશ કુમારે પોતાનું મુખ્ય પ્રધાનનું પદ સાચવી રાખ્યું છે. પરંતુ આ વખતે બિહારમાં નવાજૂની થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કારણ કે એનડીએ સાથે જોડાયેલી પાર્ટી લોજપા(રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાને પોતે મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

2025ની વિધાનસભાની ચૂંટણી બાદ નીતિશ કુમાર મુખ્ય પ્રધાન બનશે નહીં, આવી અટકળો તેમના વિરોધીઓએ વહેતી કરી છે. જેના માટે તેમના સ્વાસ્થ્યને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. ત્યારે ચિરાગ પાસવાનની મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાતે તેમની ચિંતામાં વધારો કર્યો છે. ચિરાગ પાસવાનની જાહેરાતને લઈને બિહારના ભાજપના એક વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદે જણાવ્યું કે, “ચિરાગ માત્ર 4% વોટવાળા પાસવાનોના નેતા બનીને પોતાને સીમિત રાખવા ઈચ્છતા નથી. તેમને પોતાનો આધાર વધારવો છે, તેના માટે પોતાની ચાલ ચાલી રહ્યા છે.”

આગામી નીતિશ કુમાર બનવા ઈચ્છે છે ચિરાગ પાસવાન

બિહારના ભાજપના નેતાઓના એક વર્ગનું માનવું છે કે, “ચિરાગ વારંવાર કહીં રહ્યા છે કે તેઓ બિહાર જઈને સામાન્ય બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. તેમની આ વાત દર્શાવે છે કે, બિહારની રાજનીતિમાં તેઓ આગામી નીતિશ કુમાર બનવા ઈચ્છે છે. નીતિશ કુમારે લગભગ બે દાયકા સુધી બહુમત વગર કોઈ પાર્ટીના 20%થી વધારે વોટ શેરથી શાસન કર્યું છે.”

ભાજપ પાસે નીતિશ કુમાર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી

દિલ્હીમાં બેઠેલા ભાજપાના અગ્રહી નેતાઓનું કહેવું છે કે, “અમારી પાસે તમામ સહયોગી પક્ષોને સાથે રાખીને અને નીતિશ કુમારને આગળ રાખીને ચૂંટણી લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. નીતિશ કુમારનું સ્વાસ્થ્ય સારું નથી. પરંતુ તેમનો ચહેરો વોટ લાવે છે. તેઓનો વારસો મહત્ત્વપૂર્ણ છે. ભાજપા પાસે તેમની સાથે જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.”

આ પણ વાંચો -‏‏‎ દિલ્હીના સીએમ રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શ્લોક તિવારીની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, લોજપા(રામ વિલાસ) પક્ષ એ જનતા દળ (યુ) જેટલો મોટો પક્ષ નથી. લોકસભાની ચૂંટણીમાં લોજપાએ પાંચ બેઠકો પર ચૂંટણી લડી હતી અને 6.47% વોટ શેર સાથે જીત મેળવી હતી. જ્યારે એ જનતા દળ (યુ) પક્ષનો વોટ શેર 18. 52% વોટ શેર રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button