આ વખતે 25 થી 50 વર્ષના લોકોને ભરડામાં લઈ રહ્યો છે કોરોના, શરદી-ખાંસી નહીં જોવા મળે છે આ લક્ષણ…

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં નોંધાયેલા 700 કોવિડ પોઝિટિવ કેસોમાંથી અડધાથી વધુ કેસ 25 થી 50 વર્ષની વય જૂથમાં નોંધાયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રો મુજબ લગભગ10 % કેસ એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં હતા. તેમજ તાજેતરના કેસોમાં સિનિયર સિટીઝનની સંખ્યા પ્રમાણમાં ખૂબ ઓછી છે.
નવા કેસમાં જોવા મળ્યા આ લક્ષણ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોવિડથી મૃત્યુ પામેલા ત્રણ દર્દીઓ અમદાવાદના હતા. જેમની વય 18, 20 અને 47 વર્ષ હતી અને ત્રણેય મહિલાઓ હતી. અત્યાર સુધી, હોસ્પિટલાઇઝેશનનો દર લગભગ 5 % છે. ભારતમાં નોંધાયેલા મૃત્યુના સાત કેસોમાં, દર્દીઓને આંચકી, ન્યુમોનિયા, શ્વાસની બીમારી , હૃદય અને કિડની રોગ, હાઈ બ્લડ પ્રેશર અને કેન્સર જેવી સહ-બીમારીઓ હતી. નિષ્ણાતોએ જણાવ્યું કે નવા કેસોમાં મોટી સંખ્યામાં દર્દીઓ સ્નાયુઓનો દુખાવો, હાઈ ફીવર અને ઝાડાની ફરિયાદ કરે છે, જ્યારે ગંધ અને સ્વાદ ગુમાવવાના કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફ્લૂ જેવા લક્ષણોવાળા દર્દીઓનો સતત પ્રવાહ જોવા મળી રહ્યો છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમનો ટેસ્ટ કરાવવો જોઈએ.
શરૂઆતના 24 થી 48 કલાક મહત્ત્વના
ડૉક્ટરોના કહેવા પ્રમાણે, કોરોના સંક્રમણમાં પ્રથમ 24 થી 48 કલાક સુધી તીવ્ર શારીરિક દુખાવો, માથાનો દુખાવો અને તાવનો સમાવેશ થાય છે. સારવાર કરનાર ચિકિત્સકો સામાન્ય રીતે લક્ષણો આધારિત દવાઓ આપે છે. મોટાભાગના દર્દીઓએ ખાંસી, શરદી, નાક વહેવું, ગળું દુખવું વગેરે જેવા ફ્લૂ જેવા લક્ષણો દર્શાવ્યા હતા. શ્વસન સંબંધી તકલીફના બહુ ઓછા કેસો નોંધાયા હતા.
ડૉક્ટરના કહેવા પ્રમાણે હોસ્પિટલમાં દાખલ થયેલા કેટલાક દર્દીઓને જ ઓક્સિજન સપોર્ટની જરૂર પડી છે. ખૂબ નાના બાળકો મુખ્યત્વે તેમની માતાઓ સાથે હોય છે અને તેમને લક્ષણો આધારિત સારવાર પૂરી પાડવામાં આવે છે. કેટલાક કેસો ગંભીર બન્યા હતા. મોટાભાગના દર્દીઓની સ્થિતિમાં 48 કલાક પછી સુધારો જોવા મળ્યો હતો.