હરિયાણામાં આયુષ્યમાન કાર્ડ હેઠળ અમુક બીમારીઓની ખાનગી હોસ્પિટલમાં સારવાર બંધ: જનતામાં રોષ

ચંડીગઢ: ગરીબી રેખા નીચે જીવતા લોકો તથા મધ્યમ વર્ગના લોકો જો કોઈ બીમારીમાં સપડાય તો ખર્ચની ચિંતાના કારણે ખાનગી હોસ્પિટલમાં જવાનું વિચારતા ન હતા.
પરંતુ સરકારની આયુષ્યમાન કાર્ડ હેઠળ આવા લોકોની પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ નિ:શુલ્ક સારવાર કરવામાં આવતી હતી. પરંતુ ભાજપ શાસિત એક રાજ્યમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ ખાનગી હોસ્પિટલમાં કેટલીક બીમારીઓની સારવાર થશે નહીં.
હરિયાણા સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ હેઠળ મોતિયો, ગર્ભાશયનું ઓપરેશન, પિત્તની કોથળીનું ઓપરેશન, ઝાડા-ઉલ્ટીની બીમારી અને શ્વાસ સંબંધિત દમ જેવી બીમારીની સારવાર ખાનગી હોસ્પિટલમાં નહીં કરવામાં આવે એવો નિર્ણય લીધો છે.
ખાનગી હોસ્પિટલને રૂ. 200 કરોડની ચૂકવણી બાકી
પાછલા દિવસોમાં IMA હરિયાણાના અધ્યક્ષ ડૉ. મહાવીર જૈન, મહાસચિવ ડૉ. ધીરેંદ્ર સોની અને પૂર્વ અધ્યક્ષ ડૉ. અજય મહાજને સરકારી હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવારના ખર્ચની સમયસર ચૂકવણી ન થતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથોસાથ ખાનગી હોસ્પિટલના ડૉક્ટરોએ પણ સારવાર બંધ કરવાની ચેતવણી આપી હતી.
ત્યારબાદ લગભગ 700 ખાનગી હોસ્પિટલને 786 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. આ સિવાય 200 કરોડ રૂપિયાની ચૂકવણી બાકી છે. આવા સંજોગોમાં આયુષ્યમાન યોજના હેઠળ પાંચ બીમારીઓની સારવાર ખાનગી હોસ્પિટલમાં નહીં થાય એવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો.
હરિયાણા આરોગ્ય સુરક્ષા સત્તામંડળ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે, “ખાનગી હોસ્પિટલ આ પાંચ બીમારીઓની સારવાર ન કરે. આયુષ્યમાન કાર્ડ ધારકને જો આ પાંચ બીમારીઓની સારવાર આપવામાં આવશે તો તેના રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે નહીં. જો કોઈ ખાનગી હોસ્પિટલ આ પાંચ બીમારીઓની સારવાર કરવા ઈચ્છે અથવા ભૂલેચૂકે કરી દે તો પોર્ટલ તેના ખર્ચનો સ્વીકાર કરશે નહીં”
આપણ વાંચો: બિહારમાં 6 દિવસમાં કરોડથી વધુ ‘આયુષ્યમાન ભારત’ કાર્ડ જારી
બિલની ચૂકવણીથી આવશે સમાધાન: IMA
હરિયાણા આરોગ્ય સુરક્ષા સત્તામંડળ દ્વારા હાલ માર્ચ મહિનામાં થયેલી સારવારના ખર્ચની ચૂકવણી કરવામાં આવી રહી છે. IMAના પદાધિકારીઓએ જણાવ્યું કે, “એપ્રિલ પછી હવે મે અને જૂન મહિનો શરૂ થઈ ગયો છે.
ત્રણ મહિના મોડા ખર્ચ ચૂકવણી કરવાની જે સિસ્ટમ છે તે સ્વીકાર્ય નથી. સરકારે પોતાના નિર્ણય અંગે ફરી એકવાર વિચારવું જોઈએ. સારવાર બંધ કરાવી દેવાથી સમસ્યાનું સમાધાન આપવશે નહીં. બાકી બિલોની ચૂકવણીથી જ સમસ્યાનું સમાધાન આવશે.”
સરકારી હોસ્પિટલમાં થશે સારવાર
ઉલ્લેખનીય છે કે, આયુષ્યમાન ભારત યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ દ્વારા ખાનગી હોસ્પિટલમાં 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. સરકારી હોસ્પિટલો દર્દીઓથી ભરાયેલી છે અને તેમાં પણ સારવારના આધુનિક ઉપકરણોનો અભાવ છે.
ત્યારે સરકારે આયુષ્યમાન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને મોતિયો, ગર્ભાશયનું ઓપરેશન, પિત્તની કોથળીનું ઓપરેશન, ઝાડા-ઉલ્ટીની બીમારી અને શ્વાસ સંબંધિત દમ જેવી બીમારીની સારવાર સરકારી હોસ્પિટલમાં જ કરાવવા મજબૂર કર્યા છે.