‘છત્રપતિ શિવાજી મહારાજ સર્કિટ ટ્રેન’ને જબરદસ્ત પ્રતિસાદ, આ તારીખે થશે રવાના

મુંબઈઃ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC)એ ‘છત્રપતિ શિવાજી મહારાજ સર્કિટ ટ્રેન ટૂર’ શરૂ કરી છે, જેને પ્રવાસીઓ તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે. આ સર્કિટ જે નવમી જૂનના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (મુંબઈ)થી રવાના થશે. આ ટૂરને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
હેરિટેજ ટ્રેનનું બુકિંગ ફૂલ થઇ ગયું છે. કુલ 710 મુસાફરોએ આ યાત્રા માટે બુકીંગ કરાવ્યું છે, જેમાં 480 મુસાફરોએ ઇકોનોમી (સ્લીપર)માં, 190 મુસાફરોએ કમ્ફર્ટ (૩એસી)માં અને 40 મુસાફરોએ સુપિરિયર (2એસી)માં બુકિંગ કરાવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો - જુલાઈથી કચ્છ જવું બનશે વધુ સરળ, પ્રવાસીઓને મળશે આ ખાસ સુવિધા, અત્યારે જ જાણી લો…
“છત્રપતિ શિવાજી મહારાજ સર્કિટ” એ પાંચ દિવસની યાત્રામાં છત્રપતિ શિવાજી મહારાજના ગૌરવશાળી ઇતિહાસ અને ભવ્ય વારસાને પ્રદર્શિત કરવા માટે ખાસ ક્યુરેટેડ પ્રવાસ છે. આ પ્રવાસ મહારાષ્ટ્ર સરકાર, ભારતીય રેલવે અને IRCTCનો સંયુક્ત પ્રયાસ છે.
આ ટ્રેન મહાન છત્રપતિ શિવાજી મહારાજના જીવનના મહત્વપૂર્ણ પાસાઓને દર્શાવતા રાયગઢ કિલ્લો, શિવનેરી કિલ્લો, પ્રતાપગઢ કિલ્લો, પન્હાલા કિલ્લો, લાલ મહેલ, કસ્બા ગણપતિ અને શિવસૃષ્ટિ જેવા સ્થળોને આવરી લે છે. આ પ્રવાસ સુવિધા અને સુલભતા સાથે પ્રવાસીઓને મહારાષ્ટ્રના ભવ્ય ભૂતકાળ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જોવાનો અનુભવ કરાવે છે.