IPL 2025નેશનલ

બેંગલુરુ ભાગદોડ મામલે કર્ણાટક સરકારની કાર્યવાહીનો દોર CMO સુધી? અચાનક રાજકીય સચિવને કરાયા બરતરફ

બેંગલુરુ: આઇપીએલ 2025માં આરસીબીએ ટાઇટલ જીત્યા બાદ જીતની ઉજવણી દરમિયાન બુધવારે બેંગલુરુમાં સ્ટેડિયમ બહાર મચેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે અનેક જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકાર પર માછલાં ધોવાયા હતા અને બાદમાં સરકારે અનેક પોલીસ અધિકારીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા હતા. હવે કે. ગોવિંદરાજને કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાના રાજકીય સચિવના પદ પરથી તાત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવ્યા છે. જોકે, આ કાર્યવાહી બેંગલુરુ નાસભાગના મામલે કરવામાં આવી છે કે અન્ય કોઈ મામલે, તે હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવી નથી.

આ પણ વાંચો -‏‏‎ બેંગલુરુ ભાગદોડ કેસમાંથી કર્ણાટક ક્રિકેટ એસોસિએશને હાથ ખંખેર્યા, હાઇકોર્ટમાં અરજી કરી

ભાગદોડમાં 11 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે IPL 2025માં RCBની જીત બાદ બુધવારે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર આયોજિત સમારોહ દરમિયાન થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. આ મામલે પોલીસે RCB ફ્રેન્ચાઈઝી, DNA એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. હવે પોલીસે આ મામલે RCB અને આયોજનનું સંચાલન કરતી કંપની DNAના ચાર અધિકારીઓની ધરપકડ કરી છે.

પોલીસકર્મીઓ સામે કાર્યવાહી
આ પૂર્વે ગુરુવારે સાંજે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ જાહેરાત કરી હતી કે બેંગલુરુ ભાગદોડના મામલે પ્રાથમિક દ્રષ્ટિએ બેદરકારી અને બેજવાબદારી જોવા મળવાના આરોપમાં અનેક પોલીસકર્મી અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ગુરુવારે બેંગલુરુના પોલીસ કમિશનર બી. દયાનંદ, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ સી. બાલકૃષ્ણ, ડીસીપી (સેન્ટ્રલ ડિવિઝન) શેખર એચ. ટેકન્નાવર, એજીપી વિકાસ કુમાર વિકાસ અને કબન પાર્ક પોલીસ સ્ટેશનના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. ગિરીશને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હતા. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button