માંડવીના રાતા તળાવમાં માછલીઓના ભેદી મોત: પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા

ભુજઃ ચોમાસાંની ઋતુના આગમન પહેલાં સુકાઈ ગયેલાં અથવા ઓછી જળસપાટી ધરાવતા નાના-મોટા તળાવો, ચેકડેમોમાં સામાન્ય રીતે ઓછા ઓક્સિજનની માત્રાને લીધે હજારોની સંખ્યામાં જળચર જીવો મૃત્યુ પામતા હોય છે. પરંતુ મહત્વની વાત એ છે અત્યારે તો ભરેલાં જળાશયોમાં પણ સંખ્યાબંધ માછલીઓના ભેદી સંજોગોમાં મોત થઇ રહ્યા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે.
રૂપકડી માછલીઓ મોતથી પર્યાવરણપ્રેમીઓ દુખી
વિગતે વાત કરવામાં આવે તો, માંડવી તાલુકાના ગઢશીશા ખાતે આવેલા રાતા તળાવમાં અસંખ્ય રૂપકડી માછલીઓ મૃત અવસ્થામાં મળી આવતાં જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ છે. ગઢશીશાનના ઐતિહાસિક રાતા તળાવના કિનારે લોકો વોકિંગ માટે કે ફરવા માટે પણ જાય છે, પરંતુ હાલે દુર્ગંધના કારણે અહીંથી પસાર થવું પણ દુષ્કર બન્યું છે.
અગમ્ય કારણોસર અસંખ્ય માછલીઓનાં મોત
વરસાદ થવાના કારણે રમણીય તળાવમાં બારે મહિના સુધી છલોછલ પાણી ભરેલું રહે છે જે જળચરો માટે જીવાદોરી સમાન બન્યું છે અને આ તળાવની જાળવણી માટે ગ્રામજનો તથા પ્રકૃતિપ્રેમી સતત સક્રિય પણ રહે છે, પરંતુ હાલમાં આ તળાવમાં અગમ્ય કારણોસર પાણી દૂષિત થતાં અસંખ્ય નાની-મોટી માછલીઓનાં મોત થયાં છે. એક ફિશરીઝ વિભાગના એક અધિકારીએ આશંકા વ્યક્તિ કરી છે કે, ઑક્સિજનની માત્રા અત્યંત ઘટી જવાથી આ જળચરોના મોત થયા હશે.
આપણ વાંચો: અંજારના મેઘપરમાં 30 વર્ષીય યુવતી પર થયો એસિડ હુમલોઃ છ લોકો સામે નોંધાઈ ફરિયાદ
લેબ-ટેસ્ટિંગ કર્યા બાદ હકીકત જાણવા મળશે
આ બાબતે એક જાણીતા બાયોલોજીસ્ટ ડૉ. પ્રણવ પંડ્યાએ જણાવ્યું હતું કે હાનિકારક તત્વોથી મિશ્રિત પાણી પણ જળાશયમાં જમા થતું રહેતું હોય છે તેમજ પાણીમાં રહેલાં શેવાળ અને અન્ય પરિબળો ઓક્સિજન ગ્રહણ કરતા હોવાથી જળાશયમાં ઓક્સિજનની લેવલ નોંધપાત્ર રીતે ઘટી જવાથી અનેક માછલીઓના મોત થયા હોઈ શકે છે. આ સાથે હવે મરેલી માછલીના લેબ-ટેસ્ટિંગ કર્યા બાદ જ સાચું કારણ જાણવા મળશે તેમ જણાવ્યું હતું.