બેંગલૂરુની દુર્ઘટના, રાજ્ય સરકાર હાથ ખંખેરી ના શકે

-ભરત ભારદ્વાજ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઈનલમાં મંગળવારે રાત્રે પંજાબની ટીમને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ચેમ્પિયન બની ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના ચાહકોની ખુશીની કોઈ સીમા નહોતી. એક જ દિવસમાં એ ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ઉજવણી બુધવારે બેંગલૂરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સન્માન સમારોહ રખાયો હતો. વિજેતા ખેલાડીઓના સ્વાગત માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમની અંદર હજારોની ભીડ એકઠી થઈ ગઈ હતી ને બહાર લાખોની ભીડ જામી હતી.
આ એકઠી થયેલી ભીડમાં નાસભાગ મચતાં 11 લોકોના મોત થયાં અને 33 લોકો ઘાયલ થતાં રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB) ટીમના આઈપીએલ ચેમ્પિયન બનવાના ઐતિહાસિક વિજય સાથે એક કલંકિત પ્રકરણ જોડાઈ ગયું છે. આ દુર્ઘટના અત્યંત આઘાતજનક છે અને એટલું જ આઘાતજનક આ મુદ્દે શરૂ થઈ ગયેલું રાજકારણ છે. 11 લોકોની ચિતા પર રાજકીય ફાયદાનો રોટલો શેકવા માટે ભાજપ, કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો મેદાનમાં આવી ગયા છે અને આક્ષેપો-પ્રતિ આક્ષેપોનો મારો ચાલી રહ્યો છે.
ભાજપે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના રાજીનામાની માગણી કરી છે. ભાજપનું કહેવું છે કે, કૉંગ્રેસ સરકારની બેદરકારીને કારણે દુર્ઘટના થઈ છે તેથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. ભાગદોડમાં લોકોનાં મોત પછી પણ કાર્યક્રમ ચાલુ રખાયો હતો, લાશો પડતી હતી છતાં ઉજવણી ચાલુ રહી હતી. આમ આદમી પાર્ટીના કર્ણાટકના યુવા મોરચા પ્રમુખ લોહિત હનુમાનપુરાએ પોલીસમાં ફરિયાદ કરીને કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન અને ચિન્નાસ્વામી સ્ટેડિયમના સીઈઓ સામે એફઆઈઆર નોંધવાની માગ કરી છે.
કૉંગ્રેસે આ મુદ્દે ભાજપ રાજકારણ રમી રહ્યું છે એવો આક્ષેપ કર્યો છે પણ વાસ્તવમાં કૉંગ્રેસ પણ એ જ કરી રહી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ એવું કહ્યું કે, હું બચાવ નથી કરી રહ્યો પણ દેશમાં પહેલાં પણ ઘણા મોટા અકસ્માતો થયા છે. કુંભ મેળામાં 50-60 લોકોએ જીવ ગુમાવ્યા હતા. કર્ણાટકના મંત્રી અને કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેએ સરકારની ભૂલ સ્વીકારીને કહ્યું કે, યોગ્ય આયોજન અને સંકલન હોત તો આ અકસ્માત ટાળી શકાયો હોત.
પ્રિયાંકનો દાવો છે કે, ભાજપ આ મુદ્દે રાજકારણ રમી રહ્યો છે. સરકારે સાવ ટૂંકા સમયગાળામાં ખુલ્લી બસમાં પરેડ શક્ય નથી એવું કહેલું. જવાબમાં ભાજપે આક્ષેપ કરેલો કે, અમે ટીમનું અપમાન કરી રહ્યા છીએ. દુર્ઘટના પછી ભાજપ દ્વારા પોસ્ટ દૂર કરવામાં આવી છે અને અમારા પર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો….એકસ્ટ્રા અફેર : ટ્રમ્પના તુક્કાએ ભારત માટે તક ઊભી કરી દીધી
પ્રિયાંકની વાત સાચી છે કે ભાજપે પોસ્ટ મૂકીને રાજકીય ફાયદો લેવા પ્રયત્ન કર્યો હતો પણ બચાવ વાહિયાત છે કેમ કે સરકાર ભાજપની નહીં પણ કૉંગ્રેસની છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પણ સરકારની છે ને આયોજનની જવાબદારી પણ સરકારની જ છે. ભાજપે ગમે તે કહ્યું હોય, ખુલ્લી બસમાં પરેડ શક્ય નહોતી તો તેને મંજૂરી નહોતી આપવી જોઈતી. જીતના બીજા જ દિવસે પરેડ કરવી જરૂરી નહોતી.
રાજ્ય સરકારે યોગ્ય આયોજન માટે બે દિવસનો સમય લઈને પછી પરેડને મંજૂરી આપવી જોઈતી હતી પણ તેના બદલે ભાજપ રાજકીય ફાયદો ના લઈ જાય એટલે મંજૂરી આપી તેમાં દુર્ઘટના થઈ ગઈ. બેંગલોર પોલીસનું તો કહેવું છે કે, પરેડની મંજૂરી જ નહોતી લેવાઈ. મંજૂરી નહોતી તો પરેડ નીકળી કઈ રીતે એ પણ સવાલ છે.
કૉંગ્રેસ સરકારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર્સના મેનેજમેન્ટને પણ રોક્યું નહીં એ પણ તેની ભૂલ છે. આરસીબી મેનેજમેન્ટે સ્ટેડિયમમાં સન્માન સમારોહ યોજવાની જાહેરાત કરી નાખી છતાં સરકારે કશું ના કર્યું. સ્ટેડિયમમાં ફ્રી પાસ સાથે એન્ટ્રી અપાશે એવી જાહેરાત કરાયેલી અને આ ફ્રી પાસ આરસીબીની વેબસાઇટ પરથી લેવાના હતા. આરસીબીની જીતના કારણે બેંગલૂરુમાં ભારે ઉત્સાહ હતો તેથી બુધવારે જાહેરાત પછી મોટી સંખ્યામાં લોકો પાસ લેવા માટે વેબસાઇટ પર તૂટી પડ્યા તેમાં સાઇટ ક્રેશ થઈ ગઈ હતી. સરકારને એ વખતે જ ખબર પડી જવી જોઈતી હતી કે, અરાજકતા અને અંધાધૂંધી સર્જાવાની છે. રાજ્ય સરકારે તરત એક્શનમાં આવીને યોગ્ય આયોજનનાં પગલાં લેવાની જરૂર હતી પણ સરકારે કશું ના કર્યું. બીજું કંઈ નહીં તો કમ સે કમ સ્ટેડિયમ તરફ જતા રસ્તા પર પાસ સાથેના લોકો જ જાય એવી વ્યવસ્થા ગોઠવી હોત તો પણ સ્ટેડિયમની બહાર લાખોની ભીડ ના જામી હોત.
રાજ્ય સરકારે એ કશું કર્યું નહીં તેમાં પાસ મેળવનારાઓની સાથે પાસ વગરના લોકો પણ સ્ટેડિયમમાં પહોંચી ગયા. એક અંદાજ પ્રમાણે પાંચેક લાખ લોકો પહોંચી ગયેલા. સ્ટેડિયમની ક્ષમતા 35 હજાર લોકોની છે છતાં એક લાખ લોકોને અંદર લેવાયા અને ચારેક લાખ લોકો બહાર હતા. બપોરે લગભગ 3:30 વાગ્યે ભીડ વધી જતાં બધા દરવાજા બંધ કરી દેવાયા તેમાં પાસ ધરાવતા લોકો પણ અંદર પ્રવેશી શક્યા નહીં એટલે બબાલ શરૂ થઈ.
ટોળાએ સ્ટેડિયમમાં પ્રવેશવા માટે 12, 13 અને 10 નંબરના ગેટ તોડવાનો પ્રયાસ કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો તેમાં ગટરનો સ્લેબ તૂટી પડ્યો. બાકી હતું તે વરસાદ શરૂ થયો તેમાં નાસભાગ મચી ગઈ. પોલીસ આવા માહોલમાં બળપ્રયોગ કરીને ભીડને કાબૂમાં લેવા પ્રયત્ન કરે છે પણ ચાર લાખ લોકોને કાબૂમાં લેવા માંડ 5 હજાર પોલીસ હતા તેથી કોઈને રોકી શકાયા નહીં ને મોતનું તાંડવ થઈ ગયું.
રાજ્ય સરકારના આયોજનના અભાવના બ્લંડરને માફ કરી શકાય તેમ નથી પણ લોકોનો પણ વાંક છે. ભારતમાં સિવિલ સેન્સનો અભાવ છે અને ટોળાશાહીનું કલ્ચર છે. આ ટોળાશાહી હકારાત્મક નથી પણ તમાશો જોનારી ટોળાશાહી છે. લોકો શિસ્ત પાળતા નથી અને ઘેટાનાં ટોળાંની જેમ વર્તે છે. કશું સમજ્યા વિના ઘેટાંની જેમ એકની પાછળ બીજું ને બીજાની પાછળ ત્રીજું દોટ મૂકે એમ લોકો પણ દોટ મૂકવામાં આનંદ અનુભવે છે. તેના કારણે બીજા કોઈને તકલીફ પડશે, સમસ્યા સર્જાશે, અરાકજતા સર્જાશે તેની કોઈ પરવા કરતું નથી ને તેનો અંત લોકોનાં મોતમાં આવે છે. જે લોકો મર્યાં તેમને નિર્દોષ ના કહી શકાય કેમ કે એ બધાં પણ ગેરશિસ્તનો ભાગ હતાં જ પણ નાનકડી ગેરશિસ્તની કિંમત તેમણે પોતાના જીવ આપીને બહુ મોટી ચૂકવી એ જોઈને ખરેખર અફસોસ થાય.
આ પણ વાંચો….એકસ્ટ્રા અફેર : સ્ટારશિપની સફળતા માનવજાતનો ઈતિહાસ બદલી નાખશે