પીએમ મોદી આજે કરશે વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલ્વે પુલનું ઉદ્ઘાટન, અશ્વિની વૈષ્ણવે શેર કર્યો વિડીયો

નવી દિલ્હી : પહલગામ આતંકવાદી હુમલા બાદ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વાર જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. તેઓ સવારે 11 વાગ્યે ઉધમપુરથી બનિહાલ સુધીના વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલ્વે પુલનું ઉદ્ઘાટન કરશે. તેની બાદ તેઓ આ જ રૂટ પર બનેલા અંજી પુલનું પણ ઉદ્ઘાટન કરશે. જે ખાસ કેબલ સ્ટેઇડ ટેકનોલોજીથી બનેલો દેશનો પહેલો પુલ છે. ચેનાબ રેલ્વે પુલના ઉદ્ઘાટન પૂર્વે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે, જેની સાથે તેમણે કેપ્શન લખ્યું છે, “અમે સપના નહી હકીકત સાકાર કરીએ છીએ” રેલ્વે મંત્રી દ્વારા શેર કરાયેલા વીડિયોમાં, રેલ્વે પુલની ભવ્યતા જોવા જેવી છે. આ પુલ કાશ્મીર ખીણને સમગ્ર ભારત સાથે જોડશે અને અહીં વેપાર, પર્યટન અને ઉદ્યોગને પ્રોત્સાહન આપશે.
આ પુલ એફિલ ટાવર કરતા 29 ફૂટ ઊંચો
ચેનાબ નદી પર બનેલો આ પુલ પેરિસના એફિલ ટાવર કરતા 29 ફૂટ ઊંચો છે. મોદી સરકારે પહાડી વિસ્તારોમાં રેલ્વે લાવવાનું કામ શરૂ કર્યું હતું. આજે આ પુલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. જે સરકારની સૌથી મોટી સિદ્ધિઓમાં સામેલ છે.
બંને પુલ એક જ રેલ્વે ટ્રેક પર બનેલા
ચેનાબ પુલ અને અંજી પુલ એન્જિનિયરિંગના ઉત્તમ ઉદાહરણો છે. આ બંને પુલ ટૂંક સમયમાં કાશ્મીર ખીણની નવી જીવનરેખા બનશે. એક તરફ વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ છે અને બીજી તરફ દેશનો પહેલો કેબલ-સપોર્ટેડ રેલ્વે પુલ છે, જેના પર ટ્રેનો હાઇ સ્પીડથી દોડશે. આ બંને પુલ એક જ રેલ્વે ટ્રેક પર બનેલા છે અને હિમાલયની પીર પંજાલ શ્રેણીમાં મજબૂત રીતે ઉભા છે.
આ પણ વાંચો….ભારતીય રેલ્વેએ વિશ્વના સૌથી ઊંચા ‘ચેનાબ રેલ બ્રિજ’નું કર્યું સફળ ટ્રાયલ