બેંગલુરુ ભાગદોડ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, આરસીબીના અધિકારીઓ સહિત ચારની ધરપકડ

બેંગલુરુ: આઇપીએલ 2025માં આરસીબીએ ટાઇટલ જીત્યા બાદ જીતની ઉજવણી દરમિયાન બુધવારે બેંગલુરુમાં સ્ટેડિયમ બહાર ભાગદોડ મચી હતી. જેમાં 11 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. જેની બાદ સરકાર એક્શન મોડમાં છે. તેમજ ગુરુવારે સાંજે સરકારે શહેર પોલીસ કમિશ્નર સહિત અનેક પોલીસ અધિકારીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા છે.
સરકારના આદેશ પર આજે હવે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરસીબી માર્કેટિંગ હેડ નિખિલ સોસલે સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નિખિલ મુંબઈ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
એફઆઈઆરમાં ગુનાહિત બેદરકારીની ઉલ્લેખ
બેંગલુરુમાં ભાગદોડના કેસમાં RCB, DNA (ઇવેન્ટ મેનેજર), KSCA વહીવટી સમિતિ અને અન્ય લોકો સામે ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆર ભાગદોડની ઘટનામાં ગુનાહિત બેદરકારી અંગેની છે. જેમાં પોલીસે નોંધેલી એફઆઇઆરમાં કલમ 105, 125 (1)(2), 132, 121/1, 190 R/W 3 (5) હેઠળ નોંધવામાં આવી છે.
હાઈકોર્ટે સુઓમોટો અરજી લીધી
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડની કર્ણાટક હાઈકોર્ટે સુઓમોટો અરજી લીધી છે. કોર્ટે કર્ણાટક સરકાર પાસેથી ઘણા આકરા પ્રશ્નો પૂછ્યા છે. કોર્ટે સરકારને પૂછ્યું- જો ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને છે, તો શું તમારી પાસે કોઈ યોજના છે. જેમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે કહ્યું- સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે. કોર્ટે ભાગદોડની ઘટના અંગે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી 10 જૂને છે.
આ પણ વાંચો….બેંગલુરુ ભાગદોડ કેસમાં મોટી કાર્યવાહી, પોલીસ કમિશ્નર સહિત અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ