2014માં જોયેલું સ્વપ્ન આજે પૂર્ણ થયું, સમૃદ્ધિ મહામાર્ગ સમૃદ્ધિ કોરિડોર છે: દેવેન્દ્ર ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાળાસાહેબ ઠાકરે સમૃદ્ધિ મહામાર્ગનો અંતિમ તબક્કો ખુલ્લો થઈ ગયો, એ મહાયુતિ સરકાર માટે ખૂબ જ આનંદની વાત છે. 2014માં રાજ્યમાં મહાયુતિ સરકાર સત્તામાં આવ્યા પછી જોયેલું સ્વપ્ન આજે અહીં પૂર્ણ થઈ રહ્યું છે. સમૃદ્ધિ મહામાર્ગ એ કોઈ રસ્તો નથી, પરંતુ સમૃદ્ધિનો કોરિડોર છે, એવા શબ્દોમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાસિકના ઇગતપુરીથી થાણેના અમને ગામ સુધીના 76 કિમી લાંબા હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગના અંતિમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ, તેઓ એક પત્રકાર પરિષદમાં બોલી રહ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. છેલ્લા તબક્કાનું ઉદ્ઘાટન મહાયુતિના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં, અમે આ હાઇવેને વાઢવણ બંદર સાથે જોડી દઈશું. સૌથી પહોળી ટનલ ઇગતપુરીમાં છે. પણ અમે તેનો રેકોર્ડ તોડીશું. આમાં અદ્યતન ફાયર સિસ્ટમ લગાવવામાં આવી છે. જ્યારે તાપમાન 60 ડિગ્રી સુધી પહોંચે, ત્યારે પાણીનો છંટકાવ આપમેળે શરૂ થવા લાગશે. અકસ્માત થાય તો વધારાની ટનલ બનાવવામાં આવી છે. આ તબક્કામાં, ઇગતપુરી, ખુટઘર અને અમને ખાતે ત્રણ ઇન્ટરચેન્જ મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુડ ન્યૂઝ: મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઇવે 5 જૂને સંપૂર્ણ શરુ થશે, સમયની બચત થશે
વન વિભાગને આ હાઇવે પર મોટા પાયે વૃક્ષારોપણ કરવાની સૂચના આપવામાં આવી છે. 1,000 ખેત તળાવ બનાવવામાં આવ્યા છે. 22 સ્થળોએ સુવિધા કેન્દ્રો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાઇવે પર ઇલેક્ટ્રોનિક ટોલ સિસ્ટમ છે અને 61 ટોલ પ્લાઝા છે. 14 કિમી ફાઇબર ઓપ્ટિક નાખવામાં આવ્યું છે. આ હાઇવે અકસ્માતમુક્ત કેવી રીતે બની શકશે એનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.
આ પ્રોજેક્ટને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણના આધારે રાજ્યના ગ્રામીણ વિસ્તારો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ હાઇવે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે, જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ અને શિરડી, અજંતા-વેરુલ ગુફાઓ, લોણાર તળાવ અને અન્ય પર્યટન સ્થળોને જોડે છે. મહારાષ્ટ્ર માટે દેશના વિકાસ એન્જિન સમાન હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ ખરેખર સમૃદ્ધિની રેખા છે.
આ પણ વાંચો: સમૃદ્ધિ અને મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ઇલેક્ટ્રિક વાહનોને ટોલમાંથી ‘મુક્તિ’ આપવાનો પ્રસ્તાવ…
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ પ્રસંગે કહ્યું હતું કે 701 કિમી લાંબો આ પ્રોજેક્ટ દેશ અને મહારાષ્ટ્ર માટે ગેમ ચેન્જર છે. આ સૌથી મુશ્કેલ પ્રોજેક્ટ હતો. કેટલાકને લાગતું હતું કે આ પ્રોજેક્ટ ક્યારેય બનશે નહીં. અથવા તેઓ તેને બનતા અટકાવવાના બધા જ પ્રયાસ કરી રહ્યા હતા. આ હાઇવેને કારણે 10 જિલ્લાઓ સીધા અને 14 આડકતરી રીતે જોડાયેલા છે.
અગાઉ, મુસાફરીમાં 18 કલાકનો સમય લાગતો હતો. હવે તેમાં 8 કલાક લાગશે. વન્યજીવન માટે 100 અંડરપાસ બનાવવામાં આવ્યા છે. માણસો માટે રસ્તો તૈયાર કરતી વખતે, વન્યજીવનને ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ હાઇવે કૃષિ, પર્યટન અને ઔદ્યોગિક વિકાસને વેગ આપશે. આ રસ્તો નાશિકના વિકાસને વેગ આપશે.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે સમૃદ્ધિ હાઇવે દેવેન્દ્ર ફડણવીસનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. શરૂઆતમાં ઘણા લોકોએ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો, પરંતુ દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન હતા ત્યારે આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને મુખ્ય પ્રધાન છે ત્યારે તેમણે તેને પૂર્ણ કર્યો છે. આવું સંયોજન ખૂબ જ દુર્લભ છે.