
બેંગલૂરુમાં આધેડ વયના પિતાએ 20 વર્ષીય પુત્રના મૃત્યુના આઘાતમાં પૂછ્યો આ સવાલ
બેંગલૂરુઃ બુધવારે અહીં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના પ્રથમ આઇપીએલ-ચૅમ્પિયનપદની ઉજવણી વખતે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. CHINNASWAMY STADIUM) નજીક હજારો લોકોમાં નાસભાગ અને ધક્કામુક્કીની અને 11 જણના મૃત્યુની જે આઘાતજનક ઘટના બની ગઈ એને પગલે કર્ણાટક રાજ્ય સરકારે મૃત્યુ પામેલી દરેક વ્યક્તિના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય (ASSISTANCE) જાહેર કરી ત્યાર પછી આરસીબીના ફ્રૅન્ચાઇઝીએ પણ દરેક મૃતકના ફૅમિલીને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જોકે આ સહાય જાહેર કરવામાં આવી એના ગણતરીના કલાકોમાં એક પિતાએ આ ઘટનામાં પુત્ર ગુમાવ્યો હોવાની વિગતો આપવાની સાથે સ્ટેડિયમ બહારની ગેરવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર માટે સામો સવાલ કર્યો હતો કે `હું 50 લાખ રૂપિયા આપવા તૈયાર છું, શું તેઓ મારો દીકરો પાછો લાવી આપશે?’
દેવરાજ એન. ટી. નામના શખસની બેંગલૂરુમાં પાણી-પૂરી અને અન્ય ખાદ્ય ચીજોની દુકાન છે. તેનો 20 વર્ષીય પુત્ર મનોજ કુમાર પ્રેસિડન્સી કૉલેજમાં બીબીએની ડિગ્રી મેળવવા મક્કમ હતો. દેવરાજ જ્યારે ટીવી પર સ્ટેડિયમ બહારની નાસભાગની ઘટના જોઈ રહ્યા હતા ત્યારે તેમણે પુત્રને ફોન કર્યો હતો, પણ બીજા કોઈએ કૉલ રિસીવ કર્યો એટલે દેવરાજ ગભરાઈ ગયા હતા. થોડી વાર પછી પોલીસે તેમને ફોન કરીને હૉસ્પિટલમાં આવવા કહ્યું હતું જ્યાં દેવરાજ પુત્રનો મૃતદેહ જોવા હિંમત એકઠી નહોતા કરી શક્યા.
આ પણ વાંચો – બેંગલુરુમાં આઇપીએલની જીતની ઉજવણી દરમિયાન માત્ર 1000 પોલીસ તૈનાત, અપૂરતી સુરક્ષા વ્યવસ્થાની પોલ ખૂલી
નાસભાગની આ ઘટના બદલ સ્થાનિક લોકો રાજ્ય સરકારને અને સ્થાનિક સત્તાવાળાઓને તેમ જ આરસીબીના મૅનેજમેન્ટને જવાબદાર ગણાવી રહ્યા છે.
દરમ્યાન, બેંગલૂરુની ઘટનામાં 11 જણના મૃત્યુ થવા ઉપરાંત બીજા 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આરસીબીના મૅનેજમેન્ટે ઘાયલ થયેલા લોકોની સહાયાર્થે આરસીબી કેર્સ નામનું ફંડ પણ ઊભું કર્યું છે.
આ ઘટના સંદર્ભમાં રાજ્ય સરકારે મૅજિસ્ટ્રેટ સ્તરે તપાસ શરૂ કરી છે જેનો અહેવાલ એક પખવાડિયામાં આવી જવાની સંભાવના છે.