બેંગલુરુમાં આઇપીએલની જીતની ઉજવણી દરમિયાન માત્ર 1000 પોલીસ તૈનાત, અપૂરતી સુરક્ષા વ્યવસ્થાની પોલ ખૂલી

બેંગલુરુ : બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બુધવારે આઈપીએલ 2025ની જીતની ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા અને 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા. જોકે, આ અંગે કર્ણાટક હાઈકોર્ટમાં થયેલી સુનાવણીમાં સરકારની અપૂરતી સુરક્ષા વ્યવસ્થાની પોલ ખૂલી છે.
જેમાં ગુરુવારે કર્ણાટક હાઈકોર્ટમાં આ મુદ્દાની સુનાવણી થઈ હતી. કર્ણાટક સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે સ્ટેડિયમ અને તેની આસપાસ કાયદો અને ટ્રાફિકની દેખરેખ માટે શહેર પોલીસ કમિશનર, ડીસીપી અને એસીપી સહિત 1,000 થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. જ્યારે એક દિવસ પૂર્વે નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે દાવો કર્યો હતો કે ભીડને નિયંત્રિત કરવા માટે 5,000 પોલીસકર્મીઓ હાજર હતા.
આપણ વાંચો: વિજયની ઉજવણી વિશે બીસીસીઆઈનો મોટો નિર્ણય આવી રહ્યો છે: અહેવાલ
કોર્ટ જે પણ નિર્દેશ આપશે અમે તેનું પાલન કરવા તૈયાર
આ દુર્ઘટના બાદ કર્ણાટક હાઈકોર્ટે નાસભાગની ઘટનાની જાતે નોંધ લીધી હતી અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી હતી. કર્ણાટક સરકાર વતી કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વી કામેશ્વર રાવ અને ન્યાયાધીશ સીએમ જોશીની બેન્ચ સમક્ષ હાજર રહેલા એડવોકેટ જનરલ શશિકિરણ શેટ્ટીએ કહ્યું હતું કે, અમે કોઈ બચાવ નથી કરી રહ્યા કોર્ટ જે પણ નિર્દેશ આપશે અમે તેનું પાલન કરવા તૈયાર છીએ.
બેંગલુરુ જિલ્લા કલેક્ટર દ્વારા નિવેદનો નોંધવા માટે નોટિસ
કર્ણાટક હાઈકોર્ટે ટિપ્પણી કરી, આ દુર્ઘટના ઉજવણીના ઈરાદાને કારણે બની છે. અમે દુર્ઘટનાના કારણો શોધવા માટે, તેમજ આ દુર્ઘટનાને અટકાવી શકાઈ હોત કે કેમ અને ભવિષ્યમાં શું પગલાં લેવા જોઈએ તે શોધવા માટે આ અંગે જાતે નોંધ લઈ રહ્યા છીએ. કર્ણાટક ક્રિકેટ એસોસિએશન અને આરસીબીને બેંગલુરુ જિલ્લા કલેક્ટર દ્વારા નિવેદનો નોંધવા માટે નોટિસ પાઠવવામાં આવશે.
આપણ વાંચો: ચિન્નાસ્વામી સ્ટેડિયમની અંદર ઉજવણી, બહાર માતમનો માહોલ; આ રીતે નાસભાગ મચી…
2.5 લાખથી વધુ લોકો એકત્ર થતાં પરિસ્થિતી બગડી
સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે ઉજવણી દરમિયાન ભીડની શક્યતાને ધ્યાનમાં લેવા માટે પાણીના ટેન્કર, એમ્બ્યુલન્સ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ વાહનો પણ હાજર હતા. આ સંખ્યા અગાઉની મેચો કરતા ઘણી વધારે હતી. આમ છતાં, રાજ્યએ સરકારે કહ્યું કે 2.5 લાખથી વધુ લોકો એકત્ર થતાં પરિસ્થિતિ બગડી હતી. જેમાંથી ઘણા માનતા હતા કે સ્ટેડિયમમાં મફત પ્રવેશ થશે.
સામાન્ય રીતે ફક્ત 30,000 ટિકિટ વેચાઇ હતી
તેમજ સ્ટેડિયમની ક્ષમતા 35,000 છે અને સામાન્ય રીતે ફક્ત 30,000 ટિકિટ વેચાઇ હતી. એડવોકેટ જનરલ શશિકિરણ શેટ્ટીના જણાવ્યા અનુસાર લોકો બપોર સુધીમાં સ્થળ પર એકઠા થવા લાગ્યા હતા અને બપોરે 3 વાગ્યા સુધીમાં વિસ્તાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. ભીડમાં રાજ્યની બહારના લોકો પણ સામેલ હતા. ત્યારબાદ શેટ્ટીએ સ્ટેડિયમનો નકશો રજૂ કર્યો જેમાં મૃત્યુ ક્યાં થયા તે દર્શાવવામાં આવ્યું હતું.