
બેંગલૂરુઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ટીમે આઇપીએલના 18 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર ટ્રોફી જીતી એની ખુશાલીમાં બુધવારે બેંગલૂરુના માર્ગો પર અને ખાસ કરીને જગવિખ્યાત એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. CHINNASWAMI STADIUM)ની બહાર લાખોની સંખ્યામાં જે ક્રિકેટપ્રેમીઓ (ખાસ કરીને વિરાટપ્રેમીઓ) ભેગા થયા હતા તેમની વચ્ચે થયેલી નાસભાગ અને ધક્કામુક્કીની હૃદયદ્રાવક ઘટનામાં મૃત્યુ પામેલા 11 જણ વિશેની વિગતો બહાર આવી છે. કેટલાક અહેવાલો જણાવે છે કે મૃત્યુ પામેલાઓમાં ઘણા ટીનેજર (TEENAGERS) હતા અને કેટલાક પ્રોફેશનલનો પણ સમાવેશ હતો. જે ટીનેજર મૃત્યુ પામ્યા એમાં 14 વર્ષની દિવ્યાંશી નામની કિશોરી સૌથી નાની ઉંમરની હતી.
બેંગલૂરુની ભાગદોડની ગંભીર ઘટનામાં મૃત્યુ પામેલાઓની યાદીઃ દિવ્યાંશી બી. એસ. (14 વર્ષ), મનોજ કુમાર (20 વર્ષ), પ્રજવલ જી. (બાવીસ વર્ષ), પૂર્ણ ચંદ્રા (26 વર્ષ), ચિન્મયી શેટ્ટી (19 વર્ષ), શિવાલિંગુ ચન્ડપ્પા (17 વર્ષ), ભૂમિક લક્ષ્મણ (19 વર્ષ), કામાક્ષી દેવી (29 વર્ષ), સહાના રાજેશ (પચીસ વર્ષ), અક્ષતા પૈ (26 વર્ષ) અને શ્રવણ કે. ટી. (20 વર્ષ).
આરસીબીના ચૅમ્પિયન ખેલાડીઓ સાથેના સેલિબે્રશનની ઇવેન્ટ ઉતાવળે યોજી દેવામાં આવી, આયોજનમાં પૂરતું પ્લાનિંગ નહોતું અને મોટી સંખ્યામાં ક્રિકેટચાહકો દોડી આવ્યા એ બધા કારણો ભલભલાને આઘાત અપાવે એવી આ ઘટના માટે જવાબદાર છે.
આ પણ વાંચો – ચૅમ્પિયન ખેલાડીઓની ઇવેન્ટ માટે છેલ્લી ઘડીએ પરવાનગી મળતાં લાખો લોકોમાં નાસભાગ થઈ?
આરસીબીના ખેલાડીઓ બુધવારે સવારે બેંગલૂરુના વિમાની મથકે આવી પહોંચ્યા ત્યારે ક્રિકેટચાહકોએ તેમનું શાનદાર સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ પ્લેયર્સને વિધાન ભવન ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં રાજ્ય સરકાર તરફથી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું અને એ પ્રસંગે કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયા તેમ જ અન્ય મહાનુભાવો હાજર હતા. ત્યાંથી ખેલાડીઓને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે લઈ જવામાં આવ્યા એ પહેલાંથી જ સ્ટેડિયમની આસપાસ અસંખ્ય લોકો જમા થઈ ગયા હતા. સ્ટેડિયમમાં સમારોહનું આયોજન કરાયું હતું. સ્ટેડિયમમાં 35,000 પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ હતી, પરંતુ સ્ટેડિયમની બહાર ત્રણ લાખ જેટલા લોકો જમા થઈ ગયા હતા એટલે તેમને કાબૂમાં લેવાનું પોલીસ તથા સલામતી રક્ષકો માટે મુશ્કેલ થઈ ગયું હતું.