નવી મુંબઈની 527 ઇમારતો જોખમી: NMMC દ્વારા તાત્કાલિક કાર્યવાહીના આદેશ

મુંબઈઃ મહારાષ્ટ્રના નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (એનએમએમસી)ની હદમાં 527 ઇમારતોને 2024 – 25ના સર્વે દરમિયાન ‘જોખમી’ તરીકે ઓળખવામાં આવી છે એમ મહાનગરપાલિકાએ જણાવ્યું છે.
એનએમએમસીએ બુધવારે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે 30 વર્ષથી વધુ સમયથી ઉપયોગમાં લેવાતી ઇમારતો માટે નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાયેલા સિવિલ અથવા સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવું ફરજિયાત છે. જગ્યાનો કબજો ધરાવનારાઓને તાકીદે જગ્યા ખાલી કરવા કહેવામાં આવ્યું છે.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં ગરીબોને મળશે ‘સપના’નું ઘર: નવી ગૃહ નિર્માણ નીતિને સરકારે આપી મંજૂરી
પરિપત્રની વિગતો અનુસાર સ્ટ્રક્ચરલ ઓડિટ બાદ એન્જિનિયર દ્વારા ભલામણ કરવામાં આવેલા તમામ જરૂરી સમારકામ પૂર્ણ થઇ ગયા છે અને ઈમારત સલામત છે તેની પુષ્ટિ કરતું પ્રમાણપત્ર કોર્પોરેશનને સુપરત કરવાનું રહેશે. સ્ટ્રક્ચરલ ઇન્સ્પેક્શન નહીં કરાવનારા પાસેથી 25,000 રૂપિયાનો દંડ અથવા સંપૂર્ણ વાર્ષિક મિલકત વેરો, બેમાંથી જે વધારે હોય એ વસૂલવામાં આવી શકે છે.
અહીં એ જણાવવાનું કે ચોમાસું જામ્યા પૂર્વે અગાઉ કલ્યાણમાં જર્જરિત ઈમારત ધરાશાયી થઈ હતી, જેમાં છ જણનાં મોત થયા હતા. કલ્યાણ-ડોંબિવલીમાં જ નહીં, પરંતુ વસઈ-વિરાર, મુંબઈ અને નવી મુંબઈમાં જર્જિરત બિલ્ડિંગમાં રહેનારા રહેવાસીઓનો જીવ પડિકે બંધાયેલો છે અને રહે છે, પરંતુ એના અંગે પ્રશાસને નક્કર પગલાં ભરવાનું જરુરી છે, એમ એક્ટિવિસ્ટે જણાવ્યું હતું.
(પીટીઆઈ)