
બેંગલુરુ: ગઈ કાલે અમદાવાદમાં IPL ટ્રોફી જીત્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) તેના હોમ ગ્રાઉન્ડ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ(Chinnaswamy Stadium)માં ઉજવણી માટે પહોંચી હતી, આ ઉજવણીમાં સામેલ થવા મોટી સંખ્યામાં RCB ચાહકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતાં, આ દરમિયાન નાસભાગ મચતા 11 લોકોના મોત થયા હતાં, જ્યારે 33 લોકો ઘાયલ થયા છે. આ ગોઝારી ઘટનાને કારણે જીતનો જશ્ન માતમમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટનાના ચોંકાવનારા વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવમાં આવ્યા છે, જ્યારે બીજી તરફ સ્ટેડીયમમાં ઉજવણી કરવામાં આવી રહી હતી, જેની ટીકા થઇ રહી છે.
આ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ એમ પણ જણાવ્યું કે સ્ટેડિયમના ગેટ પર પાસ ચેક કર્યા પછી જ લોકોને અંદર જવા દેવામાં આવી રહ્યા હતા, આ દરમિયાન ધીમે ધીમે ત્યાં મોટી ભીડ એકઠી થઈ ગઈ અને ધક્કામુક્કી અને નાસભાગ શરૂ થઈ ગઈ. લોકોએ જણાવ્યું કે પહેલા ત્રણ છોકરીઓ પડી ગઈ પરંતુ કોઈએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો નહીં, ત્યારબાદ ત્યાં નાસભાગ અને અરાજકતા મચી ગઈ.
સ્ટેડિયમમાં ઉજવણી ચાલુ રહી:
નાસભાગમાં 11 લોકોના મોત થયા પણ પણ આઘાતજનક વાત એ રહી કે સ્ટેડિયમની અંદર ઉજવણી રોકવામાં ન આવી. બહાર એક પછી એક લોકો મરી રહ્યા હતા અને રસ્તા પર લોકો ચકદાઈ રહ્યા હતાં, જ્યારે સ્ટેડિયમની અંદર સ્ટેજ પર ખેલાડીઓનું સન્માન કરવામાં આવી રહ્યું હતું, લોકો નારા લગાવી રહ્યા હતાં. ખેલાડીઓએ મેદાનમાં વિકટરી લેપ પણ લગાવ્યો.
લોકો ઝાડ પર ચડી ગયા:
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ફૂટેજમાં જોવા મળે છે કે સ્ટેડિયમની બહાર કેટલાક લોકો ઝાડ પર ચડી ગયા હતાં. કેટલાક લોકો બસની છત પર ચઢતા જોવા મળ્યા. દરેક વ્યક્તિ ચેમ્પિયન ટીમની એક ઝલક જોવા માંગતો હતો.
કેટલાક વીડિયોમાં, પોલીસ જવાનો ઘાયલ અને બેભાન લોકોને ઊંચકીને લઈ જતા જોવા મળે છે. એક વિડીયોમાં જોવા મળે છે કે બેભાન થઇ ગયેલા એક યુવકને ‘કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR)’ આપવામાં આવી રહ્યું છે.
આપણ વાંચો : આરસીબીના ખેલાડીઓ બેંગલૂરુના મેદાનમાં એક ચક્કર લગાવ્યા પછી જતા રહ્યા