નેશનલસ્પોર્ટસ

બેંગલૂરુના સત્તાવાળાઓ મુંબઈ, કોલકાતા, અમદાવાદ, ધરમશાલાની ઘટના પરથી કેમ ન શીખ્યા?: બીસીસીઆઇ

દેવાજિત સૈકિયા કહે છે, `આ અમારી બીસીસીઆઇની ઇવેન્ટ નહોતી'

નવી દિલ્હીઃ બેંગલૂરુમાં બુધવારે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના આઇપીએલના પ્રથમ ચૅમ્પિયનપદની ઉજવણી નાસભાગ અને ધક્કામુક્કી (STEMPEDE)ની ઘટનાઓને કારણે માતમમાં ફેરવાઈ એને પગલે બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર અગાઉથી સુરક્ષાની વ્યવસ્થા નક્કી કરી રાખવામાં બેંગલૂરુના સત્તાધીશો (AUTHORITIES)એ જે કચાશ બતાડી અને મુંબઈ, કોલકાતા, અમદાવાદ, ધરમશાલાની ઘટના પરથી કેમ બોધ ન લીધો એ બદલ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભાગદોડની ઘટનામાં ઓછામાં ઓછા 12 જણના મૃત્યુ થયા હતા અને બીજા અનેક લોકો ઘાયલ થયા હતા.

BCCI Secretary Devajit Saikia

બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 35,000 લોકો બેસી શકે એટલી ક્ષમતા છે ત્યારે સ્ટેડિયમમાં ત્રણ લાખ લોકો કેવી રીતે પહોંચી શક્યા? એવો સવાલ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાએ કર્યો હતો અને કહ્યું હતું કે ક્રિકેટપ્રેમીઓને સલામતી પૂરી પાડવાની જવાબદારી રાજ્યના ક્રિકેટ ઍસોસિયેશનની હતી.’ આવું કહીને સિદ્ધારામૈયાએ આરસીબીના સેલિબે્રશન વખતે થયેલી નાસભાગની ઘટના બાબતમાં મૅજિસ્ટ્રેટ સ્તરની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. એક તરફ આરસીબીના ટીમ મૅનેજમેન્ટે ક્રિકેટપ્રેમીઓ અત્યંત સંવેદનશીલ થઈ ગયા એ કારણસર આ ઘટના બની હોવાનું કહ્યું હતું ત્યાં બીજી બાજુ બીસીસીઆઇના સેક્રેટરી સૈકિયાએ વધુમાં કહ્યું હતું કેઆ બહુ કમનસીબ ઘટના બની ગઈ.

PTI

આ તો લોકપ્રિયતાની નકારાત્મક બાજુ થઈ કહેવાય. લોકો તો ક્રિકેટરોને જોવા ઉત્સાહી થઈને આવી જાય, પણ તેમના માટે સલામતીની કેવી અને કેટલી વ્યવસ્થા રાખવી એ કામ આયોજકોનું હોય. તેમણે અગાઉથી સલામતી બંદોબસ્તની યોજના બનાવવી જોઈતી હતી. આટલા મોટા પાયે વિજયની ઉજવણીની ઇવેન્ટ થવાની હોય તો પૂર્વસાવચેતીના પગલાં લેવા જ જોઈએ. ક્યાંક તો કંઈક કચાશ થઈ જ છે. આઇપીએલનું આટલું ભવ્ય સમાપન થયું ત્યાર પછીની આ ઘટના ઍન્ટિ-ક્લાઇમૅક્સ બની ગઈ. ગયા વર્ષે મુંબઈમાં ભારતના ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડીઓની વિજયી પરેડ વખતે પોલીસ અને સ્થાનિક સત્તાવાળાઓએ એકમેક સાથેના સંકલનથી આવી કોઈ ગંભીર ઘટના નહોતી બની.

બીજું, ગયા વર્ષે કેકેઆર જીત્યું ત્યારે કોલકાતાના સેલિબે્રશનમાં પણ આવું કંઈ નહોતું બન્યું. હજી મંગળવારે અમદાવાદમાં ફાઇનલ વખતે 1,20,000 લોકો સ્ટેડિયમમાં હતા ત્યારે ત્યાં પણ વહીવટીતંત્રએ ખૂબ જ સરસ પ્લાનિંગથી સુરક્ષાની જાળવણી પૂરી પાડી હતી. આ બધા બનાવો પરથી બેંગલૂરુના સત્તાવાળાઓએ કેમ બોધ ન લીધો?’

PTI

આઇપીએલના ચૅરમૅન અરુણ ધુમાલે પીટીઆઇને જણાવ્યું હતું કે `બેંગલૂરુના સ્ટેડિયમની બહાર નાસભાગની ઘટના બની હોવાની મને જાણ થતાં મેં તરત જ આયોજકોને (આરસીબીના મૅનેજમેન્ટને) સ્ટેડિયમની અંદરની ગતિવિધિ સમેટી લેવાની સૂચના આપી હતી. (બેંગલૂરુના સ્ટેડિયમ ખાતે) બીસીસીઆઇની ઇવેન્ટ હતી જ નહીં. હું તો કહું છું કે એ ઇવેન્ટ વિશે પહેલેથી યોજના બની હતી કે અચાનક રાખી દેવામાં આવી હતી એ પણ મારી જાણમાં નથી. ગયા મહિને અમે (યુદ્ધ પહેલાં) ધરમશાલામાં મૅચ અટકાવીને હજારો લોકોને સલામત રીતે સ્ટેડિયમની બહાર લાવ્યા હતા અને તેમને પૂરી સલામતી પૂરી પાડી હતી. ત્યારે એક પણ વ્યક્તિને ઈજા સુદ્ધા નહોતી પહોંચી.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button