નેશનલ

‘સરકારને અફસોસ છે’ બેંગલુરુમાં થયેલી નાસભાગ વિષે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાનું નિવેદન…

બેંગલુરુ: ગઈ કાલે IPL 2025 વિજેતા બનેલી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)નું વિકટરી સેલિબ્રેશન જોવા બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ઉમટેલી ભીડમાં નાસભાગ (Stampede at Chinnaswamy stadium) મચી હતી, આ ઘટનામાં 11 લોકોના મોત થયા, જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા(CM Siddaramaiah)એ આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે અને 15 દિવસમાં રીપોર્ટ સોંપવાનું કહેવામાં આવ્યું છે.

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે સ્ટેડિયમમાં આટલી મોટી ભીડ ઉમટી પડશે એવી કોઈને અપેક્ષા ન હતી. સ્ટેડિયમની ક્ષમતા ફક્ત 35 હજાર લોકોની છે, જ્યારે વિકટરી સેલિબ્રેશનમાં બે થી ત્રણ લાખ લોકો ઉમટી પડ્યા હતાં. સરકારે મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

‘અને રાજકારણ નહીં કરીએ’
સિદ્ધારમૈયાએ કહ્યું, “હું આ ઘટનાનો બચાવ કરવા માંગતો નથી. અમારી સરકાર આના પર રાજકારણ નહીં કરે. મેં મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે અને 15 દિવસનો સમય આપ્યો છે. લોકોએ સ્ટેડિયમના દરવાજા પણ તોડી નાખ્યા, ભાગદોડ મચી ગઈ. કોઈને આટલી મોટી ભીડની અપેક્ષા નહોતી. સ્ટેડિયમમાં ફક્ત 35,000 લોકોની ક્ષમતા છે, પરંતુ 2-3 લાખ લોકો આવ્યા હતા.”

‘સરકારને ખૂબ જ અફસોસ’
તેમણે ઘટના વિષે ખેદ વ્યક્ત કરતા કહ્યું, “આ એક મોટી દુર્ઘટના હતી. નાસભાગમાં 11 લોકોના મોત થયા છે, અને 33 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. લગભગ 14 લોકોને આઉટપેશન્ટ સુવિધામાં સારવાર આપવામાં આવી છે. મેં હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આવી ઘટના ક્યારેય ન બનવી જોઈતી હતી, અને સરકારને તેનો ખૂબ જ અફસોસ છે.”

આપણ વાંચો : આરસીબીના ખેલાડીઓ બેંગલૂરુના મેદાનમાં એક ચક્કર લગાવ્યા પછી જતા રહ્યા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button