પહેલા પ્રયાસમાં UPSC પાસ કરીને બની IPS અધિકારી, હવે ગ્લેમરની દુનિયામાં પોતાનો જાદુ પાથરી રહી છે, જાણો કોણ છે?

મનોરંજનની દુનિયામાં ગ્લેમર અને સ્ટારડમને ઘણીવાર સફળતાનો માપદંડ માનવામાં આવે છે, પરંતુ કેટલાક ચહેરા એવા પણ હોય છે જે વાસ્તવિક અને રીલ બંને જીવનમાં ચમકે છે. આવું જ એક વ્યકિત્વ છે સિમાલા પ્રસાદ, જેમણે એક તરફ ભારતીય પોલીસ સેવા (IPS) જેવી જવાબદાર અને પડકારજનક ભૂમિકા હકીકતમાં ભજવી હતી અને બીજી તરફ બોલીવુડ ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા.
ચાલો જણાવીએ આ IPS અધિકારીની આખી સફર. આ અધિકારીએ કેવી રીતે તેણે પહેલા જ પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી અને પછી બોલીવુડમાં પણ પોતાનો હાથ અજમાવ્યો. હવે ટૂંક સમયમાં તે બીજી નવી ફિલ્મમાં પોલીસ અધિકારીની ભૂમિકા ભજવતી જોવા મળશે.

આજકાલ અભિનેત્રીઓ પડદા પર પોલીસ અધિકારીની ભૂમિકા ભજવવા માટે ખાસ તાલીમ લે છે, જ્યારે સિમાલા વાસ્તવિક જીવનમાં પોલીસ અધિક્ષક (SP) છે. મધ્ય પ્રદેશના બેતુલ જિલ્લામાં પોસ્ટ કરાયેલી સિમાલા પ્રસાદ માત્ર ગુનેગારો સામે લડી રહી નથી, પરંતુ ફિલ્મોમાં પણ અભિનયના ઓજસ પાથરીને પ્રખ્યાત થઇ છે.
2016માં સિમાલાએ દિગ્દર્શક જગમ ઇમામની ફિલ્મ ‘અલિફ’થી મોટા પડદા પર ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ પછી તે 2019ની ફિલ્મ ‘નક્કાશ’માં પણ જોવા મળી, જ્યાં તેણે કુમુદ મિશ્રા, શારિબ હાશ્મી અને રાજેશ શર્મા જેવા અનુભવી કલાકારો સાથે કામ કર્યું.

સિમાલાની સ્ક્રીન હાજરીમાં સરળતા અને ગંભીરતા છે, જે તેને અન્ય અભિનેત્રીઓથી અલગ બનાવે છે. હવે સિમાલા ટૂંક સમયમાં બીજી ફિલ્મમાં જોવા મળશે. ગયા વર્ષે તે તેની આગામી ફિલ્મને કારણે સમાચારમાં હતી. સિમાલા સત્ય ઘટનાઓ પર આધારિત પોલીસ ડ્રામા ફિલ્મ ‘ધ નર્મદા સ્ટોરી’ પર કામ કરી રહી છે, જેમાં તે ‘સુપરકોપ’ની ભૂમિકામાં જોવા મળશે. રઘુવીર યાદવ, મુકેશ તિવારી અને અંજલી પાટિલ પણ આ ફિલ્મનો ભાગ છે.
‘ધ નર્મદા સ્ટોરી’ ફિલ્મમાં એમપી કેડરના આઈપીએસ ઓફિસર સિમાલા પ્રસાદ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સિમાલા પ્રસાદ આ ફિલ્મમાં તપાસ અધિકારીની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશમાં થયું છે. તેનું દિગ્દર્શન પણ જગમ ઇમામ કરી રહ્યા છે. તેમને ‘અલિફ’ અને ‘નક્કાશ’ જેવી ફિલ્મો માટે ઘણા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળી ચૂક્યા છે. આ ફિલ્મ પોલીસ દળના વાસ્તવિક અનુભવો દર્શાવશે અને એક સસ્પેન્સ થ્રિલર હશે.

ભોપાલની રહેવાસી સિમાલા એક ઉચ્ચ શિક્ષિત અને પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે. તેના પિતા ભગીરથ પ્રસાદ ભૂતપૂર્વ IAS અને સાંસદ છે. તેના પિતા ડૉ. ભગીરથ પ્રસાદ 1975 બેચના IAS અધિકારી છે જેમણે બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી અને 2014થી 2019 સુધી મધ્ય પ્રદેશના ભિંડથી લોકસભા સભ્ય તરીકે ચૂંટાયા હતા.
માતા મેહરુન્નિસા પરવેઝ એક પ્રખ્યાત સાહિત્યકાર છે જેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. શરૂઆતના શિક્ષણ પછી સિમાલાએ MPPSC પાસ કર્યું અને DSP તરીકે વહીવટી કારકિર્દી શરૂ કરી, પરંતુ તેની મહત્વાકાંક્ષાઓ મોટી હતી. તેણે UPSCની તૈયારી કરી અને કોચિંગ વિના પહેલા જ પ્રયાસમાં IPS બની. તેણે UPSC CSE 2010 પાસ કર્યું અને AIR 51 મેળવ્યો.
ફક્ત ગણવેશ અને કેમેરા જ નહીં, સિમાલા સરકારી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નૃત્ય અને કલા દ્વારા પણ પોતાની સર્જનાત્મકતા દર્શાવે છે. તે માને છે કે વ્યક્તિ ફક્ત એક ઓળખ સુધી મર્યાદિત ન હોવી જોઈએ, દરેક જુસ્સાને જીવવું મહત્વપૂર્ણ છે. એક તરફ સિમાલા ગુના સામે લડી રહી છે, તો બીજી તરફ તે સિનેમા અને સંસ્કૃતિ દ્વારા હૃદયને સ્પર્શી રહી છે. તે કહે છે કે એક કલાકાર અને પોલીસ અધિકારી બંનેને સંવેદનશીલતા અને માનવતાની જરૂર હોય છે.
આપણ વાંચો : દાદાનું સપનું પૂરું કરવા પૌત્રીએ પાસ કરી UPSC CDS પરીક્ષા, સેનામાં બનશે અધિકારી