
નવી દિલ્હીઃ બેંગલૂરુમાં આઇપીએલની નવી ચૅમ્પિયન ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના સેલિબ્રેશન માટે જમા થયેલા હજારો લોકોમાં બુધવારે ભાગદોડ અને ધક્કામુક્કીની જે ઘટના બની એ વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI)એ ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે એક્સ' પર જણાવ્યું હતું કે
આ દુર્ઘટનાથી મારું હૃદય કંપી ઉઠ્યું છે. આ બનાવમાં સ્વજન ગુમાવનારાઓ પ્રત્યે હું સહાનુભૂતિ વ્યક્ત કરું છું અને પ્રાર્થના કરું છું કે ઘાયલ થયેલા લોકો જલદી સાજા થઈ જાય.’
હજારો લોકો બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર જમા થયા હતા અને આરસીબીના ચૅમ્પિયન ખેલાડીઓની રાહ જોઈ રહ્યા હતા અને ત્યારે નાસભાગ (STEMPEDE)ની ઘટના બની હતી.

નાસભાગની આ ઘટનામાં ઓછામાં ઓછા 11 જણના મૃત્યુ થયા અને બીજા અનેક ઘાયલ થયા હતા.
બેંગલૂરુના અનેક માર્ગો પર ક્રિકેટપ્રેમીઓ સવારથી જમા થવા લાગ્યા હતા. ઍરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ વિધાનભવન ખાતે ચૅમ્પિયન ખેલાડીઓ ગયા હતા ત્યારે ત્યાં પણ હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા અને એ દરમ્યાન એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ જ્યાં ખેલાડીઓ વિક્ટરી પરેડ રાખવાના હતા ત્યાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા પછી એ સંખ્યા બે-ત્રણ લાખમાં ફેરવાઈ હતી અને પોલીસ તંત્ર એટલા બધા લોકોને અંકુશમાં રાખવા અસમર્થ હતી.
પોલીસે અમુક જૂથોને કાબૂમાં લેવા લાઠીમાર પણ કર્યો હતો. લોકોમાં નાસભાગ થતાં અરાજકતા ફેલાઈ ગઈ હતી.