શું ઓવેસી અને ઉદ્ધવ ઠાકરે સાથે આવશે?
મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ માટે ઉદ્ધવ ઠાકરે અને ઓવૈસી સાથે આવવાની અટકળો ચાલી રહી છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે ક્યારે અને કોણ કોની સાથે આવશે તે સમજી શકાતું નથી. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (યુબીટી) અને અસદુદ્દીન ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ અંગે તાજેતરનો કિસ્સો હવે સામે આવ્યો છે.
એઆઈએમઆઈએમના મહારાષ્ટ્ર યુનિટે સંકેત આપ્યો છે કે તે આગામી બીએમસી અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ માટે ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા તૈયાર છે.
આપણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં શરૂ થયો રૂમાલ વિવાદ! ભરત ગોગાવલે અને સુનીલ તટકરે આકરા પાણીએ
હકીકતમાં, તાજેતરમાં ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રના ભલા માટે તમામ બિન-મહાયુતિ પક્ષોને સાથે આવવા અપીલ કરી હતી.
આદિત્યે કહ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રના હિત માટે બધાને સાથે લેવા તૈયાર છે. એઆઈએમઆઈએમે આદિત્યના ગઠબંધનની પહેલ પર સકારાત્મક સંકેતો આપ્યા છે. મહારાષ્ટ્રનું એઆઈએમઆઈએમ યુનિટ ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા તૈયાર છે.
એઆઈએમઆઈએમના વિધાનસભ્ય મુફ્તી ઇસ્માઇલે કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે ઠાકરે અને ઓવેસી એક થાય. તેમણે કહ્યું હતું કે તેઓ આદિત્યના પ્રસ્તાવ પર વિચાર કરશે. મુફ્તી ઇસ્માઇલે વધુમાં કહ્યું હતું કે ધર્મ અમારા માટે મુદ્દો નથી, અમે વિકાસના મુદ્દા પર વાત કરી શકીએ છીએ.
આપણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાંથી પવાર અને ઠાકરે બ્રાન્ડ ભૂંસી શકાશે નહીં: રાજ ઠાકરે
જો કોઈ અમને વિકાસના મુદ્દા પર બોલાવે છે, તો અમે પોતે આગળ વધીશું. જોકે, વિધાનસભ્ય મુફ્તી ઇસ્માઇલે વધુમાં કહ્યું કે આ અંગે અંતિમ નિર્ણય પાર્ટીના વડા ઓવેસી લેશે.
મુફ્તી ઇસ્માઇલે ગઠબંધનના મુદ્દા પર શિવસેના (યુબીટી) પર નિશાન સાધ્યું છે અને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. મુફ્તી ઇસ્માઇલે કહ્યું હતું કે અમે ગઈ વિધાનસભા ચૂંટણીમાં પણ ગઠબંધનનો પ્રયાસ કર્યો હતો. અમે મહાવિકાસ આઘાડીમાં આવવા માગતા હતા, પરંતુ અમને લેવામાં આવ્યા ન હતા. તેમણે હાકલ કરી છે પરંતુ અમને ખાતરી છે કે તેઓ અમને સાથે લેશે નહીં.