મધ્ય પ્રદેશના ઝાબુઆમાં ટ્રેલર ટ્રક વાન પર પલટી જતાં નવના મોતઃ બે ઘાયલ

ઝાબુઆ: મધ્ય પ્રદેશ (MP)ના ઝાબુઆ જિલ્લામાં આજે વહેલી સવારે સિમેન્ટ ભરેલી ટ્રેલર ટ્રક વાન પર પલટી જતાં નવ લોકોના મોત અને બે અન્ય ઘાયલ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ અકસ્માત લગભગ અઢી વાગ્યે થયો હતો. ભોગ બનેલા લોકો લગ્ન સમારંભમાંથી વાનમાં પરત ફરી રહ્યા હતા. જોકે, મૃતકોમાં પાંચ સગીરનો પણ સમાવેશ થાય છે. અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહોને વાન અને ટેન્કરમાંથી કાપીને બહાર કાઢવા પડ્યા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઝાબુઆના પોલીસ અધિક્ષક પદ્મવિલોચન શુક્લાએ જણાવ્યું હતું કે મેઘનગર તહસીલ વિસ્તાર હેઠળ સંજેલી રેલવે ક્રોસિંગ નજીક એક કામચલાઉ રસ્તા પરથી ટ્રેલર બાંધકામ હેઠળના રેલ ઓવર-બ્રિજને પાર કરી રહ્યું હતું ત્યારે તેણે સંતુલન ગુમાવ્યું હતું અને વાન પર પલટી ગયું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે ભોગ બનેલા લોકો બે પરિવારના હતા અને ભાવપુરામાં લગ્ન સમારંભમાંથી મેઘનગર તહસીલ હેઠળના તેમના વતન શિવગઢ મહુડા ગામમાં પરત ફરી રહ્યા હતા.
તેમણે જણાવ્યું કે મૃતકોની ઓળખ મુકેશ ખાપેડ (૪૦), સાવલી ખાપેડ (૩૫), વિનોદ ખાપેડ (૧૬), પાયલ ખાપેડ (૧૨), માધી બામણિયા (૩૮), વિજય બામણિયા (૧૪), કાંતા બામણિયા (૧૪), રાગિની (૯) અને અકલી પરમાર (૩૫) તરીકે થઈ છે.
આપણ વાંચો: નાઇજિરિયામાં મોટી દુર્ઘટનાઃ માર્ગ અકસ્માતમાં બાવીસ ઍથ્લીટના મૃત્યુ
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા અને ઘાયલોને સારવાર માટે થાંડલા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
અકસ્માત સમયે વાનમાં કુલ ૧૧ જણ હતા, જેમાંથી નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાંથી આઠ લોકો થાંડલા નજીક શિવગઢ મહુડા ગામના રહેવાસી હતા. જ્યારે એક મૃતક નજીકના ગામનો રહેવાસી છે.
અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. અકસ્માત બાદ સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છે.