ગાંધીનગર

પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતઃ ગુજરાતમાં 14,500 ટન પ્લાસ્ટિક કચરો કર્યો એકત્ર

ગાંધીનગર: ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” જેવા મહત્વાકાંક્ષી વિષય સાથે “વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫” અભિયાનનો ગત તા. 22 મેથી પ્રારંભ થયો છે, જે તા. 5 જૂન સુધી યોજાશે.

આ અભિયાન હેઠળ રાજ્યભરમાં 2841થી વધુ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં રાજ્યભરના 2,32,064થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો જોડાયા હતા. જેના પરિણામસ્વરૂપે ગુજરાત રાજ્ય દ્વારા અત્યાર સુધીમાં કુલ 14504 ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે.

આપણ વાંચો: ટાઈગર સ્ટેટ મધ્ય પ્રદેશમાં થયા વાઘના સૌથી વધુ મોત, પર્યાવરણ મંત્રાલય ચિંતિત…

રાજ્યભરમાં યોજાયેલા કાર્યક્રમોમાં સાફ-સફાઈ અભિયાન, વૃક્ષારોપણ, દરિયાકાંઠાની સફાઈ, ઇ-બાઈક રેલી, શેરી નાટકો, કાપડની થેલીઓનું વિતરણ, સેમિનાર અને સિંગલ-યુઝ પ્લાસ્ટિક સામે અમલીકરણ પગલાં જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં કચરાનું વર્ગીકરણ, પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને મિશન લાઇફ પ્રતિજ્ઞા પર સેમિનાર એ દરેક સત્રનો અભિન્ન ભાગ હતો.

સમાજના દરેક વર્ગના લોકો આ અભિયાનમાં જોડાયા હતા. આ ઉપરાંત રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ, ક્લાયમેટ ચેન્જ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ તેમજ ઉદ્યોગ તથા ખાણ-ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ પર્યાવરણીય મહાયજ્ઞમાં રાજ્યની પ્રાદેશિક કક્ષાની કચેરીઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ઉદ્યોગો તથા સંસ્થાઓ પણ સહભાગી થઇ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button