શિવસેના (યુબીટી)ના લોકસભાના ઉમેદવાર ચંદ્રહાર પાટીલ શિંદેસેનામાં જોડાશે

છત્રપતિ સંભાજીનગર: કુસ્તીબાજમાંથી રાજકારણી બનેલા ચંદ્રહાર પાટીલ જેમણે મહારાષ્ટ્રની સાંગલી બેઠક પરથી શિવસેના (યુબીટી)ના ઉમેદવાર તરીકે 2024ની લોકસભા ચૂંટણી લડી હતી, તેઓ 9 જૂને સત્તાધારી મહાયુતિમાં સામેલ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં જોડાશે, એવો દાવો રાજ્યના પ્રધાન સંજય શિરસાટે બુધવારે કર્યો હતો.
રાજ્યના સામાજિક ન્યાય ખાતાના પ્રધાન શિરસાટ એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના પ્રવક્તા પણ છે.
પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ‘સોમવારે અને આ મહિનાના અંત સુધીમાં ઘણા લોકો અમારી પાર્ટીમાં જોડાશે. ચંદ્રહાર પાટીલ પણ જોડાવા માટે તૈયાર છે. જો શક્ય હોય તો રોકી દેખાડો.’ ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી પાર્ટી પર પ્રહાર કરતા તેમણે કહ્યું, ‘કોઈ તેમની સાથે રહેવા તૈયાર નથી અને તેમણે પોતાના પક્ષના મામલાઓ પર ધ્યાન આપવું જોઈએ.’
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં પહેલા ધોરણથી વિદ્યાર્થીઓને પાયાની લશ્કરી તાલીમ
સ્થાનિક ભાજપના નેતાઓના છત્રપતિ સંભાજીનગરના આગામી મેયર મ્યુનિસિપલ ચૂંટણી પછી તેમના પક્ષના હશે એવા દાવા અંગે પૂછવામાં આવતા શિરસાટે કહ્યું હતું કે, ‘આ નેતાઓ ઉત્સાહી છે અને પક્ષ માટે કંઈ પણ કરવાના મૂડમાં છે. અમારી શુભેચ્છાઓ તેમની સાથે છે, પરંતુ પાર્ટીએ પાર્ટીના નેતાઓને શું બોલવું તે શીખવવા માટે એક વર્કશોપનું આયોજન કરવું જોઈએ.’
ગઈ લોકસભાની ચૂંટણીમાં, સાંગલી બેઠક પર ભારે સ્પર્ધા થઈ હતી જેમાં કોંગ્રેસના નેતા વિશાલ પાટીલ શિવસેના (યુબીટી)ના ઉમેદવાર ચંદ્રહાર પાટીલ સામે અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા, જેમને મહા વિકાસ આઘાડી (એમવીએ)ના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગુડ ન્યૂઝ: મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઇવે 5 જૂને સંપૂર્ણ શરુ થશે, સમયની બચત થશે
વિશાલ પાટીલે ભાજપના વર્તમાન સાંસદ સંજયકાકા પાટીલને હરાવીને બેઠક છીનવી લીધી હતી, જ્યારે ચંદ્રહાર પાટીલ ડિપોઝીટ જપ્ત થવાના શરમજનક અનુભવ સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા.