આમચી મુંબઈ

શિવસેના (યુબીટી)એ નાસિકના નેતા સુધાકર બડગુજરને ‘પક્ષ વિરોધી’ પ્રવૃત્તિઓ માટે બરતરફ કર્યા…

સુધાકર બડગુજર ફડણવીસની નાસિક મુલાકાત દરમિયાન મળ્યા હતા

નાશિક: ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી)એ બુધવારે મહારાષ્ટ્રના નાસિક જિલ્લા એકમના ઉપનેતા સુધાકર બડગુજરને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યાના બે દિવસ પછી ‘પક્ષ વિરોધી’ પ્રવૃત્તિઓ માટે હાંકી કાઢ્યા હતા.

બડગુજરે તેમની બરતરફીને એકપક્ષી અને ખોટો નિર્ણય ગણાવ્યો હતો.
શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને વરિષ્ઠ નેતા સંજય રાઉતનો નિર્ણય અંગે ફોન આવ્યા બાદ પાર્ટીના ભૂતપૂર્વ જિલ્લા વડા દત્તા ગાયકવાડે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સુધાકર બડગુજરને બરતરફ કરવાની જાહેરાત કરી હતી.
‘હમણાં જ, મને ઉદ્ધવજી અને સંજય રાઉત સાહેબનો ફોન આવ્યો. તેમણે કહ્યું હતું કે સુધાકર બડગુજરને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે,’ એમ ગાયકવાડે મીડિયાને જણાવ્યું.

બડગુજર બીજી જૂને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની નાશિક મુલાકાત દરમિયાન તેમને મળ્યા હતા. તેમણે પાર્ટીની કામગીરી પર જાહેરમાં નારાજી પણ વ્યક્ત કરી હતી. બડગુજરે એવો દાવો કર્યો હતો કે તેઓ શિવસેના (યુબીટી)ના નાસિક શહેર પ્રમુખ વિલાસ શિંદે અને લગભગ એક ડઝન અન્ય નેતાઓ પક્ષના કામકાજથી નાખુશ હતા.

વિલાસ શિંદેએ સોમવારે (બીજી જૂન)ના રોજ તેમની પુત્રીના લગ્નમાં હરીફ શિવસેનાના વડા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આમંત્રણ આપ્યું હતું, જેમાં ભાજપના નેતા અને પ્રધાન ગિરીશ મહાજન પણ હાજર રહ્યા હતા. બુધવારની પ્રેસ કોન્ફરન્સનું આયોજન સેના (યુબીટી)ના નાસિક જિલ્લા પ્રમુખ ડી. જી. સૂર્યવંશી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રેસ મીટ દરમિયાન વિલાસ શિંદે, નાશિકના સાંસદ રાજાભાઉ વાજે, નાયબ નેતા સુનીલ બાગુલ, ભૂતપૂર્વ વિધાનસભ્ય વસંત ગીતે, ભૂતપૂર્વ મેયર વિનાયક પાંડે અને દત્તા ગાયકવાડ હાજર હતા.

જ્યારે તેમને બરતરફ કરવાના પક્ષના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું ત્યારે સુધાકર બડગુજરે કહ્યું કે કોઈ બાબત પર અસંતોષ વ્યક્ત કરવો એ ગુનો નથી. જો મુખ્ય પ્રધાન સાથેની તેમની મુલાકાતથી આવું થયું હોય, તો આ પગલું ‘ખોટું’ અને ‘એકતરફી’ છે, એમ તેમણે કહ્યું હતું.

નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની માગણીઓ અંગે હું ફડણવીસને મળ્યો હતો. પાર્ટીના વડાએ નિર્ણય લીધો છે અને હું તેનો સ્વીકાર કરું છું. સમય આવશે ત્યારે હું મારો પક્ષ અને ભવિષ્યની રણનીતિ રજૂ કરીશ,’ એમ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો : મહાયુતિમાં વિખવાદ: એકનાથ શિંદે સમક્ષ પ્રધાનોએ ફરિયાદોનો મારો ચલાવ્યો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button