નેશનલ

સંસદનું ચોમાસુ સત્ર: 21 જુલાઈથી થશે શરૂ, રિજિજૂએ કરી જાહેરાત…

નવી દિલ્હી: સંસદ એ ભારતીય લોકશાહીનું અભિન્ન અંગ છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણેય ઋતુમાં અહીં સત્ર ભરાય છે. જેમાં જનપ્રતિનિધિ તરીકે સાંસદો પોતાના વિસ્તારની સમસ્યાઓ અંગે પ્રશ્ન પૂછીને તેનું નિરાકરણ મેળવે છે. તાજેતરમાં ઓપરેશન સિંદૂરને લઈને વિપક્ષ દ્વારા સરકાર પાસે ખાસ સત્ર બોલાવવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે સરકાર દ્વારા ખાસ સત્રને બદલે ચોમાસુ સત્રની તારીખની જાહેરાત કરવામાં આવી છે.

સંસદીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, સરકારે 21 જુલાઈથી 12 ઓગસ્ટ 2025 સુધી સંસદનું ચોમાસુ સત્ર શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

મીડિયા રિપોર્ટ પાસેથી મળતી માહિતી મુજબ, ચોમાસુ સત્રમાં વીમા સંશોધન બિલ પસાર થઈ શકે છે. આ બિલમાં વીમા ક્ષેત્રે એફડીઆઈની મર્યાદા વધારીને 100% કરવાની તૈયારી છે. આ બીલનો ડ્રાફ્ટ તૈયાર છે. જેને જલ્દી મંજૂરી આપવા માટે કેબિનેટ સામે રજૂ કરવામાં આવશે. કેબિનેટની મંજૂરી બાદ નાણા મંત્રાલય હેઠળ નાણાકીય સેવા વિભાગ બીલને સંસદમાં રજૂ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પાછલા સત્ર દરમિયાન ઉપલા ગૃહમાં રેકોર્ડ 49 ખાનગી સભ્યોના બિલ પણ રજૂ કરવામાં આવ્યા હતા. ગૃહમાં કુલ 159 કલાક કામ થયું હતું. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, સંસદના નીચલા ગૃહમાં 26 બેઠકો યોજાઈ છે. બજેટ સત્ર દરમિયાન 10 સરકારી બિલ રજૂ કરવામાં આવ્યા હતા. આ સિવાય વકફ સુધારા બિલ અને મુસ્લિમ વકફ (નાબૂદી) બિલ સહિત 16 બિલ પસાર કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button