50 ટકા ખાનગી નોકરિયાતો પાસે નિવૃત્તિનું કોઈ આયોજન નથી: સર્વેમાં ચોંકાવનારા ખુલાસા

દેશમાં અનેક લોકો પબ્લિક સેક્ટર તથા પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરી રહ્યા છે. સરકારી સંસ્થાઓ અને કેટલીક પ્રાઈવેટ સંસ્થાઓ પોતાના કર્મચારીના પગારનો 1થી 10% જેટલો ભાગ PF એટલે કે પેન્શન ફંડમાં જમા કરે છે. કર્મચારી નિવૃત્ત થાય પછી તેને PFની રકમ મળતી હોય છે. પરંતુ પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરતા 50% કર્મચારીઓ પાસે નિવૃત્તનો કોઈ પ્લાનિંગ નથી. એવું એક સર્વેમાં સામે આવ્યું છે.
પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરતા 25થી 54 વર્ષની વય સુધીના કર્મચારીઓને લઈને “Indias Pension Landscape: A Study on Retirement Reality and Readiness” નામનો સર્વે કરવામા્ં આવ્યો હતો. આ સર્વે અનુસાર 55% સહભાગીઓ નિવૃત્તિ બાદ દર મહિને 1 લાખ રૂપિયાથી વધુ પેન્શનની અપેક્ષા રાખે છે, પરંતુ માત્ર 11% લોકોને લાગે છે કે તેમની વર્તમાન બચત આવા પેન્શન માટે પૂરતી છે. બંને આંકડાઓ વચ્ચેનું અંતર દર્શાવે છે કે ભારતમાં નિવૃત્તિ આયોજન અને તેની તૈયારી વચ્ચે એક મોટી ગેપ છે. જેને વધુ સારી નાણાકીય સમજ અને આયોજન દ્વારા ભરવાની જરૂર છે.
કર્મચારીઓ દ્વારા નિવૃત્તિ અંગે આયોજન ન કરવા પાછળનું સૌથી મોટું કારણ નાણાકીય જાગૃતિનો અભાવ છે. ઘણા લોકો એવું માને છે કે પ્રોવિંડેંટ ફંડ અને ગ્રેચ્યુટી ફંડ પર્યાપ્ત છે. પરંતુ વધતી મોંઘવારી, સ્વાસ્થ્ય ખર્ચ અને વધતી ઉંમરને લઈને આ રકમ અપૂરતી સાબિત થાય છે. કેટલાક લોકો રોકાણની પ્રક્રિયાને અઘરી સમજે છે. કેટલાક લોકોને પોતાના પગારમાંથી બચત કરવાનું મુશ્કેલ લાગે છે. ખાસ કરીને યુવા નોકરીયાતો એવું વિચારે છે કે, નિવૃત્તિની ચિંતા કરવાનો આ સમય નથી. આ એક ખતરનાક ભ્રમ છે.
આ પણ વાંચો – ગ્રાહકોને કેવી રીતે છેતરે છે ઓનલાઈન કંપનીઓ? જાણો અને વિચારો તમે તો આ ટ્રિક્સનો શિકાર નથી બન્યા ને?
નાણાકીય સલાહકારોનું માનવું છે કે, નિવૃત્તિનો પ્લાન જેટલો બને એટલો જલ્દી તૈયાર કરી લો એટલું સારું છે. 25થી 30 વર્ષની ઉંમરથી જો તમે રોકાણ શરૂ કરી દેશો તો 60 વર્ષની ઉંમર સુધી એક સારી એવી બચત ભેગી થઈ શકે છે. આ પ્રકારની બચત કરવા માટે NPS (નેશનલ પેન્શન સ્કીમ), મ્યુચ્યુઅલ ફંડ SIP અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) જેવા વિકલ્પોને શ્રેષ્ઠ અને અસરકારક માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, લગભગ 83% કર્મચારીઓ તેમની નિવૃત્તિ જરૂરિયાતો માટે EPF, ગ્રેચ્યુઇટી અને NPS જેવી પરંપરાગત યોજનાઓ પર આધાર રાખે છે. આનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે લોકોના નિવૃત્તિ પોર્ટફોલિયોમાં વિવિધતાનો અભાવ છે, અને તેઓ નવા વિકલ્પો તરફ ઓછું વલણ ધરાવે છે.