ગાંધીનગર

માણસા: આનંદ મેળામાં રાઇડમાંથી પટકાયેલી બાળકીનું સારવારમાં મોતઃ લોકોએ કાઢી મૌન રેલી

ગાંધીનગરઃ સ્કૂલોમાં વેકેશન હોવાથી રાજ્યમાં અનેક જગ્યાએ આનંદ મેળા શરૂ થયા હતા. જેમાં કેટલાક મેળા સંચાલકો દ્વારા તંત્રની મંજૂરી લેવામાં આવી નહોતી. માણસા શહેરમાં કલોલ રોડ પર કોઈપણ પ્રકારની વહીવટી મંજૂરી વિના આનંદમેળો શરૂ કરવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા રાજ્યભરમાં ફૂંકાયેલા ભારે પવનના કારણે અહીં બાળકો માટે લગાવવામાં આવેલા મિકી માઉસ બોન્ઝી ફુગ્ગામાં રમતા બાળકો નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં બે બાળકીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, જેમને તાત્કાલિક ધોરણે અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન તેમાંથી એક પાંચ વર્ષીય બાળકીનું મોત નિપજ્યું હતું.

મળતી વિગત પ્રમાણે, કોઈપણ જાતની વહીવટી મંજૂરી વિના શ્યામલાલ રાવળ નામના શખ્સે બાળકો માટે જુદી-જુદી રાઈડ મૂકી આનંદ મેળો શરૂ કર્યો હતો. દુર્ઘટના બાદ લોકો રોષે ભરાયા હતા. આ ગેરકાયદ આનંદ મેળો કોના આશીર્વાદથી શરૂ કરાયો હતો? તેવી ચર્ચા શરૂ થઈ હતી. આ દુર્ઘટના માટે જવાબદાર મૂળ સુધી રહેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરી મૃતક દીકરીને ન્યાય મળે તે માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૌનરેલી દરમિયાન લોકોએ કાળી પટ્ટી ધારણ કરી હાથમાં વિવિધ બેનરો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત બાળકો અને શહેરીજનો જોડાયા હતાં.

આ દુર્ઘટનાને લઈને મૃતક બાળકીના પરિજનો અને શહેરીજનોએ બાળકીના મોત માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી અને બાળકી માટે ન્યાયની માંગ કરતી મૌન રેલી કાઢી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button