કચ્છમાં કોરોનાની રફ્તાર ચિંતાજનકઃ એકજ દિવસમાં ચાર નવા કેસ

ભુજઃ કોરોના વાઇરસના નવા JN.1 ,XFG, NB.1.8.1 તેમજ LF.7 નામના ઓમીક્રોનના સંકરાત્મક સબ વેરિયેન્ટના ઝડપી ફેલાવાએ વિશ્વભરમાં ચિંતા ફેલાવી છે એ વચ્ચે કચ્છમાં વિતેલા એક દિવસ દરમ્યાન કોવીડ-૧૯ના એકસામટા નવા ચાર પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે.
ભારત, ચીન સહીત ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન, સિંગાપોર, કેનેડા, થાઈલેન્ડ અને સ્વીડન સહિતના દેશોમાં કોવીડ-૧૯નાં દૈનિક કેસ અને મૃત્યુના આંકમાં વધારો થયા બાદ, ભારતમાં સફાળી જાગેલી સરકારે તાત્કાલિક પગલાં ભરી ટેસ્ટિંગને વ્યાપક બનાવ્યા બાદ આ રણપ્રદેશમાં પણ નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. નવા નોંધાયેલા ચાર પૈકી ત્રણ કેસમાં દર્દીઓને હોમ આઈસોલેશનમાં રખાયા છે, તો એકને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.
ચાર પૈકી બે કેસ ગાંધીધામ અને એક એક કેસ મુંદરા-માંડવીમાં નોંધાયો છે. રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમારના જણાવ્યાનુસાર માંડવીમાં ૨૬ વર્ષીય પુરુષ, ગાંધીધામમાં પ૩ અને ૪૭ વર્ષીય પુરુષ, જયારે બંદરીય મુંદરામાં ૪૦ વર્ષીય પુરુષ કોરોના સંક્રમિત થયા છે. મુંદરાનો દર્દી અમદાવાદની ખાનગી હસ્પિટલમાં મેળવી રહ્યો છે.
સરહદી કચ્છમાં અત્યાર સુધી નોંધાયેલા ૧૩ પૈકી માત્ર એક જ કેસમાં દર્દીને હોસ્પિટલ ખસેડવો પડયો છે. એકપણ કેસમાં અતિ ગંભીર જણાય તેવાં લક્ષણ હજુ સુધી દેખાયાં ન હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ભુજના જાણીતા તબીબ ડો.દિનેશ દવેએ જણાવ્યું હતું કે, વાયરલ જિનેટીકમાં પરિવર્તન આવે, ત્યારે કોરોના જેવા અન્ય વાયરલ ફિવર સંક્રમણ વધતું હોય છે. ઘરમાં બેથી વધુ સભ્યોને તાવ-શરદીનાં લક્ષણ દેખાય, તો ત્વરીત પરીક્ષણ કરાવવું હિતાવહ છે. ૨૦૨૧ના ભયાનક કોરોનાકાળ વખતની ગાઈડલાઈનનું પાલન કરવું ,માસ્ક પહેરવું, સતત હાથ ધોતા રહેવું સહિતની તકેદારી નાગરિકોએ રાખવી જોઈએ તેમ ડો.દિનેશ દવેએ ભારપૂર્વક જણાવ્યું હતું.
દેશ અને વિશ્વમાં કોરોનાની સ્થિતિ
દરમ્યાન, કોરોનાની આ લહેરના ફેલાવાએ ચિંતાજનક સ્તરે ઝડપ વધારી છે. સૌથી ગંભીર પરિસ્થિતિ થાઈલેન્ડની છે, જ્યાં અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ કોવીડ-૧૯ના દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. વળી આ દેશમાં કોરોનાનું એનબી.1.8.1 સ્વરૂપ છે, જે હાલમાં ભારતમાં સક્રિય છે. અહીં કોરોનાથી અત્યાર સુધીમાં ૫૨ દર્દીનાં મૃત્યુ થયાં છે. બેંગ્કોકમાં પણ સ્થિતિ ચિંતાજનક છે અને વૃદ્ધો, બાળકોથી માંડી તમામ આયુવર્ગના લોકો કોરોનાની ઝપટે ચડયા છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (હૂ)એ ચેતવણી આપી છે કે, કોરોનાને કારણે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. દક્ષિણ પૂર્વ એશિયા અને પૂર્વ ભૂમધ્ય સાગરવાળા દેશોમાં તેનો ફેલાવો સતત વધી રહ્યો છે. પોઝિટિવિટી રેશિયો ૧૧ ટકાએ પહોંચી ચુક્યો છે. આફ્રિકા, અમેરિકા અને યુરોપમાં હાલમાં કેસની સંખ્યા પ્રમાણમાં ઓછી છે, પરંતુ ૭૩ દેશમાં વધી રહેલો પ્રસાર ચિંતાજનક છે. ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ ૪૦૦૦ને પાર પહોંચી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર છેલ્લી સ્થિતિએ ૪૦ર૬ સક્રિય કેસ છે. છેલ્લા ર૪ કલાકમાં પ૧ર નવા કેસ સામે આવ્યા છે અને પાંચ દર્દીનાં મૃત્યુ થયાં છે.
કર્ણાટકમાં ર૯, ગુજરાતમાં ૩૬,પશ્ચિમ બંગાળમાં ૧૧ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યોની વાત કરવામાં આવે તો કેરળમાં ૧૪૧૬, મહારાષ્ટ્રમાં ૪૯૪, દિલ્હીમાં ૩૯૩, ગુજરાતમાં ૩૯૭, પશ્ચિમ બંગાળમાં ૩૭ર, કર્ણાટકમાં ૩૧૧, તમિલનાડુમાં ર૧પ, ઉત્તરપ્રદેશમાં ૧૩૮, રાજસ્થાનમાં ૭પ, પુડુચેરીમાં ર૭, આંધ્રપ્રદેશમાં ર૮, હરિયાણામાં ૪૪, મધ્યપ્રદેશમાં ર૧, ઓડિશામાં ૧પ, ઝારખંડમાં ૧૧, ગોવામાં ૮ અને જમ્મુ-કાશ્મીરમાં ૯,છત્તીસગઢમાં ૧૧, પંજાબમાં ૯, આસામમાં ૬,બિહારમાં ૧૧, સિક્કિમમાં ૪, તેલંગણામાં ૪ ઉત્તરાખંડમાં ૩, મિઝોરમમાં બે, ચંડીગઢમાં બે સામેલ છે.
કોરોનાગ્રસ્ત જે દર્દીનાં મૃત્યુ થયાં છે તેઓ કોરોના સાથે અન્ય બીમારીથી પણ પીડિત હતા. પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૩૭ દર્દીનાં મૃત્યુ થયાં છે. રાહતની વાત છે કે, અત્યાર સુધીમાં ર૭૦૦ દર્દી સાજા પણ થયા છે.આરોગ્ય મંત્રાલય કોરોનાના નવા પ્રકાર NB.1.8.1 પર દવા અને રસી કેટલી અસરકારક છે તેનો અભ્યાસ કરી રહ્યું છે.
આ પણ વાંચો….દેશમાં કોરોનાના કેસ 4 હજારને પાર, એક્ટિવ કેસમાં મહારાષ્ટ્ર બીજા – ગુજરાત ત્રીજા ક્રમે