ગુડ ન્યૂઝ: મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઇવે 5 જૂને સંપૂર્ણ શરુ થશે, સમયની બચત થશે
મુંબઈથી નાગપુર માત્ર 7 થી 8 કલાકમાં

મુંબઈઃ લાંબા સમયથી જેની આતુરતાથી રાહ જોવાતી હતી આખરે તેનું મુહૂર્ત આવ્યું છે. મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (MSRDC) એ સમૃદ્ધિ હાઇવેના છેલ્લા તબક્કાના ઉદ્ઘાટન માટે શુભ સમય નક્કી કર્યો છે. મુંબઈ અને નાગપુર વચ્ચે 701 કિમી લાંબો હાઇવે બનાવવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં તેમાંથી 625 કિમીનો માર્ગ વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. નાગપુરથી શિરડી વચ્ચેનો 520 કિમીનો હાઇવે 11 ડિસેમ્બર 2022 ના રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
બીજા તબક્કા હેઠળ, શિરડીથી ભરવીર સુધીનો 80 કિમીનો માર્ગ અને ત્રીજા તબક્કામાં ભરવીરથી ઇગતપુરી વચ્ચેનો 25 કિમીનો માર્ગ ગયા વર્ષે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હવે પાંચમી જૂનના ગુરુવારે ઇગતપુરીથી થાણે સુધીનો 76 કિલોમીટરનો છેલ્લો તબક્કો વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવશે.
છેલ્લા તબક્કાનું કામ સંપન્ન
આ છેલ્લા તબક્કાનું બાંધકામ લગભગ એક મહિના પહેલા પૂર્ણ થઈ ગયું હતું. પરંતુ સરકાર હાઇ-વેનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવા ઇચ્છતી હતી. આ કારણે, બાંધકામ પૂર્ણ થયા પછી પણ, છેલ્લા તબક્કાને વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો નહોતો.
આ પણ વાંચો: મુંબઈ-નાગપુર જુલાઈથી આઠ કલાકમાં ભરવીરથી ઈગતપુરી તબક્કો સોમવારથી ખુલ્લો મુકાયો
ટ્રકચાલકોને થશે વધુ ફાયદો
પરંતુ વડા પ્રધાનને સમય ન મળતાં આખરે સરકારે હવે તેમની હાજરી વિના તેનું ઉદ્ઘાટન કરવાનો નિર્ણય લીધો છે. એમએસઆરડીસીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સમૃદ્ધિ મહામાર્ગના છેલ્લા તબક્કાનું ઉદ્ઘાટન 5 જૂને કરવામાં આવશે. છેલ્લા તબક્કાના ઉદ્ધાટન સાથે વાહનો ઓછા સમયમાં મુંબઈથી નાગપુર પહોંચશે.
મુંબઈથી શિરડી પાંચ કલાકમાં
આખો હાઇવે ખુલવાથી મુંબઈથી નાગપુરની મુસાફરી માત્ર 7 થી 8 કલાકમાં પૂર્ણ થશે. તેમ જ મુંબઈથી નાસિક અને શિરડી જતા ભક્તોની યાત્રા પણ સરળ બનશે. હાલમાં, ભક્તોને મુંબઈથી શિરડી પહોંચવામાં સાતથી 8 કલાક લાગે છે, જ્યારે હવે આ યાત્રા લગભગ 5 કલાકમાં પૂર્ણ થઈ શકે છે. મુંબઈથી સમૃદ્ધિ મહામાર્ગ પર સરળતાથી પહોંચવા માટે, ભિવંડી અને થાણેના રાષ્ટ્રીય ધોરીમાર્ગને પહોળો કરવામાં આવી રહ્યો છે.