IPL 2025

આઈપીએલ ફાઈનલમાં વરસાદના કારણે એક પણ બોલ ન ફેંકાય તો કોણ બનશે ચેમ્પિયન?

અમદાવાદઃ આઈપીએલ 2025ની ફાઈનલ આજે બેંગલૂરુ અને પંજાબ વચ્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકથી આ મુકાબલો થશે. અમદાવાદમાં ત્રીજી વાર યોજાનારી આઈપીએલ ફાઈનલને નીહાળવા દેશભરમાંથી ક્રિકેટ પ્રેમીઓ પહોંચ્યા છે. અમદાવાદમાં આજે પણ વરસાદની આગાહી છે. આઈપીએલ 2025 ફાઈનલમાં વરસાદ પડે કે કોઈ અન્ય કારણોસર મુકાબલો ન રમાય તો ચેમ્પિયનનો નિર્ણય કેવી રીતે થશે તે જાણવા ફેંસ આતુર છે.

આ રીતે વિજેતા થશે નક્કી

જો વરસાદ કે અન્ય કારણોસર 3 જૂને 5-5 ઓવરની રમત શક્ય ન બને તો મેચ રિઝર્વ ડે (4 જૂને) રમાશે. પરિણામ એક જ દિવસે આવે તે માટે બીસીસીઆઈએ વધારાનો 120 મિનિટનો સમય રાખ્યો છે. તેમ છતાં રિઝલ્ટ ન આવે તો મેચ રિઝર્વ ડે પર રમાશે. રિઝર્વ ડે પર મેચ જ્યાં અટકી હતી ત્યાંથી જ શરૂ થશે. વરસાદ રિઝર્વ ડેના દિવસે પણ આવે અને 5-5 ઓવરની રમત શક્ય ન બને તો ઈન્ડિયન પ્રીમિયર લીગના વિજેતાનો નિર્ણય સુપર ઓવરથી થઈ શકે છે.

જો સુપર ઓવર પણ ન થાય તો પોઈન્ટ ટેબલના આધારે વિજેતાનો નિર્ણય થશે. વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર છે. જ્યારે આરસીબી બીજા ક્રમે છે. આ સ્થિતિમાં પંજાબ કિંગ્સને વિજેતા જાહેર કરવામાં આવી શકે છે.

2023ની ફાઈનલ રિઝર્વ ડેના દિવસે રમાઈ હતી

અમદાવાદમાં આ પહેલા 2023માં આઈપીએલ ફાઈનલ રમાઈ હતી. ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. આ મેચ પણ વરસાદથી પ્રભાવિત થઈ હતી. 28 મે, 2023ના રોજ એક પણ બોલ ફેંકાયો નહોતો. મેચ રિઝર્વ ડેના દિવસે રમાઈ હતી. રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ પડ્યો હતો અને મેચ 15 ઓવરની કરવામાં આવી હતી. ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્સનો 5 વિકેટથી વિજય થયો હતો.

આ પણ વાંચો….Video: ચહલે સૂર્યકુમારની વિકેટ લીધી ત્યારે RJ મહવશ ઉછળી પડી; પ્રીતિ ઝિન્ટાએ આ રીતે કરી ઉજવણી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button