સ્વાસ્થ્ય સુધા: સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ ગણાય છે દિવેલ- કૅસ્ટર ઑઈલ

-શ્રીલેખા યાજ્ઞિક
તાજેતરમાં વડા પ્રધાન મોદીજીએ દેશવાસીઓને ભારતીય વસ્તુનો ઉપયોગ વધારવાની હાકલ કરી છે. વિદેશી વસ્તુનો ઉપયોગ દિવસે દિવસે ઘટાડવાની વાત તેમણે કરી હતી. ચાલો, આજે સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય તેવા દેશી ઓસડિયું ગણાંતા દિવેલ કે એરંડિયાના નામે ઓળખાતા તેલ વિશે જાણકારી મેળવીએ. દિવેલ કે દિવેલાના નામે જાણીતા તેલનો ઉપયોગ આયુર્વેદિક ઉપચારમાં લાંબા સમયથી થતો આવ્યો છે. દિવેલ તેલ ‘દિવેલા’ નામક વનસ્પતિના બીજમાંથી મળે છે. વૈજ્ઞાનિક નામ રિકિનસ કમ્યુનિસ તરીકે ઓળખાય છે. દિવેલાનો મોટો હિસ્સો ભારતમાં પાકે છે. દક્ષિણ અમેરિકા, આફ્રિકામાં પણ એરંડિયાની ખેતી મોટા પાયે થતી આવી છે.
દિવેલાના પાન, બીજ, ડાળી, ફૂલ તથા તેમાંથી નીકળતું તેલ આરોગ્ય માટે સર્વોત્તમ ગણાય છે. તેલનો ઉપયોગ અનેક વ્યાધિમાં અકસીર ગણાય છે. 2022માં કરવામાં આવેલાં સંશોધન બાદ જાણવા મળ્યું છે કે દિવેલમાં મુખ્ય ઘટક રિસિનોલેઈક એસિડ હોય છે. આ એસિડ મૉઈશ્ર્ચરાઈઝરના રૂપમાં કામ કરે છે. ત્વચાને પોષણ પ્રદાન કરે છે. પ્રાકૃતિક રેચક તરીકે અકસીર ઉપાય ગણાય છે. ભરાવદાર લાંબા કાળા વાળ આજના યુગમાં સ્વપ્ન સમાન છે. વાળમાં દિવેલ નાખવાથી તેલનું પોષણ યોગ્ય પ્રમાણમાં મળી રહે છે. ધીમે ધીમે વાળનો જથ્થો આપોઆપ વધવા લાગે છે.
ભારતમાં દિવેલનો ઉપયોગ દવાથી માંડીને વિવિધ ઉદ્યોગોમાં થાય છે. દિવેલમાં રહેલી ખાસ ચીકાશને કારણે રંગ-રસાયણ, એન્જિનના ઊંજણમાં થાય છે. વિવિધ ઔદ્યોગિક બનાવટો જેવી કે પ્લાસ્ટિક, સાબુ, છાપકામની શાહી, મીણ, રબર, સૌંદર્ય પ્રસાધન તથા દવામાં મોટા પાયે કરવામાં આવે છે. દિવેલના છોડના માવાનો ઉપયોગ હાર્ડબોર્ડ તથા ન્યૂઝપ્રિન્ટની બનાવટમાં કરવામાં આવે છે. દિવેલાના ખોળનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા સુધારવા સેન્દ્રિય ખાતર તરીકે ઘણું જ ઉપયોગી છે. દિવેલાનું મૂળ વતન આફ્રિકા તથા ભારત માનવામાં આવે છે. ભારતના અખાદ્ય તેલીબિયાંના પાકોમાં દિવેલાનું સ્થાન પ્રથમ છે. દિવેલાની ખેતી દ્વારા સ્થાનિક જરૂરિયાત પૂર્ણ થયા બાદ તેની મોટા પાયે નિકાસ કરવામાં આવે છે. વળી દિવેલાની નિકાસ દ્વારા વર્ષે લગભગ 70થી 100 કરોડ રૂપિયાનું હૂંડિયામણ મળે છે.
દિવેલામાં વધુ ઉત્પાદન આપતી સંકર જાતો વિકસાવવામાં ગુજરાત ભારતમાં તથા વિશ્ર્વમાં અગ્રેસર ગણાય છે. સંકર જાતો તથા ખેતી પદ્ધતિને અનુરૂપ ભલામણો અપનાવવાને કારણે રાજ્યની ઉત્પાદક્તા 1960-65માં ફક્ત 305 કિગ્રા હૅક્ટર હતી તે વધીને હાલમાં 1630 કિગ્રામ હૅક્ટર છે. જે દેશમાં સૌથી વધુ અને રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ અઢીગણી છે.
દિવેલાનો પાક પિયત તથા બિનપિયત બંને રીતે લેવામાં આવે છે. પિયત દ્વારા તેનું ઉત્પાદન બમણું કે તેથી પણ વધુ મેળવી શકાય છે. દિવેલા માટે એવું કહેવાય છે કે સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ નિયમિત તથા સારો હોય તો વાવણી બાદ પ્રથમ પાણી 70 થી 75 દિવસે આપવું પડે છે. દિવેલના પાકની ખાસ વાત એટલે જ દિવેલાના પાકની બે હાર વચ્ચે એક હાર તલ તથા મગફળી જેવાં તેલીબિયાંનો પાક લેવામાં આવે છે. તો ક્યારેક મગ, ચોળા, અડદ જેવા કઠોળની ખેતી ખાસ કરવામાં આવે છે. જેથી બમણો પાક મેળવી શકાય.
આ પણ વાંચો….સ્વાસ્થ્ય સુધા: શરીરને ઠંડક બક્ષતી વનસ્પતિ ખસ…
અરે શું થયું ?… દિવેલ પીધા જેવું મોં શા માટે બનાવો છો? દિવેલ કે જેને અંગ્રેજીમાં કૅસ્ટર ઑઈલ કહેવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. એક વખત અજમાવી જોજો ફાયદો અવશ્ય જોવા મળશે. તેને ભારતના વિવિધ રાજ્યોમાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે.
જેમ કે સંસ્કૃતમાં ગન્ધર્વહસ્તક કે ચિત્રબીજ, હિન્દીમાં રેંડી કે ઍરંડી, મરાઠીમાં ઍરંડી કે ઍરંડ, બંગાળીમાં ભેરંડા, પંજાબીમાં અનેરૂ, તેલુગુમાં આમુડામુ કે ઍરંડમુ, તમિળમાં આમણકકમ્, ક્ધનડમાં હરલુ, ગુજરાતીમાં દિવેલ કે ઍરંડિંયા તરીકે જાણીતું છે.
દિવેલના આરોગ્યવર્ધક લાભ
કબજિયાતમાં ગુણકારી : દિવેલનો ઉપયોગ મુખ્યત્ત્વે રેચક તરીકે કરવામાં આવે છે. દિવેલમાં સમાયેલાં રિસિનોલેઈક એસીડ આંતરડામાં ભળતાં પાચન પ્રક્રિયા સુધરે છે. લાંબા સમયથી કબજિયાતથી પિડાતી વ્યક્તિને જો 1 ચમચી ગરમ પાણીમાં કે ચા સાથે દિવેલ પીવડાવવામાં આવે તો પેટ સરસ સાફ થઈ જાચ છે. પ્રાકૃતિક હોવાની સાથે દોષ મુક્ત ગણાય છે. આજે બજારમાંથી કેમિકલ વાળી પેટ સાફની દવા ઉપર વધુ આધાર રાખવામાં આવે છે. માન્યું કે દિવેલની વાસ પસંદ ન હોવાથી તેને પીવું થોડું તકલીફ દાયક બની શકે. તેના ઉપાય રૂપે પરાઠા કે ભાખરીમાં મોણ તરીકે દિવેલનો ઉપયોગ કરી લેવો. ગરમાગરમ ભાખરી કે પરાઠાને બનાવીને ખવડાવવાથી તેના ગુણ શરીરને મળી રહે છે. પેટની તકલીફમાં ઝડપી રાહત મેળવી શકાય છે.
ત્વચાને મુલાયમ બનાવવામાં ગુણકારી: સામાન્ય રીતે શરીર ઉપર તેલની માલિશ બાળકોને ખાસ કરવામાં આવતી હોય છે. જ્યારે વયસ્ક વ્યક્તિ ભાગ્યે જ શરીરને તેલની માલિશ કરવાનું પસંદ કરે છે. પ્રસૂતિ બાદ માતા માટે ઘરે માલિશના નિષ્ણાત બહેનને બોલાવવામાં આવે છે. જે માલિશ માતાના શરીરને નવજીવન બક્ષે છે. દિવેલમાં ફેટી એસિડનું પ્રમાણ ભરપૂર હોય છે. વળી તેમાં મૉઈશ્ર્ચરાઈઝિંગના ગુણો સમાયેલાં હોય છે. જે ત્વચામાં ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. ત્વચા ઉપર લગાવતાં પહેલાં તેમાં નાળિયેર, બદામ કે તલનું તેલ ભેળવવું. જેથી તેનો ઉપયોગ શરીર ઉપર ઘસવામાં સરળ બને છે.
આ પણ વાંચો….સ્વાસ્થ્ય સુધા : સાદી સફેદ ખાંડ છોડીને અપનાવો નાળિયેરની ખાંડ…
સાંધાના દુખાવામાં ગુણકારી : એરંડિયાનું તેલ સાંધાના દુખાવામાં અત્યંત લાભદાયક ગણવામાં આવે છે. તેલની મસાજ કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. દિવલેનો ઉપયોગ સાંધાના દર્દમાં કેટલો સફળ થયો તે માટે ખાસ સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં ચાર સપ્તાહ સુધી ભાગ લેનારાં પ્રત્યેક સાંધાના દુખાવાના દર્દીને દિવસમાં 3 વખત દિવેલના તેલની માલિશ કરવામાં આવી હતી. અધ્યયનના અંતમાં 92 ટકા પ્રતિભાગીયોને સાંધાના દુખાવામાં આડઅસર વગર ઘણી રાહત થઈ હતી. દિવેલમાં ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો સમાયેલાં હોય છે. જે માંસપેશીમાં થતાં દુખાવાને તથા સોજાને ઘટાડવામાં મદદ કરે છે.
વાળને માટે ગુણકારી : કેમિકલયુક્ત શૅમ્પૂનો વારંવાર ઉપયોગ કરવાને કારણે વાળ ખરવા લાગે છે. ક્યારેક વાળમાં ખોડો વધી જતો હોય છે. વાળની ચમક પાછી લાવવા માટે નાળિયેર તેલમાં દિવલે ઉમેરવું. ગરમ કરીને વાળમાં લગાવવાથી વાળ ઘટાદાર બનશે. નાની વયમાં સફેદ થતાં અટકે છે. કેમ કે દિવેલમાં જીવાણુ વિરોધી, ઍન્ટિફંગલ તથા સોજાવિરોધી ગુણો સમાયેલાં છે. જે વાળ તથા માથાની ત્વચાને ફંગલ સંક્રમણથી બચાવે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે: દિવેલ પીવાથી શ્ર્વેત રક્તકોશિકાઓની સંખ્યા વધતા લિમ્ફોસાઈટોંના ઉત્પાદનમાં વધારો થાય છે. જે ઍન્ટિ-બૉડીનું ઉત્પાદન વધારી શકે છે. વળી વાયરસ કે કૅન્સર કોશિકાઓને વધતી રોકવામાં દિવેલ ગુણકારી ગણાય છે.
શરીરમાં લોહીનું પરિભ્રમણ વધારે છે: દિવેલના ઉપયોગ દ્વારા શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે. લિમ્ફોસાઈટોના ઉત્પાદનમાં વધારો કરે છે. લિમ્ફોસાઈટો શરીરમાંથી પ્રાકૃતિક રૂપે બૅક્ટેરિયાને નષ્ટ કરે છે. સાથે સાથે શરીરને ડિટોક્સીફાઈ કરી શકે છે.
પાચન સંબંધિત સમસ્યામાં રાહત આપે છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધારવામાં મદદ કરે છે. શરીરની પ્રત્યેક કોશિકાઓને ઑક્સિજન પહોંચાડવામાં લાભકારક ગણાય છે.
દિવેલ કેટલી માત્રામાં લેવું જોઈએ? 12 વર્ષનાં બાળકોને 1 નાની ચમચી દિવેલ આપી શકાય છે. જ્યારે વયસ્ક વ્યક્તિ કબજિયાતની તકલીફમાં રાત્રે 1 મોટી ચમચી લઈને સૂઈ જાય તો સવારના સ્વસ્થ થઈને ઊઠે છે. રાત્રે ના ફાવે તો નરણાં કોઢે દિવેલનો ઉપયોગ રેચક તરીકે કરી શકાય છે.
શુદ્ધ દિવેલ ઘરે બનાવી શકાય છે. તેની રીત સરળ છે. ફક્ત થોડો સમય માગી લે છે. ચાલો તો જાણી લઈએ દિવેલ ઘરે બનાવવાની રીત:
સામગ્રી : 2 કપ દિવેલાના બીજ, ઉકાળવા માટે 2 લિટર પાણી,
બનાવવાની રીત : સૌ પ્રથમ દિવેલના લીલા બીજને સૂકવી દેવાં. તેને લોખંડની કડાઈ કે માટીની કડાઈમાં શેકી લેવાં. શેકાઈ જાય ત્યારબાદ તેને ઠંડા કરીને વાટી લેવાં. વાટતી વખતે જ તેમાંથી તેલ બહાર નીકળવા લાગશે. હવે એક જાડા તળિયા વાળી કડાઈમાં 2લિટર પાણી લેવું. તેમાં વાટેલાં બીજને ઉમેરીને ઉકાળવું. 10 મિનિટ બાદ આપમેળે દિવેલ અલગ તરી આવશે. તેને સ્વચ્છ મુલાયમ કપડાંથી ગાળી લેવું. તાજા બનાવેલાં દિવેલનો ઉપયોગ સાંધાના દુખાવામાં અત્યંત ઉપયોગી ગણાય છે. વળી વિવિધ વ્યાધિમાં સર્વોત્તમ ઈલાજ ગણાય છે. તાજું તથા શુદ્ધ દિવેલ ભારતની આયુર્વેદિક ચિકિત્સામાં લાભકારી ગણાય છે.
આ પણ વાંચો….સ્વાસ્થ્ય સુધા: શરીરને સ્ફૂર્તિલું બનાવવું હોય તો ગરમીમાં ખાવ ગુંદર…