આમચી મુંબઈ

મીઠી નદીની સફાઈ માત્ર ૫૬ ટકામીઠીની સફાઈ કરનારો કૉન્ટ્રેક્ટર ગાયબ હોવાથી કામ અટવાયું

આગામી દિવસોમાં ભારે વરસાદ દરમ્યાન પૂરજનક પરિસ્થિતિનું પુનરાર્વતન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં નાળાસફાઈનું કામ પૂરું થયું ન હોવાને કારણે સોમવારે શહેર અને ઉપનગરમાં ઠેકઠેકાણે પાણી ભરાઈ જતા ચોતરફથી પાલિકા પ્રશાસનની ટીકા થઈ રહી છે, તેમાં નાળાસફાઈના કામમાં મહત્ત્વની ગણાતી મીઠી નદીની સફાઈ પણ માંડ ૫૫.૫૭ ટકા જ થઈ છે અને નાળાસફાઈના કથિત કૌભાંડની તપાસ ચાલી રહી હોવાથી જે કૉન્ટ્રેક્ટરને કામ આપ્યું છે જેે ગાયબ છે અને બીજા કૉન્ટ્રેક્ટર આગળ આવવા તૈયાર નથી, તેને કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ પડયો તો મુંબઈ ઉપનગરના વિસ્તારો જળબંબાકાર થવાની ભારોભાર શક્યતા છે.

મુંબઈમાં ઉપનગર અને દક્ષિણ મુંબઈના બંને વિસ્તારોમાંથી વહેતી લગભગ ૨૨ કિલોમીટર લંબાઈની મીઠી નદીની સફાઈ અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે અને અત્યાર સુધી તેમાંથી માત્ર ૫૫.૫૭ ટકા ગાળ કાઢવામાં આવ્યો છે. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ મીઠી નદીની સફાઈનું કામ ત્રણ તબક્કામાં ચાલી રહ્યું છે, જેમાં પહેલા તબક્કાનું કામ કરનારા કૉન્ટ્રેક્ટર પર નાળાસફાઈમાં કૌભાંડ કરવાનો આરોપ હોવાથી તેનો કોઈ પતો નથી. તો બીજા તબક્કામાં સફાઈ કરનારા કૉન્ટ્રેક્ટરને પ્રશાસનની સાથે છેતરપિંડી કરવા બદલ તેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે, તેથી પાલિકાની મીઠી નદીની સફાઈનું કામ અટવાઈ ગયું છે.

ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ મીઠી નદીની સફાઈકામમાં થયેલા કૌભાંડની તપાસ ચાલી રહી છે તેથી કોઈ નવો કૉન્ટ્રેક્ટર મીઠીના સફાઈના કામ માટે આગળ આવતો નથી, તેથી ચોમાસા પહેલા નદીની સફાઈનું જે લક્ષ્યાંક રાખ્યું હતું તેને પહોંચી શકયા નથી. કામ પૂરું કરવા માટે નવો કૉન્ટ્રેક્ટર શોધવાની સાથે જ થાણે અને નવી મુંબઈમાં જઈને પણ તપાસ કરી છે, પણ નાળાસફાઈના કૌભાંડની તપાસ ચાલતી હોવાથી કોઈ કામ કરવા આગળ આવવા તૈયાર નથી.

મીઠી નદીની સફાઈ અધૂરી થઈ હોવાને કારણે આગામી દિવસોમાં જો ભારે વરસાદ પડયો તો ઉપનગરમાં કુર્લા, સાકીનાકા, સાયન, માટુંગા, બાન્દ્રા, માહિમ સહિતના વિસ્તારોમાં પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. મુંબઈમાં ૨૬ જુલાઈ, ૨૦૦૫માં અતિવૃષ્ટિ દરમ્યાન મીઠી નદીમાં આવેલા પૂરને કારણે જ પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી હતી.

નાળાસફાઈ માત્ર ૭૬ ટકા

નાળાસફાઈ માટે અગાઉ ૩૧ મે, ૨૦૨૫ની મુદત રાખ્ાવામાં આવી હતી, જેને બાદમાં સાત જૂન સુધી વધારવામાં આવી હતી. સોમવાર, બે જૂન સુધીમાં મુંબઈમાં સરેરાશ ૭૬.૯૨ ટકા નાળાસફાઈનું કામ પૂરું થયું હતું. જોકે મુંબઈ માટે અત્યંત મહત્ત્વની ગણાતી મીઠી નદીની સફાઈનું કામ માત્ર ૫૫.૫૭ ટકા થયું છે. મીઠી નદીમાંથી કુલ ૨,૧૪,૩૧૫ મેટ્રિક ટન ગાળ કાઢવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, તેની સામે અત્યાર સુધી માત્ર ૧,૧૯,૦૯૭.૪૯ મેટ્રિક ટન ગાળ કાઢવામાં આવ્યો છે.

આપણ વાંચો:  મિડલ વૈતરણા પર હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન થશે

મીઠીની સફાઈમાં કૌભાંડમાં ઈડીની તપાસ

મીઠી નદીમાંથી ગાળ કાઢવાનો ૬૫ કરોડ રૂપિયાના કથિત કૌભાંડ પ્રકરણમાં મુંબઈની એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઈડી) દ્વારા તપાસ ચાલી રહી છે. નદીના ગાળ કાઢવા સંબંધિત કૉન્ટ્રેક્ટ આપવાના અને તેને અમલમાં લાવવામાં કથિત રીતે અનિયમિતતા જણાઈ આવતા આ પ્રકરણમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ વખતે મીઠી નદીનું સફાઈનું કામ જેને આપવામાં આવ્યું છે તેમાંના એક કૉન્ટ્રેક્ટરનો તેમાં સમાવેશ હોવાથી તે હાલ ગાયબ છે. તો ગાળ કાઢવાના કામમાં બેદરકારી બતાવી પાલિકાને છેતરવા બદલ બીજા કૉન્ટ્રેક્ટરને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે. તેથી કામ અટવાઈ પડયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button