IPL 2025ટોપ ન્યૂઝ

આજે અમદાવાદમાં આઈપીએલ 2025ની ફાઈનલ, જાણો કેવું રહેશે હવામાન

અમદાવાદઃ ક્રિકેટનો મહાકુંભ કહેવાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ફાઈનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પંજાબ અને બેંગલૂરુ વચ્ચે સાંજે 7.30 કલાકથી મુકાબલો શરૂ થશે. આઈપીએલ ફાઈનલમાં પણ વરસાદનું વિધ્ન નડી શકે છે. અમદાવાદમાં રમાયેલી ક્વોલિફાયર-2માં પણ વરસાદ પડ્યો હતો અને મેચ વિલંબથી શરૂ થઈ હતી. આ સ્થિતિમાં જો આઈપીએલ 2025 ફાઈનલમાં વરસાદ પડે કે કોઈ અન્ય કારણોસર મુકાબલો ન રમાય તો ચેમ્પિયનનો નિર્ણય કેવી રીતે થશે તે જાણવું જરૂરી છે.

જો વરસાદ કે અન્ય કારણોસર 3 જૂને 5-5 ઓવરની રમત શક્ય ન બને તો મેચ રિઝર્વ ડે (4 જૂને) રમાશે. પરિણામ એક જ દિવસે આવે તે માટે બીસીસીઆઈએ વધારાનો 120 મિનિટનો સમય રાખ્યો છે. તેમ છતાં રિઝલ્ટ ન આવે તો મેચ રિઝર્વ ડે પર રમાશે. રિઝર્વ ડે પર મેચ જ્યાં અટકી હતી ત્યાંથી જ શરૂ થશે. વરસાદ રિઝર્વ ડેના દિવસે પણ આવે અને 5-5 ઓવરની રમત શક્ય ન બને તો ઈન્ડિયન પ્રીમિયર લીગના વિજેતાનો નિર્ણય સુપર ઓવરથી થઈ શકે છે.

જો સુપર ઓવર પણ ન થાય તો પોઈન્ટ ટેબલના આધારે વિજેતાનો નિર્ણય થશે. વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર છે. જ્યારે આરસીબી બીજા ક્રમે છે. આ સ્થિતિમાં પંજાબ કિંગ્સને વિજેતા જાહેર કરવામાં આવી શકે છે.

આપણ વાંચો:  પ્રીતિ ઝિન્ટા IPL માંથી કેટલી કમાણી કરે છે? જાણો તેની નેટવર્થ?

અમદાવાદમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગે 3 જૂનના રોજ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.

અમદાવાદમાં આ પહેલા 2023માં આઈપીએલ ફાઈનલ રમાઈ હતી. ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. આ મેચ પણ વરસાદથી પ્રભાવિત થઈ હતી. 28 મે, 2023ના રોજ એક પણ બોલ ફેંકાયો નહોતો. મેચ રિઝર્વ ડેના દિવસે રમાઈ હતી. રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ પડ્યો હતો અને મેચ 15 ઓવરની કરવામાં આવી હતી. ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્સનો 5 વિકેટથી વિજય થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button