
અયોધ્યાઃ શ્રીરામ જન્મભૂમિમાં આજે સવારે 6.30 કલાકથી બીજા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની શરૂઆત થઈ હતી. ત્રણ દિવસ સુધી ચાલનારા આ સમારોહમાં રામ દરબાર, શિવલિંગ, ગણપતિ, હનુમાન, સૂર્ય, ભગવતી અને અન્નપૂર્ણાની સાથે શેષાવતાર મંદિરમાં દેવ વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા થશે. રામ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.
ત્રિદિવસીય સમારોહમાં મંગળવાર અને બુધવારે સવારે 6.30 કલાકથી 12 કલાક સુધી પૂજા-અનુષ્ઠાન થશે. જેમાં 1978 મંત્રોની સાથે અગ્નિ દેવતાને આહુતિ આપવામાં આવશે. તેમજ રામરક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસા તથા અન્ય ભક્તિ ભજનોનો પાઠ કરવામાં આવશે. મુખ્ય સમારોહ 5 જૂને થશે. જેમાં રામ દરબાર (શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને હનુમાન)ની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે સાત અન્ય મંદિરોમાં દેવ પ્રતિમાની સ્થાપના થશે.
રામ જન્મભૂમિમાં બીજા પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે પંચાગ પૂજન, મંડપ પ્રવેશ, યજ્ઞ મંડપ પૂજન, ગ્રહ યોગ, અગ્નિસ્થાપન, વન, કર્મ કુટી, જળાધિવાસ અનુષ્ઠાન થશે. શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં રામ દરબાર સહિત તમામ મંદિરમાં સ્થાપિત મૂર્તિઓના શુદ્ધિકરણની પ્રક્રિયાનો આજે સવારથી આરંભ થયો હતો.5 જૂને થનારો મુખ્ય સમારોહ ઐતિહાસિક હશે. આ દિવસે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે સાત અન્ય મંદિરોમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા થશે.
22 જાન્યુઆરી, 2024ના રોજ ભગવાન શ્રીરામ બાળક તરીકે સ્થાપવામાં આવ્યા હતા. હવે બીજા પ્રાણ પ્રતિષ્ઠામાં ભગવાન રામને રાજા તરીકે સ્થાપિત કરવામાં આવશે. રામ દરબારમાં ભગવાન રામની સાથે લક્ષ્મણ, ભરત, શત્રુધ્ન, માતા જાનકી અને સેવક હનુમાન પણ હશે.
આ પણ વાંચો….અયોધ્યા વધુ એક ઈતિહાસ રચવા માટે તૈયારઃ રામ મંદિરના પરિસરમાં ગંગા દશેરાએ થશે 14 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા