રદ્દ કરાયેલી ધોરણ ૧ થી ૫ વિદ્યાસહાયક ભરતી ફરી શરૂ થશે, આજથી કોલ લેટર ડાઉનલોડ કરો!

ગાંધીનગર: ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર “રિઝલ્ટ” શબ્દના ઉલ્લેખને કારણે રદ્દ કરવામાં આવેલી ધોરણ ૧ થી ૫ના વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા ફરીથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ મેરિટ ગણવામાં થયેલી ગંભીર ભૂલને કારણે રદ કરાયેલી જિલ્લા પસંદગીની કાર્યવાહી હવે ફરીથી હાથ ધરવામાં આવશે. ઉમેદવારો આજથી એટલે કે ૨ જૂન, ૨૦૨૫ના રોજ સાંજે ૬ વાગ્યાથી પોતાના કોલ લેટર ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે.
જિલ્લા પસંદગી માટેની નવી તારીખો:
વિદ્યાસહાયક ભરતી-૨૦૨૪ (ધો. ૧ થી ૫ ગુજરાતી માધ્યમ) માટે ઉમેદવારોને ૫ જૂન, ૨૦૨૫ થી ૨૮ જૂન, ૨૦૨૫ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે. ઉમેદવારોને જિલ્લા પસંદગી માટેની ચોક્કસ તારીખ, સમય અને સ્થળ તેમના કોલ લેટરમાં દર્શાવવામાં આવશે. ઉમેદવારોએ વેબસાઈટ પરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે, અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં.

ભરતી રદ થવા પાછળનું કારણ
આ ભરતી પ્રક્રિયા રદ કરવા પાછળનું મુખ્ય કારણ ભરતી સમિતિ દ્વારા મેરિટ ગણવામાં આવેલી મોટી ચૂક હતી. વર્ષ ૨૦૧૭ના ઠરાવ સ્પષ્ટ હોવા છતાં, ભરતી સમિતિએ તેનું અર્થઘટન પોતાની રીતે કર્યું હતું અને ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યરના ગુણના આધારે મેરિટ ગણ્યું હતું.
આ ભૂલ ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટમાં ઉદ્ભવેલી સમસ્યાને કારણે થઈ હતી. આ ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર “રિઝલ્ટ” શબ્દનો ઉલ્લેખ હોવાને કારણે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલ ગુણ અને મેળવેલા ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢવામાં ભૂલ થઈ હતી. આના પરિણામે ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થવાની અને અસંતોષ ઊભો થવાની શક્યતા હતી, જેને પગલે આખી ભરતી પ્રક્રિયા રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.