મહારાષ્ટ્રમાં કોવિડનાં 59 નવા કેસ નોંધાયા, 20 એકલા મુંબઈમાં

મુંબઈ: મહારાષ્ટ્રમાં ૫૯ નવા કોવિડ -૧૯ના કેસ નોંધાતા ચિંતા વધી ગઈ છે. મુંબઈગરાએ પણ ચેતવા જેવું છે, કેમકે કુલ કેસમાંથી ૨૦ એકલા મુંબઈમાં છે, જેના કારણે આ વર્ષે ૧ જાન્યુઆરીથી રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૮૭૩ થઈ ગઈ છે, એમ5 આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગના નિવેદન અનુસાર, જાન્યુઆરી ૨૦૨૫થી રાજ્યમાં કુલ ૧૨,૦૧૧ કોવિડ-૧૯ પરીક્ષણો કરવામાં આવ્યા છે, અને સક્રિય કેસોની સંખ્યા ૪૯૪ છે, જ્યારે ૩૬૯ દર્દીઓ વાયરલ ચેપમાંથી સાજા થયા છે.
આ પણ વાંચો: ભારતમાં કોવિડ-19 કેસમાં ચિંતાજનક ઉછાળો; છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 55 કેસ
કોવિડના નવા કેસોમાં, મુંબઈમાં ૨૦, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં ૧૭, થાણેમાં ચાર અને પુણે જિલ્લામાં (નગરપાલિકા વિસ્તારોની બહાર) એક કેસ નોંધાયા છે. અન્ય કેસ છત્રપતિ સંભાજીનગર (૭), પિંપરી-ચિંચવડ, સતારા, કોલ્હાપુર, અકોલા (દરેકમાં ૨), સાંગલી (૧) અને છત્રપતિ સંભાજીનગર (૧ – નાગરિક વિસ્તારોની બહાર) મ્યુનિસિપલ હદમાંથી નોંધાયા છે, એમ અહેવાલમાં જણાવાયું છે.
રાજ્યમાં કોવિડ-૧૯ દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે અને વિભાગ દ્વારા પરીક્ષણ અને સારવાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, એમ તેમાં જણાવાયું છે. આ લક્ષણોમાં તાવ, ઉધરસ, હાંફ ચડવી અથવા શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં દુખાવો અને નાક બંધ થવું અથવા વહેવું વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: સરકારી ડોક્ટર ઑડિયો ક્લિપમાં સહકર્મીને કોવિડ-19ની દર્દીને ‘મારી નાખવા’નું કહેતા સંભળાયા: ગુનો દાખલ
વિભાગે જણાવ્યું હતું કે ૧ જાન્યુઆરીથી મુંબઈમાં નોંધાયેલા ૪૮૩ કોવિડ-૧૯ કેસમાંથી મોટા ભાગના (એટલેકે ૪૭૭) ફક્ત મે મહિનામાં જ નોંધાયા છે. વર્ષની શરૂઆતથી રાજ્યમાં નવ દર્દીઓ આ બીમારીથી મૃત્યુ પામ્યા છે, જેમાંથી સાત દર્દીઓને કેન્સર, ડાયાબિટીસ, હાયપરટેન્શન, નેફ્રોટિક સિન્ડ્રોમ (કિડની ડિસઓર્ડર) સાથે હાઈપોગ્લાયકેમિક હુમલા (ખૂબ જ ઓછા બ્લડ સુગર લેવલને કારણે), સેરેબ્રલ ઇન્ફાર્ક્શન (સેરેબ્રોવેસ્ક્યુલર ડિસીઝ) અને આઇએલડી (ઇન્ટરસ્ટિશલ ફેફસાના રોગ) સહિત કોમોર્બિડિટીઝ (બે કે તેથી વધુ તબીબી પરિસ્થિતિઓની હાજરી) હતી, એમ પ્રકાશનમાં ઉમેરવામાં આવ્યું છે.
કોરોનાવાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને, આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું છે કે ચિંતાનું કોઈ કારણ નથી, પરંતુ લોકોએ સતર્ક રહેવું જોઈએ.