પાકિસ્તાનમાં હિંદુ મંદિરની જમીન પર ગેરકાયદે કબજો: સિંધમાં વિરોધ પ્રદર્શન

કરાચીઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિંદુ સમુદાયના સભ્યોએ હૈદરાબાદ શહેરમાં એક ઐતિહાસિક મંદિરની છ એકર જમીન પર ગેરકાયદે કબજો કરવા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ વિરોધ પ્રદર્શન કરાચીથી લગભગ ૧૮૫ કિમી દૂર મુસા ખાતિયાન જિલ્લાના તંડો જામ નગરમાં થયું હતું. હિંદુ સમુદાયના નેતા સીતલ મેઘવારે મીડિયાને જણાવ્યું કે આ લોકોએ મુસા ખાતિયાનમાં શિવ મંદિર શિવાલાની જમીન પર ગેરકાયદે બાંધકામ શરૂ કર્યું છે.
હિંદુ સમુદાયના કલ્યાણ અને અધિકારો માટે લડતા પાકિસ્તાન દલિત ઇત્તેહાદ(પાકિસ્તાન દ્રવિડ ગઠબંધન)ના આહ્વાન પર મહિલાઓ અને બાળકો સહિત પ્રદર્શનકારીઓ બહાર નીકળ્યા હતા.
સમુદાયના અન્ય એક નેતા રામ સુંદરે જણાવ્યું કે મંદિર અમારા માટે પવિત્ર છે અને આ બિલ્ડરોએ સમુદાય માટેની સ્મશાનભૂમિ સહિત મંદિરની આસપાસની જમીન પર બાંધકામ શરૂ કરી દીધું છે.
પ્રદર્શનકારીઓએ સિંધના પ્રભાવશાળી કાશખેલી સમુદાય સાથે સંબંધિત બિલ્ડરો સામે સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. શહેરના વિવિધ સ્થળોએ ધરણા કર્યા પછી તંડો જામ પ્રેસ ક્લબની સામે પ્રદર્શન સાથે વિરોધ સમાપ્ત થયો હતો.
પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે બિલ્ડરોએ શિવ મંદિર તરફ જવાના રસ્તાઓ પણ બંધ કરી દીધા છે. જેના કારણે સમુદાય માટે સાપ્તાહિક પ્રાર્થના કરવી પણ કપરૂં થઇ પડ્યું છે. પીડીઆઇના વડા શિવ કાચીએ ચેતવણી આપતા જણાવ્યું કે જો સરકાર અને સ્થાનિક અધિકારીઓ આ તરફ ધ્યાન નહીં આપે તો તેઓ આગામી તબક્કામાં હૈદરાબાદ શહેરમાં વિરોધ પ્રદર્શન કરશે અને ન્યાય માટે કોર્ટના દ્વાર પણ ખટખટાવશે.