ડ્રોન અટેક બાદ યૂક્રેન-રશિયા વચ્ચે થઇ વાટાઘાટો; આ મોટો નિર્ણય લેવામાં આવ્યો…

ઈસ્તંબુલ: ગઈ કાલે યુક્રેને રશિયાના એર બેઝ પર ડ્રોન વડે જોરદાર હુમલો (Ukraine attack on Russia) કર્યો હતો, જેમાં રશિયાના 40 જેટલા બોમ્બર વિમાન નાશ પામ્યા હતાં. રશિયાએ આ હુમલાનો વળતો જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી છે. યુદ્ધ વધુ ભીષણ બનવાની શક્યતાઓ વચ્ચે આજે સોમવારે તુર્કીમાં રશિયા અને યુક્રેનના પ્રતિનિધિમંડળો બીજા રાઉન્ડની વાટાઘાટો (Peace talk Russia-Ukraine) માટે મળ્યા હતાં.
યુદ્ધનો અંત લાવવાના પ્રયસો માટેના બીજા રાઉન્ડના વાટાઘાટો માટે બંને પક્ષના અધિકારીઓ ઈસ્તંબુલના સિરાગન પેલેસ(Çırağan Palace) ખાતે મળ્યા હતાં, આ વાટાઘાટો એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. તુર્કીના વિદેશ પ્રધાન હકાન ફિદાનએ વાટાઘાટોની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં તુર્કીની ગુપ્તચર એજન્સીના અધિકારીઓ પણ હાજર હતા.

નવા કરાર પર સંમતિ:
યુક્રેનિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા હેઓરહી તિખવી (Heorhii Tykhvi) એ જણાવ્યું કે સંરક્ષણ પ્રધાન રૂસ્ટેમ ઉમેરોવે યુક્રેનિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. ઉમેરોવે બેઠક પછી જણાવ્યું હતું કે યુદ્ધ કેદીઓ (PoW) ના વિનિમય માટેના નવા કરાર પર સંમતિ સધાઈ છે, જેમાં ખાસ કરીને ગંભીર રીતે ઘાયલ અને યુવા યુદ્ધ કેદીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
દરમિયાન, લિથુઆનિયાના વિલ્નિયસમાં એક કાર્યક્રમમાં સંબોધન આપતા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે બંને પક્ષોએ તુર્કીના માધ્યમથી દસ્તાવેજોની આપ-લે કરી છે, અને અમે યુદ્ધના કેદીઓને છોડવા માટે તૈયારી કરી રહ્યા છીએ.
શાંતિ સ્થપાવાની આશા ઝાંખી પડી:
ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે બંને દેશના પ્રતિનિધિમંડળો વચ્ચે વાટાઘાટો શરુ કરવામાં આવી હતી. 6મે ના રોજ પહેલા રાઉન્ડની વાટાઘાટો થઇ હતી, જેમાં બંને પક્ષો યુદ્ધ કેદીઓને છોડવા સંમત થયા હતાં. ગઈ કાલે યુક્રેને રશિયાના એરબેઝને નિશાન બનાવીને ડ્રોન હુમલો કર્યો હતો. ત્યાર બાદ બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓના તાજેતરના નિવેદનો દર્શાવે છે કે હાલ યુદ્ધનો અંત આવવાનો કોઈ શક્યતા દેખાઈ રહી નથી.