
દેહરાદુન: વર્ષ 2022માં ઉત્તરાખંડમાં બનેલા અંકિતા ભંડારી હત્યા કેસ(Ankita Bhandari murder case)માં કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. કોટદ્વારના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે આજે 30 મેના રોજ ચુકાદો સંભળાવ્યો છે. આ કેસમાં કોર્ટે ત્રણ આરોપીઓ પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને દોષિત ઠેરવ્યા છે, હવે દોષિતોને સજા સંભળાવવામાં આવશે. પુલકિત આર્ય ભાજપના પૂર્વ નેતા વિનોદ આર્યનો દીકરો છે, જેને કારણે આ મામલો વધુ ચર્ચિત બન્યો હતો.

આ કેસની સુનાવણી કુલ બે વર્ષ અને આઠ મહિના સુધી ચાલી હતી. સુનાવણી દરમિયાન, કોર્ટ સમક્ષ પુરાવા અને સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદ પક્ષ દ્વારા 47 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. કેસની તપાસ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(SIT) ની રચના કરવામાં આવી હતી, જેણે 500 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.
સુનાવણી દરમિયાન, પોલીસે સુરક્ષા કારણોસર કોર્ટ પરિસરના 200 મીટરના પરિસરને સીલ કરી દીધું હતું. ફક્ત વકીલો, કેસ સાથે સંબંધિત પક્ષકારો અને સ્ટાફને જ અંદર જવાની મંજૂરી આપવામાં આવી હતી. વિસ્તારમાં ભારે પોલીસ બદોબસ્ત કરવામાં આવ્યો છે.
શું છે મામલો?
19 વર્ષીય અંકિતા ભંડારી ઉત્તરાખંડના પૌરી જિલ્લાની રેહવાસી હતી, તે યમકેશ્વરમાં આવેલા વનંત્રા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. 18 સપ્ટેમ્બર 2022 ના રોજ અંકિતા રિસોર્ટમાંથી અચાનક ગુમ થઈ ગઈ અને તેનો મૃતદેહ 24 સપ્ટેમ્બરના રોજ ઋષિકેશ નજીક ચિલ્લા નહેરમાંથી મળી આવ્યો હતો. આ ઘટના બનતા હોબાળો મચી ગયો હતો. ઘટના બાદ દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઘણા શહેરોમાં લોકો રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવા ઉતરી આવ્યા હતાં.
રિસોર્ટના સંચાલક પુલકિત આર્યએ તેના બે સાથીઓ સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તા સાથે મળીને અંકિતાની હત્યા કરી હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો ત્યાર બાદ ત્રણેયને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતાં. હવે ત્રણેય આ કેસમાં દોષિત ઠર્યા છે.
આપણ વાંચો: Not a single project…! સંરક્ષણ ડિલિવરીમાં થતા વિલંબ પર જાહેરમાં આ શું બોલ્યા વાયુસેનાના વડા?

આ કારણે થઇ હતી હત્યા:
ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ, અંકિતા અને રિસોર્ટ સંચાલક પુલકિત આર્ય વચ્ચે ઝઘડો થયો હતો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે અંકિતાએ રિસોર્ટમાં ‘VIP’ મહેમાનને ‘એક્સ્ટ્રા સર્વિસ’ આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે થયેલા ઝઘડા બાદ અંકિતાની હત્યા કરવામાં આવી હતી. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી, પુલકિત આર્યએ જ અંકિતા ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે રિસોર્ટ સંચાલક પુલકિત આર્યએ સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તા સાથે મળીને અંકિતાની હત્યા કરી હતી. આ કેસમાં ત્રણેય આરોપીઓની 23 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં, પૂછપરછ દરમિયાન, તેમણે હત્યાની કબૂલાત પણ કરી હતી.
પુલકિત આર્ય તત્કાલીન ભાજપ નેતા વિનોદ આર્યનો પુત્ર છે. જોકે, મામલાની દેશભરમાં ચર્ચા થતાં પાર્ટીએ વિનોદ આર્યને પાર્ટીમાંથી કાઢી મુક્યા હતાં.