જ્યોતિ બાદ વધુ એક ગદ્દાર: પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્ટને સંવેદનશીલ માહિતી પૂરી પાડનાર થાણેના રહેવાસી પકડાયો

મુંબઈ: ભારતમાં રહીને પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી 12 લોકોને પકડી પાડવામાં આવ્યા બાદ હવે પાકિસ્તાન માટે જાસૂસી બદલ મહારાષ્ટ્ર એન્ટિ-ટેરિઝમ સ્કવોડ (એટીએસ) થાણેના રહેવાસીની ધરપકડ કરી હતી, જેણે પાકિસ્તાનના ઇન્ટેલિજન્સ એજન્ટને સંવેદનશીલ માહિતી પૂરી પાડી હતી.
મુંબઈમાં મહત્ત્વના સંગઠન માટે આરોપી કામ કરતો હતો અને પાકિસ્તાની એજન્ટ દ્વારા તેને ‘હની-ટ્રેપ’માં ફસાવવામાં આવ્યો હતો, જેણે મહિલા તરીકે ઓળખ આપી હતી અને નવેમ્બર, 2024માં ફેસબૂક પર આરોપી સાથે મિત્રતા કરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ નવેમ્બર, 2024થી માર્ચ, 2025 દરમિયાન વ્હૉટ્સઍપ દ્વારા પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ઓપરેટિવને મહત્ત્વનાં સંસ્થાનો વિશે સંવેદનશીલ માહિતી શૅર કરી હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ રાજસ્થાનમાંથી સરકારી કર્મચારી પકડાયો, ગતિવિધિઓ શંકાસ્પદ
એટીએસના થાણે યુનિટના અધિકારીઓને એવી માહિતી મળી હતી કે થાણેનો શકમંદ પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ઓપરેટિવના સંપર્કમાં હોઇ તેણે ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત વિસ્તારોની ગુપ્ત અને સંવેદેનશીલ માહિતી તેને પૂરી પાડી છે. આ માહિતીને આધારે એટીએસની ટીમે તપાસ હાથ ધરીને શકમંદ તથા અન્ય બે જણને કસ્ટડીમાં લીધા હતા.
પ્રાથમિક તપાસ બાદ ઓફિશિયલ સિક્રેટ એક્ટની કલમ 3 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 61 (2) (ગુનાહિત કાવતરું) હેઠળ શકમંદની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય બે જણને તપાસ કરાયા બાદ જવા દેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જાસૂસીના કથિત આરોપસર પંજાબમાંથી છ જણ, હરિયાણામાંથી પાંચ તેમ જ ઉત્તર પ્રદેશમાંથી એકની ધરપકડ કરાઇ હતી. પકડાયેલા 12 જણમાં હરિયાણાની મહિલા યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાનો સમાવેશ હતો. જ્યોતિ મલ્હોત્રા અને પંજાબની ગઝાલા દિલ્હીમાં પાક એલચી કચેરીમાં કામ કરતા પાકિસ્તાની અધિકારીના સંપર્કમાં હતી.