નંબર-વન પંજાબનો ફિયાસ્કોઃ 101 રનમાં ઑલઆઉટ
બેંગલૂરુના બોલર્સના આક્રમણ સામે શ્રેયસના બૅટ્સમેન ઝૂકી ગયા

મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): આઇપીએલ (IPL-2025)ની 18મી સીઝનમાં 19 પૉઇન્ટ અને +0.372ના રનરેટ સાથે મોખરે રહેનાર પંજાબ કિંગ્સ (PBKS)ની ટીમનું આજે અહીં બીજા નંબરની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) સામે પ્લે-ઑફના પ્રથમ મુકાબલા (ક્વૉલિફાયર-વન)માં ટાંય ટાંય ફિસ થઈ ગયું હતું. 19 પૉઇન્ટ અને +0.301ના રનરેટ સાથે ટૉપ-ટૂમાં પ્રવેશ કરનાર બેંગલૂરુ સામે પ્રીટિ ઝિન્ટાની સહ-માલિકી અને શ્રેયસ ઐયર જેવા દિગ્ગજ ખેલાડીની કૅપ્ટન્સીવાળી પંજાબની ટીમ બૅટિંગ મળ્યા બાદ 14.1 ઓવરમાં માત્ર 101 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી.
માર્કસ સ્ટોઇનિસના 26 રન ટીમમાં હાઇએસ્ટ હતા અને ત્રણ જ બૅટ્સમેનના ડબલ ડિજિટમાં સ્કોર હતા. એક બૅટ્સમૅનનો ઝીરો હતો અને છ પ્લેયરના સિંગલ ડિજિટમાં રન હતા. કાઇલ જૅમીસન શૂન્ય પર અણનમ રહ્યો હતો. પંજાબે આ સીઝનમાં થોડા દિવસ અગાઉ કોલકાતા સામે પોતાનો જેટલો સ્કોર (111) ડિફેન્ડ કર્યો હતો એના કરતાં પણ 10 રન ઓછા બનાવ્યા હતા.
બેંગલૂરુના છમાંથી પાંચ બોલરને વિકેટ મળી હતી. સ્પિનર સુયશ શર્મા (3-0-17-3) અને ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જૉશ હૅઝલવૂડ (3.1-0-21-3) આ ઇનિંગ્સના બે સુપર બોલર હતા. યશ દયાલ (4-0-26-2)એ પંજાબનો ધબડકો શરૂ કરાવ્યો હતો અને તેણે તેમ જ ટીમના બીજા બોલર્સે સમયાંતરે વિકેટ લેતા રહીને પંજાબની ટીમનો કચરો કરી નાખ્યો હતો. ભુવનેશ્વર કુમાર (2-0-17-1) અને રોમારિયો શેફર્ડ (1-0-5-1)ને એક-એક વિકેટ મળી હતી. એકમાત્ર કૃણાલ પંડ્યા (1-0-10-0)ને વિકેટ નહોતી મળી.
આ પણ વાંચો: પ્લે-ઑફનો પહેલો પંચ આજેઃ બેંગલૂરુએ ફીલ્ડિંગ લીધી, પંજાબને પ્રથમ બૅટિંગનો મોકો
પંજાબે પાવરપ્લેની 6 ઓવરના અંત સુધીમાં 50 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. એ પહેલાં, બેંગલૂરુના સુકાની રજત પાટીદારે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી અને પંજાબની ટીમને પ્રથમ બૅટિંગમાં 200-પ્લસનો સ્કોર નોંધાવીને બેંગલૂરુને પડકારરૂપ લક્ષ્યાંક આપવાનો મોકો મળ્યો હતો, પરંતુ આ ટીમે બીજી જ ઓવરથી વિકેટ ગુમાવવાનું શરૂ કર્યું હતું અને ધબડકો એટલી હદે ચાલુ રહ્યો હતો કે લગભગ દરેક ઓવરમાં વિકેટ પડી હતી. આ સીઝનની શ્રેષ્ઠ ઓપનિંગ જોડીઓમાં પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહનું નામ અચૂક લેવાય છે અને એ જોડીનો પ્રિયાંશ આર્ય મૅચની બીજી જ ઓવરમાં પેસ બોલર યશ દયાલને વિકેટ આપી બેઠો હતો. તે કવરમાં કૃણાલ પંડ્યાના હાથમાં કૅચઆઉટ થયો હતો. પ્રભસિમરનને 18 રનના તેના સ્કોર પર ભુવનેશ્વર કુમારે વિકેટકીપર જિતેશ શર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો એ સાથે પંજાબની ટૉપ-ઑર્ડરની આખી બૅટિંગ લાઇન-અપ ઉઘાડી પડી ગઈ હતી અને પછી મિડલ-ઑર્ડર પણ ફ્લૉપ ગયો હતો.
આજે જીતનારી ટીમ સીધી ત્રીજી જૂનની ફાઇનલમાં પ્રવેશ કરશે. બેંગલૂરુની ટીમમાં નુવાન થુશારાના સ્થાને જૉશ હૅઝલવૂડને ઇલેવનમાં સમાવવામાં આવ્યો છે. પંજાબની ટીમમાંથી સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર માર્કો યેનસેન વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં રમવા પાછો જતો રહ્યો હોવાથી તેના સ્થાને અફઘાનિસ્તાનના અઝમતુલ્લા ઓમરઝાઈને ફરી રમવાની તક મળી છે.
મુલ્લાંપુરના મેદાનની પિચથી એક તરફની બાઉન્ડરી લાઇન 62 મીટર અને બીજી બાજુની બાઉન્ડરી લાઇન 65 મીટર દૂર છે. સ્ટ્રેઇટ બાઉન્ડરી લાઇન 73 મીટર દૂર છે.