પુરુષ

પહેલું સુખ તે જાતે…

નીલા સંઘવી

હર્ષાબેન અને હરેશભાઈ 70 વર્ષના સ્વસ્થ. બે દીકરી સુખી પરિવારમાં પરણાવી દીધેલી. હરેશભાઈ તો હજુ પણ વ્યવસાયમાં વ્યસ્ત.

સવારે નવ વાગે ટિફિન લઈને નીકળી જાય તે સાંજે સાત વાગે ઘેર પાછા ફરે. હર્ષાબેન પોતાની અને પતિની તબિયતનું બહુ ધ્યાન રાખે. એ હંમેશાં કહે: ‘પહેલું સુખ તે જાતે નર્યા.’ શરીર સ્વસ્થ હશે તો મન પણ સ્વસ્થ રહેશે. સ્વાસ્થ્ય સારું હોય તો ખાવુંપીવું, હરવુંફરવું, પહેરવું- ઓઢવું, કામ કરવું બધું જ ગમે. મજા આવે. હા, જો સ્વાસ્થ્ય નબળુ હોય તો કોઈ ચીજમાં મન લાગે નહીં. હર્ષાબેન પોતે તો સ્વાસ્થ્યપ્રદ આહાર જ લે. તીખું, તળેલું, ઠંડું, વાસી ખાવાનું ક્યારેય ન ખાય ન પતિને ખવડાવે.

હર્ષાબેન વર્ષો પહેલાં એક જાણીતી ઈન્સ્ટિટ્યુટમાંથી યોગની તાલીમ લીધી હતી અને યોગ વિષયક બધી પરીક્ષા પણ પાસ
કરી હતી. હર્ષાબેન પોતે રોજ યોગ, મેડિટેશન વગેરે કરતાં હતાં . યોગ અને ધ્યાન કરવાથી એમને શારીરિક અને માનસિક રીતે બહુ સારું લાગતું હતું. બહુ સ્ફૂર્તિ રહેતી હતી. વર્ષોથી એમનો આ ઉપક્રમ ચાલુ હોવાને કારણે બીમારી એમનાથી સો ગાઉ દૂર રહે છે. એમને આજ સુધી થાયરોઈડ, બ્લડપ્રેશર કે ડાયાબિટીસ જેવી સામાન્યપણે દરેકને થતી બીમારી લાગુ
પડી નથી.

હર્ષાબેનને યોગ-ધ્યાન કરતા જોઈને એમનાં સગાં સ્વજનો –બહેનપણીઓ બધાં હર્ષાબેનને કહેવા લાગ્યાં કે, ‘અમને પણ યોગ-ધ્યાન વગેરે શીખવો તો અમને પણ સારાં સ્વાથ્યનો લાભ મળે.’

હર્ષાબેનને લાગ્યું કે એ લોકોની વાત તો સાચી છે. આમ પણ હરેશભાઈ કામ ધંધે નીકળી જાય પછી પોતાની પાસે સમય જ સમય હોય છે…. હર્ષાબેને જે બે-ચાર બહેનો,જેમને રસ હતો તેઓને યોગ શીખવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો બહેનો એમના ઘેર આવતી, . પણ ધીમેધીમે લોકોને હર્ષાબેન યોગ શીખવે છે એ વાતની ખબર પડતી ગઈ. વળી હર્ષાબેન પોતે આર્થિક રીતે સમૃદ્ધ હોવાને કારણે યોગ શીખવવા માટે કોઈ ફી લેતાં ન હતાં. નિ:શુલ્ક શીખવાનો લાભ મળતો હોવાને કારણે શીખવા આવનાર બહેનોની સંખ્યા વધતી ગઈ. હર્ષાબેનના ફેમિલી ડોક્ટર પણ પોતાના દર્દી બહેનોને દવા સાથે હર્ષાબેનના યોગા ક્લાસમાં જવાની સલાહ આપવા લાગ્યા. હર્ષાબેનને ત્યાં આવતી એક બહેન કોઈ મંદિરમાં ટ્રસ્ટી હતાં. એ બહેને હર્ષાબેનને ઓફર કરી : ‘બેન, મારા મંદિરના હોલ મોટો છે ત્યાં આવીને આપ યોગા શીખવી શકો છો.’

આ પણ વાંચો….મનને ગમે એવું જીવો…એકલતા ઘેરી વળે ત્યારે મનગમતું કામ એ જ નીજ-આનંદ…

‘ભાડાનું શું?’ હર્ષાબહેનને જવાબ મળ્યો :

‘અરે, બહેન તમે ફી લીધા વિના નિ:સ્વાર્થ ભાવે સમાજની સેવા કરી રહ્યા છો તો અમને્ ભાડું નથી જોઈતું…!

હર્ષાબેન તો રાજીરાજી થઈ ગયાં. એક જ સેશનમાં ઘણીબધી બહેનોને શીખવી શકાશે એવી ગોઠવણ થઇ જતાં મંદિરના હોલમાં વર્ગો ચાલુ થઈ ગયા.

બધુ સરસ ચાલતું હતું. એ દરમિયાન હર્ષાબેનની બે દીકરીની ઈચ્છા એવી કે માતા-પિતાની ઉંમર થવા માંડી છે એટલે આજુબાજુમાં રહેતી એ બન્ને દીકરીએ માતા-પિતાને પણ એમની નજીક ફ્લેટ લઈને રહેવા બોલાવી લીધાં. આ નવા ઘરમાં હોલ મોટો હતો. અહીં બહેનો યોગ-ધ્યાન શીખવા આવવા લાગી.

ક્લાસ ચાલતા હતા એ દરમિયાન કોરોના ત્રાટક્યો. કોરોના આવવાને કારણે બહેનોનું ક્લાસમાં આવવાનું બંધ થઈ ગયું. કોરોનાનો પ્રકોપ લાંબો ચાલ્યો એટલે પોતાની પુત્રીઓની સલાહથી ઓનલાઈન ક્લાસ શરૂ કરવાની સલાહ આપી પછી શરૂ થયાં હર્ષાબેનના ઓનલાઈન યોગા ક્લાસ. આમ ઘેર બેઠાં યોગ શીખી શકાય એવી ગોઠવણ થઈ જતાં કોરોના કાળ પછી પણ આજે હર્ષાબેનના ઓનલાઈન યોગાના ક્લાસ ધમધોકાર ચાલે છે અને અનેક બહેનો હર્ષાબહેન પાસેથી યોગ શીખીને પોતાની તબિયત ફાઈન રાખતાં થઈ ગયાં છે….

આ પણ વાંચો….‘સ્વ’ માટે પણ જીવવાનું શીખો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button